“ઈશવાસ્ય-શ્લોક ૧૨,૧૩,૧૪” November 28, 2007
Posted by girishdesai in : ચિંતન લેખ , add a commentશ્લોક ૧૨
અન્ધં તમઃ પ્રવિશન્તિ યે અસંભૂતિમ્ ઉપાસતે
તતો ભૂય ઇવ તે તમઃ ય ઉ સંભૂત્યાં રતાઃ
પ્રવેશે ગાઢ અંધકારે, અસંભૂતિ જે ઉપાસતા
પણ અતિ પ્રગાઢ અંધકારે પ્રવેશે તેઓ
જે રહે રત કેવળ સંભૂતિ મહીં
શ્લોક ૧૩
અન્યદ્ એવ આહુઃ સંભવાદ્ અન્યદ્ આહુઃ અસંભવાત્
ઇતિ શુશ્રુમ ધીરાણાં યે નઃ તદ્ વિચચક્ષિરે
મળે સંભૂતિથી જે કાંઇ તેથી જુદું અસંભૂતિથી મળે
દીધી શીખ જે ધીરજનોએ,તે સુણી તેઓ પાસે અમે
શ્લોક ૧૪
સંભૂતિમ્ ચ વિનાશં ચ યઃ તત્ વેદ ઉભયં સહ
વિનાશેન મૃત્યું તીર્ર્ત્વા સંભૂત્યા અમૃતમ્ અશ્નુતે
સંભૂતિ અને વિનાશ અંગે, જાણેે એક સાથ જે
વિનાશથી તરી મૃત્યુ, સંભૂતિથી અમૃત મેળવે.
આ ત્રણ શ્લોક આગળના ત્રણ શ્લોકનું પુનરાવર્તન જ છે.ફરક કેવળ બે શબ્દોનો જ છે. વિદ્યાને બદલે સંભૂતિ અને અવિદ્યાને બદલે અસંભૂતિ,એટલે કે વિનાશ,એવા શબ્દો ઋષિએ વાપર્યાં છે એનું કારણ આપણે આગળ જોઇ ગયા છીએ તેમ આ ત્રણ શ્લોક સાત્વિક વૃત્તિના મનુષ્યો ને ઉદ્દેશીને ઋષિએ લખ્યાં હોય એમ લાગે છે.ઋષિ સારી રીતે જાણે છે કે વિદ્યાર્થિની લાયકાત પ્રમાણે જ શબ્દોનો ઉપયોગ કરવો જોઇએ. આપણે પણ પાણીને માટે ‘ભૂ’ કે ‘H2O’ એમ બે શબ્દોનો ઉપયોગ કોની સાથે વાત કરીએ છીએ તે વિચારીને જ કરીએ છીએ ને? નાના બાળકને કોઇ ‘H2O’ પીવાનું કહે ખરૂં ? કે કોઇ રસાયણ શાસ્ત્રીને ‘ભૂ’ નુ સમિકરણ સમજાવો એમ કહે ખરૂં ? સંભૂતિ એટલે નર્યું અસ્તિત્વ.અસ્તિત્વં એટલે (અસ્તિ + ત્વં)એટલે કે તું જ છે એવો મનોભાવ. આ ‘તું’ એટલે જ તે ‘પુરૂષ’ અથવા ‘અદઃ’ અને અસંભૂતિ એટલે જેનું અસ્તિત્વ કાયમ નથી એવું અર્થાત વિનાશશીલ એટલે પ્રકૃતિ અથવા ‘ઇદમ.’ આ અગાઉ સાત્વિકની વ્યાખ્યા આપી ત્યારે આપણે જોએલું કે સાત્વિક જનો બે પ્રકારના હોય છે. એક પરમાર્થી એટલે કે સગુણ બ્રહ્મના ‘પ્રકૃતિના’ ઉપાસકો અને બીજા નિસ્વાર્થી એટલે કે નિર્ગુણ બ્રહ્મના ‘પુરૂષના’ ઉપાસકો. હવે આ ત્રણ શ્લોક સમજવાનો પ્રયત્ન કરીએ. ‘અંધમ્ તમઃ પ્રવિશન્તિ એ અસંભૂતિમ્ ઉપાસતે’ એટલે કે જેઓ કેવળ પ્રકૃતિની જ ઉપાસના કરે છે, સગુણ બ્રહ્મની જ સાધના કરે છે અને પુરૂષની-નિર્ગુણ બ્રહ્મની જાણકારી પ્રત્યે ઉદાસીનતા દાખવે છે તેઓ પૂરૂં સત્ય જાણી શકતા નથી. એટલે કે અંધકારમાં જ પ્રવેશે છે એમ જ કહેવાય.પરમાર્થ કરતી વખતે જો પુરૂષનો ખ્યાલ ન રહે તો, પરમાર્થ હું જ કરૂં છું, એવો ભાવ થતાં મનમાં અહંકાર વધે છે. આ છે અસંભૂતિનો ગેરફાયદો, પણ જો પરમાર્થની સાથે સાથે મનમાં પુરૂષનો ખ્યાલ રહે તો, ભગવાનની ઇચ્છાથી હું કોઇને સહાય કરી શકું છું, એવો ખ્યાલ વસતાં મનમાં નમ્રતા અને ભકિતનો ઉદ્ભવ થવાની સંભાવના રહે છે. આ છે અસંભૂતિનો ફાયદો. હવે ‘તતો ભૂય ઇવ તે તમઃ ય ઉ વિદ્યાયામ્ રતાઃ’ નો અર્થ કરીએ. કેવળ પુરૂષની ઉપાસના કરવાથી વધારે અંધકારમાં શી રીતે જવાય! જો એમ જ હોય તો પછી પુરૂષને પૂજે જ કોણ ? યાદ તો હશે જ કે શંાતિ મંત્ર સમજતી વખતે આપણે પુરૂષને તત્વ અને પ્રકૃતિને તેના ગુણ તરીકે સમજેલાં. બીજી દ્રષ્ટિએ જોતાં એમ પણ કહી શકાય કે જો પુરૂષ કોઇ વ્યકિત હોય તો પ્રકૃતિ તેનો ચહેરો છે, એનો દેહ છે. વ્યકિતનો ચહેરો જોયા સિવાય એની પાકી ઓળખાણ થાય ખરી ? કોઇ માણસના ગુણ જાણ્યા વગર એને પૂરેપરો શી રીતે સમજી શકાય? લંગોટ પહેરેલો સાધુ કે સૂટ પહેરેલો સાહેબ સંત છે કે સેતાન એ એના ગુણ જાણ્યા સિવાય શી રીતે કહેવાય? સાધુના વેશમાં રહેલ સેતાનની ઉપાસના કરીએ તો ગાઢ અંધકારની ગર્તામાં જવા બરોબર જ થયું કહેવાયને? બીજું એ કે નિર્ગુણની ઉપાસના કઠણ છે. નિર્ગુણ એટલે શું તે સમજવું અતિ દુષ્કર છે.