” ઇશ્વર દર્શન “ May 8, 2007
Posted by vijayshah in : ચિંતન લેખ , trackback” ઇશ્વર દર્શન ”
ઇશ્વર દર્શન કોને થાય? તેને કે જેને ઇશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા હોય.પરંતુ કેવળ આવી શ્રદ્ધાથી જ તેના દર્શન નથી થતાં.એના દર્શન માટે તો એ સર્વવ્યાપી અને અનાદિ છે એમ પણ સ્વિકારવું જરૂરી છે. એનો અર્થ એ કે તે ઇશ્વર દરેક પદાર્થની અંદર તથા બહાર સદાકાળ વ્યાપ્ત છે.
“તદ અંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ”
પદાર્થની અંદર રહેલા ઇશ્વરને આપણે આત્મા ને નામે ઓળખીએ છીએ જયારે તેની બહાર રહેલા ઇશ્વરને આપણે બ્રહ્મ કહીએ છીએ. હવે જો કેવળ ભૌતિક દ્રષ્ટિ કામે લગાડીએ તો આપણે કહી શકીએ કે આત્મા કરતા બ્રહ્મ મોટો હશે કારણ પદાર્થની અંદરની બાજુ કરતા બહારની બાજુ મોટી જ હોય.
આમ બ્રહ્મ ઘણો મોટો અને નજદિક હોવાથી જોઇ શકાતો નથી.પર્વતની ભવ્યતાનો ખ્યાલ પર્વતથી દૂર જઇએ તો જ આવે ને ? એટલે જો બ્રહ્મ ને જોવો જ હોય તો તેનાથી દૂર જઇએ તો જ તે દેખાય. પણ તેનાથી દૂર થવું શી રીતે ? તે તો સર્વવ્યાપી છે.આ માટે એક સરળ ઉપાય અજમાવવો પડે છે.આપણે આગળ જોયું તેમ આત્મા એ બહ્મનું જ નાનું સ્વરૂપ છે તો આપણે આત્માથી દૂર જઇને તેના દર્શન કરીએ તો પણ આપણને બ્રહ્મ જ્ઞાન લાધે ખરૂં.આત્માથી દૂર જવું એનો અર્થ છે આપણે આપણી જાતમાંથી બહાર નીકળી પોતાની જાતને ઓળખવી.પોતાની જાતમાંથી બહાર નીકળવા માટે પોતાપણું એટલે કે અહંકાર ત્યજવો અતિ આવશ્યક છે. તે કેમ છૂટે ? કેવળ નિશ્ચિત વર્તનથી. આપણે આપણી જાતને પારકાઓની દ્રષ્ટિથી જોતાં થઇએ ત્યારે જ આપણને સમજાયકે આપણે કેવા છીએ.આમ અન્ય વ્યકિતઓના આપણા અંગેના અભિપ્રાયોથી પોતાની જાતનું મૂલ્યાંકન કરવું એટલે જ પોતાની જાતમાંથી બહાર નીકળવું એમ કહેવાય.પારકાની દ્રષ્ટિથી પોતાની જાતને જોવા માટે આપણે તેમની દ્રષ્ટિ મેળવવી પડે અર્થાત આપણે એમને સમજવા પડે અને તે માટે તેમનો સહકાર જોઇએ,અને જો આપણે ખૂદ તેઓને સહકાર ન આપીએ તો તેમના સહકારની આશા શી રીતે રાખીએ ! આપણે આપણા અહંકારમાંથી જ ઉંચા ન આવીએ,આપણા ગમા અણગમા છોડીએ જ નહી તો આપણને સહકાર કોણ આપે !
અન્ય વ્યકિતઓને સહકાર આપવો એનો અર્થ છે આપણે આપણંુ વર્તન સુધારી બીજાઓને અનુકૂળ થવું. આપણો અહંકાર ત્યજી બીજાઓ પ્રત્યેના ગમા અણગમા વિસારે પાડવા એ અતિ વિકટ નથી.ધીરે ધીરે સહિષ્ણુતા વધારવાની આ એક સરળ સધના છે,એક સરળ કર્મયોગ છે.અને આ સાધનાનું જે ફળ મળે છે તેને કહેવાય છે સમભાવ.સમભાવ એટલે કોઇ કોઈનાથી ચડતું કે ઉતરતું નથી એવી મનોવૃત્તિ.
આતો ઇશ્વર દર્શનના માર્ગનું પહેલું પગથીયું થયું.સમભાવ કેળવ્યાં પછી પણ આ કર્મયોગ – ગમા અણગમા દૂર કરવાનો પ્રયત્ન – તો ચાલુ જ રાખવો પડે છે.આ સતત ચલતા કર્મયોગમાં જયારે સમભાવ ઓતપ્રોત થઇ જાય છે ત્યારે જ તેમાંથી ભકિતનો ઉદ્દ્ભવ થાય છે.આમ સમભાવ મિશ્રિત કર્મયોગને પંથે ચાલતાં ભકિતયોગનું દ્વાર દેખાય છે.આ છે બીજું પગથીયંુ. ભકિત પૂર્વક સતત કર્મ કરતાં રહેવાથી જે ફળ મળે છે તેને એકાત્મભાવ કહેવાય છે.એકાત્મભાવ એટલે કોઇ કોઇનાથી જુદું નથી,બધામાં એક જ આત્મતત્ત્વ રહેલું છે એવો મનોભાવ.
આ બીજું પગથીયું ચઢયાં પછી જો સાધક ભકિતપૂર્ણ મનથી કાર્યરત રહે અને તેમાં જયારે એકાત્મ ભાવ ઓતપ્રોત થઇ જાય ત્યારે સાધકના અંતરમા જ્ઞાનનો ઉદય થાય છે.આમ એકાત્મભાવ મિશ્રિત ભકિત યોગને પંથે ચાલતાં સાધકને જ્ઞાન યોગનું દ્વાર ખુલતું દેખાય છે.આવો જ્ઞાની સાધક જો ભકિત પૂર્વક સતત કર્મ કરતો રહે તો તેને જે ફળ મળે છે તેને અદ્વૈતભાવ કહેવાય છે.આ અદ્વૈતભાવ એટલે કે સૃષ્ટિના બધાજ નિરજીવ અને સજીવ પદાર્થો એક જ તત્ત્વમાંથી – બહ્મ તત્ત્વમાંથી – ઉદ્દભવ્યાં છે એવું જ્ઞાન.આ રીતે જોતાં લાગે છે કે કર્મ્યોગનું ફળ એટલે સમભાવ,ભકિતયોગનું ફળ એટલે એકાત્મભાવ અને જ્ઞાનયોગનું ફળ એટલે અદ્વૈતભાવ,કર્મયોગી બધાંને સમાન સમજે છે, ભકતને બધામાં ઇશ્વર દેખાય છે અને જ્ઞાનીને બધે જ ઇશ્વર દેખાય છે અર્થાત તેને ઇશ્વર સિવાય બીજુ કાંઇ જ દેખાતુ નથી.આને જ સાચું ઇશ્વર દર્શન કહેવાયને ?
Comments»
no comments yet - be the first?