ઋષિ મુનિઓએ પ્રકૃતિના જે જે વિષય ઉપર ચિંતન કર્યું તે બધામાં કાંઇ ને કાંઇ ગુણ દેખાયો. અને ગુણ દેખાતાં જ બોલી ઉઠયાં ‘નેતી નેતી-આ નહી આ નહી’. એનો અર્થ એ થયો કે આ ઋષિઓને નેતી નેતી ઉચ્ચારતા પહેલા પ્રકૃતિનો પૂરો અભ્યાસ કરવો જ પડયો. પ્રકૃતિને સમજયાં વિના પુરૂષ સમજાય જ નહી. હા, સમજયાનો દંભ કરી શકાય ખરો.આ દંભ એ જ ગાઢ અંધકાર. આ સારૂં જ પુરૂષ દર્શન દેતાં પહેલા પ્રકૃતિ રૂપે પોતાનું પ્રદર્શન કરે છે.જે મનુષ્ય પુરૂષ અને પ્રકૃતિ એટલે કે સગુણને અને નિર્ગુણને એક સાથે સમજયો નથી તેને જ્ઞાની કહેવાય જ નહી. કેવળ પ્રકૃતિની ઉપાસનાથી વિવેક-બુદ્ધિ કેળવી શકાય.વળી કેવળ પુરૂષની ઉપાસનાથી વિનય એટલેકે શ્રદ્ધા અગર નમ્રતા કેળવી શકાય.પરંતુ વિવેક અને વિનયનો સુમેળ ન થાય તો જ્ઞાન પ્રાપ્તિ અસંભવિત છે. વિનય અને વિવેકનો સુમેળ એટલે જ જ્ઞાન યોગ કે રાજ યોગ. વિનય અને વિવેકથી કરેલી સાધના એટલે જ ભકિત.પુરૂષ અને પ્રકૃતિની એક સાથે થયેલી ઉપાસનાની અગત્ય કેટલી છે તે સમજવું હોય તો શ્રી રામકૃષ્ણ પરમહંસ અને એમના ગુરૂ શ્રી તોતાપુરીજી મહારાજ- નાંગટા બાવા-વચ્ચે બનેલ બે પ્રસંગ જાણવા જેવા છે.આમતો આ બન્ને મહાત્મા એક બીજાના ગુરૂ અને શિષ્ય હતા એમ કહી શકાય. શ્રી રામકૃષ્ણ જયારે સમાધિસ્થ અવસ્થામાં પહોંચી જતાં ત્યારે તેમને શ્રી કાલીના દર્શન અચુક થતાં.પરંતુ મા-કાલી એતો પરબ્રહ્મનું સગુણ રૂપ થયું.તેમને હજી સુધી નિર્ગુણ બ્રહ્મની અનુભુતિ થઇ ન હતી.આવે સમયે શ્રી તોતાપુરીજી દક્ષીણેશ્વર આવી પહોચ્યાં અને તેમણે શ્રી રામકૃષ્ણની આવી હાલત જોઇ ત્યારે તેમને દીક્ષા આપી પોતાના શિષ્ય બનાવ્યા અને એક દિવસ ગુસ્સામાં આવી એક કાચનો ટુકડો લઇ શ્રંી રામકૃષ્ણની બે ભમરની વચ્ચે મારી કહયું તું તારૂં ધ્યાન અહીં એકત્રીત કર અને એટલું કહી શ્રી રામકૃષ્ણને એક ઓરડીમાં પૂરી દઇ બહારથી તાળું મારી દીધું.શ્રી રામકૃણને એવી સમાધિ લાગી ગઇ કે ત્રણ દિવસ સુધી તેઓ તે જ સ્થિતિમાં રહયાં. શ્રી તોતાપુરીજી મનમાં વિચારતા જ રહયાં કે હજી તેણે બારણું કેમ ન ખખડાવ્યું.પછી પોતાની ધીરજ ખુટતાં પોતે જ બારણું ઉઘાડયું અને જોયું તો શ્રી રામકૃષ્ણને સમાધિસ્થ સ્થિતિમાં જોયા.તેમણે શ્રી રામકૃષ્ણનું શરીર તપાસી જોયું, તેમનો શ્વાસ તપાસી જોયો અને જયારે ખાત્રી થઇ કે શ્રી રામકૃષ્ણ નિર્વિકલ્પ સમાધિમાં છે ત્યારે તેમને ખૂબ આશ્વર્ય થયું કે જે સ્થિતિએ પહોંચતા પોતાને ચાલીસ વર્ષ લાગ્યાં તે સ્થિતિ શ્રી રામકૃષ્ણએ ત્રણ જ દિવસમાં પ્રાપ્ત કરી. પછી ૐકારના રટનથી રામકૃષ્ણને ભાનમાં આણ્યાં.આ પ્રમાણે શ્રી તોતાપુરીજીની સહાયથી શ્રી રામકૃષ્ણને નિર્ગુણ બ્રહ્મની અનુભૂતિ થઇ. શ્રી તોતાપુરીજીને નિર્ગુણ બ્રહ્મની, ‘પુરૂષની’ અનુભૂતિ થઇ ચુકી હતી.પરંતુ જપ,કીર્તન,ભજન વગેરેમાં તે માનતા નહી.એક વખત શ્રી રામકૃષ્ણ ભજન ગાતા ગાતા તાળી પાડી રહયાં હતાં તે જોઇ તોતાપુરીજી એ ટીકા કરતા કહયું તમે રોટલા કેમ ટીપો છો? જગદંબાની ‘સગુણની’ ભકિત પૂજા અંગે આ બે મહાનુભાવોમાં ઘણી વખત મતભેદ થઇ જતો. પરંતુ વિધિના ખેલ તો જુઓ ત્રણ દિવસથી વધુ કોઇ પણ સ્થળે નહી રહેનારા તોતાપુરીજી શ્રી રામકૃષ્ણના સહવાસમાં સતત અગિયાર માસ રહયાં અને બંગાળના પાણીની તેમના ખડતલ અને નિરોગી શરીર ઉપર અસર થતાં તેઓ લોહીના મરડામાં ફસાયા.આ મરડાનું જોર એટલું વધી કે તેમનાથી પોતાનું મન સમાધિસ્થ કરવું લગભગ અસંભવિત થઇ ગયું. અને જયારે આ સ્થિતિ લંબાઇ ત્યારે તેમણે દેહત્યાગ કરવાનો વિચાર કરી એક રાત્રે ડૂબી મરવાના આશયથી ગંગા જળમાં ચાલવા માડયું.પરંતુ તેઓ ચાલતા ચાલતા આખી નદી પાર કરી ગયા પણ માથાડૂબ પાણી કયાંયે ન મળ્યું તેમને થયું કે આ તે કેવી દૈવી માયા! ડૂબવા જેટલું પાણી પણ આજે આ નદીમાં નથી શું ! તે જ ક્ષણે જાણે કોઇએ એમની બુદ્ધિ ઉપરથી આવરણ હઠાવી દીધું અને તોતાપુરીજીને માતાજીની અનુભૂતિ થઇ. અને ભકિતમાં નહી માનનારા તોતાપુરી ભકિત વિભોર ચિત્તે ‘મા’,’મા’,ના પોકારોથી દિશાઓ ભરી દીધી. અને પ્રભાત થતાં જ શ્રી રામકૃષ્ણ અને શ્રી તોતાપુરીજી મા જગદંબાની મૂર્તિ સમક્ષ પ્રણિપાત કરી રહયાં. આમ આ બેઉ મહાત્માઓએ સગુણ અને નિર્ગુણની અનુભૂતિ કરી પૂર્ણ જ્ઞાન પાપ્ત કર્યું. અહીં એક વાત ધ્યાન ખેંચે એવી એ છે કે નિર્ગુણની સાધના કરતાં સગુણની સાધનાથી સિદ્ધિ મેળવવી સહેલી છે. નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિમાં તોતાપુરીજીને ચાલીસ વર્ષ લાગ્યા પરંતુ શ્રી રામકૃષ્ણએ સગુણની પ્રાપ્તિ કરી લીધી હતી એટલે નિર્ગુણની પ્રાપ્તિમાં ત્રણ જ દિવસ લાગ્યા.
ટુંકમાં, ઉપરના છ શ્લોકોનો અર્થ એટલો જ છે કે જીવનના સર્વાંગી કે પૂર્ણ વિકાસ માટે પુરૂષ અને પ્રકૃતિનો એક સાથે અને એક સરખો વિચાર કરી તે પ્રમાણે જીવન વ્યવહાર કરવો. આપણે સહુ પ્રકૃતિના ભાગ છીએ તો આપણે આપણી જાતનો જ અસ્વિકાર કરીએ તે કેમ ચાલે! પહેલાં હું કોણ એ જાણું પછી જ ‘તે’ કોણની પંચાત કરૂં તે જ યોગ્ય ગણાય ને ?
પુરૂષ પિતા છે મા પકૃતિ,‘ને આપણે છીએ તેમનાં છોરૂં
જો ન કરી એ સેવા બેઉની તો,રહે જીવન અપૂર્ણ અધુરૂં.
એક વાત આપણે સહુએ યાદ રાખવી જોઇએ કે
પુરૂષ વિના પ્રકૃતિની પ્રગતી થતી નથી
અને પ્રકૃતિ વિના પુરૂષની પ્રતીતિ થતી નથી.
Add comment November 28,
“ઈશાવાસ્ય – શ્લોક ૯,૧૦,૧૧” November 26, 2007
Posted by girishdesai in : ચિંતન લેખ , add a comment“ઈશાવાસ્ય – શ્લોક ૯,૧૦,૧૧”
November 26, 2007 Edit
શ્લોક ૯
અન્ધં તમઃ પ્રવિશન્તિ યે અવિદ્યામ્ ઉપાસતે
તતો ભૂય ઇવ તે તમઃ ય ઉ વિદ્યાયાં રતાઃ
પ્રવેશે ગાઢ અંધકારે,અવિદ્યા જે ઉપાસતા
વળી અતિ ગાઢ અંધકારે પ્રવેશે તેઓ
જે રહે રત કેવળ વિદ્યા મહીં
શ્લોક ૧૦
અન્યદ્ એવ આહુઃ વિદ્યયા અન્યદ્ આહુઃ અવિદ્યા
ઇતિ શુશ્રુમ ધીરાણાં યે નઃ તદ્ વિચચક્ષિરે
મળે જે કાંઇ અવિદ્યાથી તેથી જુદું વિદ્યાથી મળે
દીધી શીખ ધીરજનોએ જે, તેઓ પાસેથી સુણી અમે
શ્લોક ૧૧
વિદ્યાં ચ અવિદ્યાં ચ યઃ તદ વેદ ઉભયં સહ
અવિદ્યયા મૃત્યું તીરત્વા વિદ્યયા અમૃતમ્ અશ્નુતે
વિદ્યા અને અવિદ્યા વિશે, જાણે જે એક સાથ જે
તે અવિદ્યાથી મૃત્યુને તરી,વિદ્યાથી અમૃત મેળવે.
આ ત્રણ શ્લોકમાં ઋષિ વિદ્યા અને અવિદ્યા વચ્ચેનો ભેદ કાંઇક મોઘમમાં સમજાવી રહયાં છે. એમનું કહેવું છે કે વિદ્યાથી કે અવિદ્યાથી કરેલા કર્મનું ફળતો જરૂર મળે છે અને કેવળ આ ફળના પ્રકારથી જ વિદ્યા અને અવિદ્યા વચ્ચેનો ભેદ સમજી શકાય છે.એમનું કહેવું છે કે અમે તો અમારા જમાનાનાં ધીર પુરૂષો પાસે જઇ આ બબતનો નિર્ણય કરેલો.તમારે જો વિદ્યા અને અવિદ્યા વચ્ચેનો ભેદ સમજવો હોય તો તમે પણ તમારા જમાનાનાં ધીર જનો પાસે જઇ તેમને પુછજો.વિદ્યા અને અવિદ્યાનો વચ્ચેનો ભેદ કોઇ શાણા પુરૂષે એક જ વાકયમાં સમજાવ્યો છે. “સા વિદ્યા યા વિમુકતયે” અર્થાત જે મુકિત અપાવે તેજ વિદ્યા બાકી બધી અવિદ્યા.મને લાગે છે કે હવે આ ત્રણ શ્લોક સમજતાં પહેલાં કેટલીક વતો અહીં સ્પષ્ટ કરવી જરૂરી છે.મારી દ્રષ્ટિએ જોતાં
૧)શ્લોક નં. ૩ તામસિક વૃત્તિના લોકોને ઉદ્દેશીને લખાયો છે.
૨)શ્લોક નં. ૯,૧૦ અને ૧૧ રાજસિક લોકોને ઉદ્દેશીને લખાયાં છે અને
૩)શ્લોક નં.૧૨,૧૩ અને ૧૪ સાત્વિક લોકોને ઉદ્દેશીને લખાયાં છે.
તામસિક,રાજસિક અને સાત્વિકની મારી સીધી સાદી વ્યાખ્યા નીચે પ્રમાણે છે. તામસિક એટલે પાકો સ્વાર્થી (સ્વ+અર્થી) પોતે પહેલો પછી બીજા બધાં.ઇશ્વરનો નંબર પણ બીજો આવે પોતાનું કામ પાર પાડતાં બીજાને નુકશાન થાય તેનો વાંધો નહીં ઉલટું સારૂં થયું એવું માનવા વાળા.
રાજસિક એટલે વ્યવહારૂ. પોતાનું કામ પાર પાડવા બીજાઓને મદદ કરે અને પોતાની નિસ્વાર્થતાના બણગા ફુંકે પોતાના ફાયદા માટે ઇશ્વરને પણ બાધા કથા, વ્રત વગેરેની લાલચો આપે. સત્ય નારાયણની કથાનો વાણિયો તો તમને યાદ હશે જ.
સાત્વિક એટલે ઇશ્વરમાં શ્રદ્ધા રાખવા વાળા. ઇશ્વરની ઇચ્છા પ્રમાણે જીવનારા. સાત્વિકના બે પ્રકાર હોય છે. નિસ્વાર્થી અને પરમાર્થી. બધાંમાં ઇશ્વરને-પરમને-જુએ તે પરમાર્થી. આવા લોકો પ્રકૃતિની સેવામાં અર્થાત જન સેવામાં રત રહેનારા હોય છે. અને નિસ્વાર્થી એટલે –
(સ્વ ન અસ્તિ =સ્વ છે જ નહીં )- યાને કે બધું જ ઇશ્વરમય છે એવું માનવા વાળા અને આવી વ્યકિતઓ પુરૂષ ના ઉપાસકો હોય છે. આ વાત આગળ જતાં સમજાશે.
હવે પાછા મૂળ વાત ઉપર જઇએ.આમતો વિદ્યા અને અવિદ્યા શું છે એનો અણસાર ઋષિએ પહેલા જ શ્લોકમાં કર્યો છે. – ત્યકતેન ભુંજીથા – એટલે કે ત્યાગ વૃત્તિ અને ભોગ વૃત્તિ એ બેઉ કેળવો. સામાન્ય મનુષ્યના જીવનમાં આ બન્ને આવશ્યક છે. પરંતુ આ બેઉ વચ્ચેનો ફરક જાણવો એ પણ એટલું જ આવશ્યક છે. ઘરમા હાંડલા ખખડતાં હોય તો હું ઉપવાસ કરી રહયો છું એમ કહેવું શું યોગ્ય ગણાય ખરૂં? અને જે ભોગનો ત્યાગ ન થઇ શકે તે ભોગ હું ભોગવું છું કે ભોગ મને ભોગવે છે? સીગરેટ કે દારુનું વ્યસન ન છુટે તો કેન્સરના ભોગ થવું પણ પડે.તામસિક લોકોને સમજાવવા ઋષિએ આ ત્યાગ અને ભોગ શબ્દ વાપર્યાં પરંતુ રાજસિકોને સમજાવા એમણે ત્યાગને વિદ્યા અને ભોગને અવિદ્યા એવા નામ આપ્યાં.ભોગથી જ – અવિદ્યાથી જ – બંધન થાયને ? અને ત્યાગથી જ – વિદ્યાથી જ – મુકિત મળેને ? આ વિદ્યા શબ્દ ખાસ ધ્યાનથી સમજવા જેવો છે. વિદ એટલે જાણવંુ “ટુ નો” અને વિદ્યા એટલે જાણકારી “નોલેજ” અંગ્રેજીમાં આ “નોલેજ” શબ્દ જ્ઞાન માટે પણ વપરાય છે. જ્ઞાન અને વિદ્યા એક જ વાત નથી.અંગ્રેજી ભાષાની આ અધુરપ આપણને વિદ્યા અને જ્ઞાન વચ્ચે ગોટાળો કરાવે છે. સંકૃત ભાષામાં વપરાતા ધર્મ, જ્ઞાન અને શ્રદ્ધા આ ત્રણ શબ્દો ને અંગ્રેજીમાં સમજાવવા જરી કઠણ છે,કારણ કે જેમ ધર્મમાં ફરજનો,જ્ઞાનમાં વિવેકનો અને શ્રદ્ધામાં વિનયનો પડઘો પડે છે તેમ રીલીજીયનમાં ડયુટીનો,નોલેજમાં ડીસ્ક્રીમીનેશનનો અને ફેથમાં હયુમીલીટીનો પડઘો જરાયે પડતો નથી.જાણકાર માણસ વિદ્વાન કહેવાય પણ જ્ઞાની ન કહેવાય. વિદ્યા અને જ્ઞાનમાં મૂખ્ય તફાવત એ છે કે જે પ્રમાણે વિદ્યા બીજાને આપી શકાય છે,શીખવાડી શકાય છે તે પ્રમાણે જ્ઞાન બીજાને અપાતું નથી. વિદ્યા એ બહારથી મળેલી વસ્તુ છે જયારે જ્ઞાન અંતરમાં સ્ફુરેલી વસ્તુ છે. જેમ ખોરાકનું પાચન થતાં આપોઆપ લોહી બને છે તેમ વિદ્યાનંુબુદ્ધિમાં પાચન થતાં તે આપોઆપ જ્ઞાન બને છે.વિદ્યાની આપલે કરવા વિદ્યાલયો હોય છે. કોઇએ કશે જ્ઞાનાલય સ્થાપ્યું હોય એવું સંાભળ્યું છે ખરૂં ? જ્ઞાન તો એક એવું ધામ છે કે ત્યાં જવા માટે સડકતો વિદ્યાની જ લેવી પડે પરંતુ જયાં સુધી આ સડક પુરી ન થાય અને ધામ ઉપર ન પહોંચાય ત્યાં સુધી વિદ્યાર્થી જ રહેવું પડે.જેની સહાયથી આપણે મેળવેલી વિદ્યાનું જ્ઞાનમાં પ્રિવર્તન થઇ જાય તે જ જ્ઞાનાલય અર્થાત સદ્ગુરૂ એટલે જ જ્ઞાનાલય.
હવે “અંધં તમઃ પ્રવિશન્તિ એ અવિદ્યામ્ ઉપાસતે” નો શું અર્થ થાય છે તે જોઇએ.પણ તે પૂર્વે અવિદ્યા એટલે શું તે જરા વધારે ઊડાણમાં સમજી લઇએ.અવિદ્યા એટલે વિદ્યાનો અભાવ નહીં. અહીં ‘અ’ એ નકારાત્મક પૂર્વગ નથી. મારી દ્રષ્ટિએતો આ અવિદ્યા એ શબ્દ મધ્યમ પદ લોપી સમાસ છે. અર્થાત અવિદ્યા એટલે અ‘પૂર્ણ’વિદ્યા.મેં આગળ દર્શાવેલું તેમ ‘પૂર્ણમદઃ પૂર્ણમ્ ઇદં’એ શાન્તિ મંત્ર સમજાવવા આ ઉપનિષદની રચના થઇ છે. તેથી જો આ પૂર્ણ શબ્દ ઉપર ધ્યાન રાખીશું તો આખું ઉપનિષદ સરળતાથી સમજાશે. પૂર્ણ એટલે સર્વાંગી અને અપૂર્ણ એટલે એકાંગી અથવા બહુઅંગી. અર્થાત જીવના કોઇ એક કે બે પાસાના વિકાસમાં જ મદદ કરે તે અવિદ્યા અને જેનાથી જીવનનો પૂર્ણ વિકાસ થાય તે વિદ્યા.જેમકે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું કે આંખમાં નેત્રમણિ મુકવો વગેરે ટેકનોલોજી, કાર કે પ્લેન વગેરેની ટેન્કોલોજી અને ટેલીફોન, ઇન્ટરનેટ વગેરે ટેકનોલોજી જીવનના વિવિધ અંગો માટે સહાયક નીવડે છે પરંતુ તે બધાં આંતરિક પ્રગતિમાં જરાયે સહાયક નથી થતાં બલકે તે કદીક વિઘ્નકારી બને છે.જે લોકો કેવળ અવિદ્યાની ઉપાસના કરે છે તે લોકો ગાઢ અંધકારમાં પ્રવેશે છે. એટલે કે આવા લોકો સર્વાંગી વિકાસ નથી સાધી શકતા.દેહની સુખ સગવડોના મોહમાં તેઓ આત્મોન્નતી નથી સાધી શકતા. કોઇ પણ બુદ્ધિશાળી વ્યકિત અવિદ્યાની ઉપાસના કરે ખરી ? કેવળ જેને વિદ્યા અવિદ્યા વચ્ચેનો ભેદ સમજાયો નથી તેને અનુલક્ષીને જ ઋષિએ આ શ્લોક રચ્યો છે.અંધશ્રદ્ધા રાખી વ્રત,કથા અને નિયમોનું પાલન કરવું એ પણ અવિદ્યા ની જ ઉપાસના છે. અર્થાત જે લોકો વિદ્યાની સડક – સર્વાંગી વિકાસ – ઉપર ચઢયાં જ નથી તેવા લોકો અવિદ્યાના ઉપાસકો છે અને આવા લોકો સદા ગાઢ અંધકારમાં જ રહે છે એમ ઋષિનું કહેવું છે.તો પછી ‘તતો ભૂય ઇવ તે તમઃ ય ઉ વિદ્યાયામ્ રતાઃ’ જે લોકો કેવળ વિદ્યાની સડક ઉપર છે તેવો એથી પણ વધુ ગાઢ અંધકારમાં પ્રવેશે છે એમ શાથી કહયું ! અહીં ફરી પૂર્ણની વ્યાખ્યા તપાસીએ -પૂર્ણ એટલે જેની બહાર કશું જ ન રહી ગયું હોય તે, જો આજની ટેકનોલોજીનો એટલે કે વિજ્ઞાનનો જીવના સર્વાંગી વિકાસમાં સમાવેશ ન કરીએ તો એ વિદ્યા પૂર્ણ કહેવાય જ નહીં. જીવનના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસમાં પૂર્ણ સહાય કરે તે વિદ્યા જ સાચી વિદ્યા કહેવાય પરંતુ આ વ્યવહારિક જગતમાં એવું બને છે ખરૂં ? જીવનના સર્વાંગી વિકાસ માટે આ ત્રણે પાસાઓનો વિકાસ જરૂરી છે.આપણા સહુનો અનુભવ છે કે વિદ્યાલયોમાં જઇ માથે ઉપાધીઓનો ટોપલો મૂકી ફરતાં વિદ્વાનો વ્રત વ્રતાદિની ટીકાકરવામાં જ એમનો સમય વ્યતિત કરતાં હોય છે.વળી બીજા તો એમ માનતા હોય છે કે આપણે આધ્યાત્મિક પ્રગતિ કરીએ તે જ સાચી વિદ્યા. અને આવી માન્યતાને કારણે શાસ્ત્રોનો અને ફીલોસોફીનો ઉપરછલ્લો અભ્યાસ કરી આધ્યાત્મ વિશે સુફીઆણી વાતો કરવામાં અને વિજ્ઞાનની ટીકા કરવામાં જ પ્રવૃત્ત રહેતા હોય છે. યજ્ઞ યાગાદિ પ્રવૃત્તિ કરાવતા પંડીતો અને કથા વાર્તા કહેતા મહારાજોથી કોણ અજાણ્યું છે. એ બધા,સત્સંગનો સાચો અર્થ શું એ સમજાવ્યાં વિના જ સહુને સત્સંગ કરવાની સલાહ આપતા રહે છે. જયાં સુધી આપણા વર્તન, વાણી અને વિચારમાં ‘સત’નું અંગ ભળે નહીં અર્થાત સતનો સંગ થાય નહી ત્યાં સુધી સત્સંગ થયો કહેવાય જ નહીં. લાંચ રુશ્વત કે છેતરપીંડીથી ધન ભેગું કરનારા ને ઘરમાં નિયમિત રીતે સેવા પૂજા કરનારા કે મંદિરે જનારા લાકોના મનમાં એમ હોય છે કે આપણને તો સડક મળી ગઇ છે એટલે આપણે તો ગંગા તરી ગયા.આવા ભૌતિક વિદ્યામાં પારંગત વિદ્વાનો કયારે પણ સંયમ કે શિસ્ત નથી કેળવી શકતા એટલું જ નહી પણ બલકે રહયાં સહયાં શિસ્ત અને સંયમને પણ ગુમાવી દે છે.એટલે કે મળેલી સડક ચૂકી જઇ આડે રવાડે ચઢી જાય છે.અને ગાઢ અંધકારને માર્ગે ચાલવા લાગે છે. પોતાનામાં રહેલ અહંકાર અને ગેરસમજનું જ આ કારણ છે અને તેથી જ તેઓ અંધકારની ગર્તામાં ડૂબે છે. જો શ્લોક નવને આ પ્રમાણે સમજીએ તો શ્લોક દસનું અર્થ ઘટન બહુ સરળ થઇ જાય છે. દસમાં શ્લોકમાં એમ કહયું છે કે ધીર પુરૂષોના અભિપ્રાય અનુસાર વિદ્યાથી જે કાંઇ મળે તેના કરતા અવિદ્યાથી કાંઇક જુદું જ મળે છે. એનો અર્થ એ કે અવિદ્યાથી પણ કાંઇક મળે છે તો ખરૂં જ. આગલા શ્લોકમાં આપણે જોયું કે આજની ટેકનોલોજી જીવનની સુવિધામાં કેટલો ભાગ ભજવે છે. તેજ પ્રમાણે કોઇ સાચા જ્ઞાની પાસે શાસ્ત્રો અને તત્ત્વજ્ઞાન અંગેની સાચી સમજ કેળવીએ તો મન અંતરમુખ કરી શકાય.આને જ સત્સંગ કહેવાયને? આટલું સમજયાં પછી શ્લોક અગીયારનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ.એમાં ઋષિ કહે છે કે વિદ્યા અને અવિદ્યા બેઉની ઉપાસના કરવી જોઇએ કારણ અવિદ્યાથી મૃત્યુ ટાળી શકાય છે જયારે વિદ્યાથી અમૃત મેળવી શકાય છે.પરંતુ ઋષિના આ વિધાનનો અર્થ યોગ્ય રીતે સમજવો હોય તો વિદ્યા અને અવિદ્યા તથા મૃત્યુ અને અમૃત વચ્ચે શું તફાવત છે તે જાણવું જરુરી છે. વિદ્યા એટલે પુરૂષ વિશેનું જ્ઞાન અને અને અવિદ્યા એટલે પ્રકૃતિ વિશેની જાણકારી. અને મૃત્યુ એટલે જીવનનો અભાવ (કે જે પૂર્નજન્મ થતાં પાછું મળે છે). અર્થાત જન્મ મરણનું ચક્ર જે પ્રકૃતિના બધા જ અંગોને આવરીલે છે. પરંતુ અમૃત (અ+મૃત) એટલે કે જે મર્યું નથી અથવા મરતું નથી તે અર્થાત જે શાશ્વત છે તે પુરુષ તત્ત્વ. પ્રકૃતિનું બીજું નામ છે માયા અને જે વ્યકિત પ્રકૃતિની ઉપાસના કરે છે તે અવશ્ય માયામાં ફસાય છે.આ ફસામણી એટલે જ વાસના. અને જયાં સુધી આ વાસના હયાત છે ત્યાં સુધી ફરી ફરી નવા નવા જન્મ લેવા પડે છે. અર્થાત મૃત્યુનો ત્યાગ કરી “મૃત્યું તીર્ર્ત્વા નવું જીવન સ્વિકારવું પડે છે.પરંતુ જે વ્યકિત પુરૂષની ઉપાસનામાં રત છે તે મુકિત મેળવી શાશ્વત ને પામે છે.
“ઇશાવાસ્ય શ્લોક ૬,૭,૮” November 21, 2007
Posted by girishdesai in : ચિંતન લેખ , add a commentશ્લોક- ૬
યત્સુ સર્વાણિ ભૂતાનિ આત્મન્યેવાનુપશ્યતિ
સર્વભૂતેષુ ચ આત્માનં તતો ન વિજુગુપ્સતે
પણ જુએ જે સર્વ ભૂતોને,આત્મમાં જ સદા રહ્યાં
અને જુએ જે વળી આત્માને,સર્વ ભૂતોમાં રહ્યો
ન થાય જાણજો તેને, કદીયે કોઇની ઘૃણા.
શ્લોક-૭
યસ્મિન્ સર્વાણિ ભૂતાનિ આત્મૈવાભૂદ્ વિજાનતઃ
તત્ર કો મોહઃ કઃ શોક એકત્વમ્ અનુપશ્યતઃ
જાણે છે જે આત્માને જ, સર્વ ભૂતો બની રહ્યો
જુએ એકત્વ જે આવું, તેને હર્ષ કે શોક શો?
અહીં આપણે સર્વભૂતોનો અર્થ સમાજ કરીએ અને આત્મવતનો અર્થ પોતાની જાત કરીએ તો આ બેઉ શ્લોકનો સરળ અર્થ એ થાય કે જયારે કોઇ પણ વ્યકિત અમુક સંજોગોમાં પોતાની જાતને બદલે પોતાના સમાજનો વિચાર કરી વર્તે તો તે બીજાઓની નીંદાને પાત્ર નથી થતી અને પોતે પણ બીજાઓની નિંદા કરવા નથી પ્રેરાતી દા.ત. જો આજના આપણા કહેવાતા નેતાઓ અને પ્રધાનો, આપણા કહેવાતા સંત અને સાધુઓ જો પોતાના ખીસ્સા ભરવાને બદલે કે આશ્રમો સ્થાપવાને બદલે તે જ દ્રવ્યનો સમાજિક કાર્યમાં વ્યય કરે તો પછી નિંદાને પાત્ર બને ખરાં ? જો તેઓ લાંચરૂશ્વતનો કે આશ્રમો સ્થાપવાનો મોહ છોડી દે તો તેઓ ઘૃણાને પાત્ર થાય ખરા ? અને જો તેઓ બીજા પ્રત્યે મનમાં ઘૃણા ન રાખે તો જ આમ કરી શકે ને ? જે સ્વાર્થ ત્યજે તે જ પરમાર્થી કે નિસ્વાર્થિ થઇ શકે. જે મનુષ્ય બધામાં ઇશ્વર છે એવું સમજે એટલે કે બધા ઇશ્વરનો જ અંશ છે એમ સમજે તે બુદ્ધિમાન કે વિવેકી કહેવાય અને આવી વ્યકિત મહદ્ અંશે પરમાર્થીેહોય છે.પરંતુ જે વ્યકિત ઇશ્વરમાં બધાને જુએ છે યાને કે બધું જ ઇશ્વરમય છે એમ સમજે છે તેને શ્રદ્ધાળુ કે વિનયી કહેવાય અને તે મહદ્ અંશે નિસ્વાર્થી હોય છે.વળી જે વ્યકિત બધામાં ઇશ્વરને અને ઇશ્વરને બધામાં જુએ છે યાને કે જે વ્યકિતને ઇશ્વર સિવાય કશું દેખાતું નથી તેને જ્ઞાની કહેવાય.આવી વ્યકિત જ પરમહંસ કહેવાય. શ્રી રામકૃષ્ણ આ પરમહંસ કોટીના હતા.તેમને ઘાસના તણખલામાં પણ ઇશ્વર દેખાતો. અને તેથી જો કોઇ ઘાસ ઉપર ચાલે તો ઘાસને થતી લાગણી પોતે અનુભવતા. આને “એકત્વમ્ અનુપશ્યતઃ” કહેવાયને ? આવા જ્ઞાનીને હર્ષ શું કે શોક શું. તે કોની ઘૃણા કરે ? શ્રી રામકૃષ્ણના જીવનમાં બનેલો આ એક બનાવ છે.એક વખત તેમણે દૂરથી બે માછીમારોને લડતાં જોયા.એ બેમાંથી જેને માર પડયો એની પીઠના સોળ તેમની પોતાની પીઠ ઉપર ઉપસી આવ્યાં. એકત્વના અનુભવનું આનાથી વધુ સારૂં ઉદાહરણ કશે મળે ખરૂં ? આવો મનુષ્ય જ કાલી માતા માટેના ફૂલ પોતાને માથે ચઢાવી શકે.વેદ વેદાન્તમાં વર્ણવેલાં તત્ત્વજ્ઞાનની સત્તા”સત્યતા”આવા મનુષ્યો જ પુરવાર કરી શકે છે.જયાં સુધી ભારતની ભૂમિ ઉપર શ્રી શંકરાચાર્ય,શ્રી ચૈતન્ય મહાપ્રભુ,શ્રી રામકૃષ્ણ પરમહંસ અને શ્રી રમણ મહર્ષિ જેવા મનુષ્યો જન્મ લેશે ત્યાં સુધી વેદાન્તોની સત્તાને કોઇ ઝાંખપ નહીં લગાડી શકે. કોઇ એનો પરાજય નહીં કરી શકે.મારી દૃષ્ટિએ શ્રી કૃષ્ણએ ગીતામાં જે – યદા યદાહિ ધર્મસ્યનું- ઉચ્ચારણ કર્યું તે એટલું જ સમજાવવા કે જયારે જયારે મોટા ભાગના લોકોને વેદોના જ્ઞાન અંગે મનમાં આશંકા અને અશ્રદ્ધા ઉપજે છે ત્યારે ત્યારે હું આવી વ્યકિત રૂપે અવતાર ધારણ કરૂં છું.સંભવામિ યુગે યુગે. આ આખું જગત ઇશતત્ત્વથી આચ્છાદિત છે એવું કહેનાર ઇશાવાસ્યના રચયિતા ૠષિ પણ આવી જ પરમહંસ કોટીના હશે એમા મને જરાય શંકા નથી. શ્લોક ચાર અને પાંચમા વર્ણવેલું બ્રહ્મનું સ્વરૂપ કેવળ શ્રીરામકૃષ્ણ જેવા ગુરૂ વીના શ્રી વિવેકાનંદ જેવા શિષ્યને કોણ સમજાવી શકે ?
શ્લોક-૮
સઃ પર્યગાત્ શુક્રમ્ અકાયમ્ અવ્રણમ્ અસ્નાવિરં શુધ્ધમ્ અપાપ વિધ્ધમ્
કવિઃમનીષી પરિભૂઃ સ્વયંભૂઃ યથાતથ્યતઃ અર્થાન્ વ્યદધાત્ શાશ્વતીભ્યઃ સમાભ્યઃ
જે છે સ્નાયુ વિહોણું, અકાય,અપાપવિધ્ધ
‘ ને વળી છે વ્રણ વિહીન અને શ્ચેત, શુધ્ધ
કવિ,પરિભૂ,મનીષી, સ્વયંભુ
છાઇ રહ્યું તે ગોઠવી સર્વને નિત્ય સ્થાને
અથવા
સ્નાયુ વિહીન અકાય અપાપવિદ્ધને
અને વ્રણ વિહીન તે શ્વેત તથા શુદ્ધને
કલ્પી રહયો જે કવિ પરિભુ મનીષી સ્વયંભુ
તે જાણી ગયો સ્થાન નિત્ય સર્વ પદાર્થ કેરા.
આ શ્લોકનું અર્થ ઘટન બે રીતે કરી શકાય એમ છે અને તેથી જ તેનો અનુવાદ પણ મેં બે રીતે કરવાનો પ્રયત્ન કર્યો છે.આ શ્લોકને આગળના શ્લોક ચાર અને પાંચ સાથે સાંકળી તે સંદર્ભમાં અથવા તો શ્લોક છ અને સાત સાથે સાંકળી બીજા સંદર્ભમાં જોઇ શકાય તેમ છે. શ્લોક આઠની પહેલી બે પંકિતઓમાં તો ૠષિએ એમને થયેલ બ્રહ્માનુભુતિનું વર્ણન કર્યું છે,પરંતુ ત્રીજી પંકિતમાં વપરાયેલા કવિ,પરિભુ,મનીષી અને સ્વયંભુ આ ચાર વિશેષણો કોને માટે વાપરવા તેનો આધાર આ શ્લોકને કયા સંદર્ભમાં સમજીએ છીએ તેના ઉપર છે.જો આપણે આ શ્લોકને શ્લોક ચાર અને પાંચની સાથે સાંકળીએ તો આ વિશેષણો બ્રહ્મને લાગુ પડે છે પરંતુ જો આપણે તેને શ્લોક છ અને સાત સાથે સાંકળીએ તો આજ વિશેષણો સાધકને માટે વપરાયા હોય એમ લાગે છે.હવે આ શ્લોકને શ્લોક ચાર અને પાંચના સંદર્ભમા જોઇએ તો
કવિ= ક્રાન્તદર્શી અર્થાત ભૂત અને ભાવિ બધું જોનારો, સર્વજ્ઞ.
પરિભુ= ચારે બાજુ અસ્તિત્વ ધરાવતો અર્થાત સર્વવ્યાપી.
સ્વયંભુ= પોતાની સ્વશકિતથી ઉદ્ભવેલો અર્થાત સર્વશકિતમાન અને
મનીષી= જેનો વિશ્વમન ઉપર કાબુ છે તેવો અર્થાત ઇશ્વર.
વ્યદધાત્ નો અર્થ છે ઉત્પન્ન કરી વ્યવસ્થિત ગોઠવ્યાં.
આ રીતે જોતાં આ શ્લોકનો અર્થ નીચે પ્રમાણે થઇ શકે.
જે કાયા અને સ્નાયુઓ વિહીન છે, જે પાપ અને જખ્મ વિહીન છે, જે શુદ્ધ અને શ્વેત છે તથા જે સર્વજ્ઞ અને સર્વવ્યાપી છે,એવા સ્વયંભુ ઇશ્વરે શાશ્વત કાળથી આ સૃષ્ટિમાં વ્યાપ્ત થઇ બધાં જ પદાર્થોને પોત પોતાના મુકરર સ્થાને વ્યવસ્થિત રીતે ગોઠવ્યાં.
હવે જો આજ વિશેષણો સાધકને માટે વાપરીએ તો
કવિ= સૃષ્ટિની સર્વે વસ્તુમાં રસ ધરાવનારો. કવિ હૃદય જ પથ્થરથી માંડીને પ્રિયતમા સુધીના કાવ્યો રચે ને?
સ્વયંભુ= પોતાની જાત મહેનતથી જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવો જ્ઞાની પુરૂષ.
મનીષી= એકનું જ ચિંતન કરનારો અર્થાત ધ્યાની કે સ્થિતપ્રજ્ઞ.
વ્યદધાત=સમજી લીધાં કે મનમાં વ્યવસ્થિત ગોઠવી લીધાં.
આ દ્રષ્ટિએ જોતાં એવો અર્થ થઇ શકે કે કવિ હૃદયના ધ્યાની અને જ્ઞાની એવા સાધકને બ્રહ્મના સ્નાયુ વિહોણા,અકાય નિષ્પાપ,જખ્મ વિહીન,શ્વેત અને શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ થતાં,સૃષ્ટિના સર્વ પદાર્થોની યોગ્યતા બલ્કે સાર્થકતા, શું છે અને તેમનું આ સૃષ્ટિમાં શું સ્થાન છે, શું પ્રયોજન છે, તે વાત તેને બરાબર સમજાઇ ગઇ. શ્લોક છ અને સાતમા બ્રહ્મ અને સૃષ્ટિ વચ્ચે તાદાત્મ્ય અનુભવતા સાધકનું વર્તન કેવું હોય છે બતાવ્યું છે પરંતુ આઠમા શ્લોકમાં આવા સાધકની મનોસ્થિતિનું વર્ણન છે. આ શ્લોક નો ક્રમાંક આઠ છે તેથી તેને શ્લોક છ અને સાતના સંદર્ભમાં જોવો એજ વધુ ઉચિત ગણાય એમ મારૂં માનવું છે. હવે આપણે શ્લોક ૯,૧૦ અને ૧૧ને એક સમુહમાં જોઇશું.
આગળ હવે પછી,
“ઇશાવાસ્ય શ્લોક-૩-૪-૫” November 19, 2007
Posted by girishdesai in : ચિંતન લેખ , add a commentશ્લોક-૩
અસુર્યા નામ તે લોકા અંધેન તમસા આવૃતાઃ
તાંત્સે પ્રેત્યાભિ ગચ્છન્તિ યે કે ચાત્મહનો જનાઃ
છે ધામ અસુરો કેરૂં જે ઘેરાયું અંધકાર ગાઢથી
આત્મઘાતી જનો છે જે, જઇ પહોંચે ત્યાં મૃત્યુ પછી.
અસુરઃ= અસુસુ રમન્તે ઇતિ અસુરઃ= ઇન્દ્રિયોના ભોગમાં રાચનારા
પ્રેત્ય = પ્ર+ઇત્ય અહીંથી જઇને એટલે મૃત્યુ પછી.
આ શ્લોકનો અર્થ છે ,આત્મઘતી લોકો મૃત્યુ પછી ગાઢ અંધકારથી ઘેરાયેલા અસુરોના ધામમાં જઇ પહોંચે છે. તો શું આત્માનો ઘાત થઇ શકે ખરો ?
છેદે ના શસ્ત્રો જેને, બાળે ના અગ્નિ પણ કદી
ભીંજવે ન પાણી જેને, ન સુકાયે વાયુથી વળી.
તો થઇ શકે શું ઘાત તેનો કોઇથી કદી ?
આવા આ અજરામર આત્માનો ઘાત કેવી રીતે થાય ? અહીં ઘાતનો અર્થ હત્યા કે પ્રહાર એવો નથી કરવાનો. અહીં તેનો અર્થ છે અવગણના અથવા અવહેલના.જે લોકો અસુરો છે યાને કે જેઓ ઇન્દ્રિયોના ભોગમાં રાચે છે,જેઓ ભૌતિક સુખમાં રચ્યા પચ્યા રહે છે તેઓ જ બ્રહ્મને ભૂલી શકે ને ? તેઓ જ બ્રહ્મની ઉપેક્ષા કે અવગણના કે અવહેલના કરી શકે ને ? આવી વ્યકિતઓ જયાં રહે તેને અસુરોનંુધામ કહેવાય.આ આપણી પૃથ્વી એટલે જ અસુરોનું ધામ.અને તેથી તો જન્મ મરણના ચકકર અહીં જ કાપવા પડે છે. ગીતાના સોળમાં અધ્યાયમાં આ અસુરોની વૃત્તિ કેવી હોય છે અને તેને કારણે તેમની શી વલે થાય છે તેનું વર્ણન શ્રી કૃષ્ણએ સ્વમુખે કર્યું છે.
અહંકારં બલં દર્પમ્ કામં ક્રોધં ચ સંશ્રિતાઃ
મામાત્ અપર દેહેષુ પ્રદ્વિષન્તો અભ્યસૂયકાઃ ગીતા ૧૬-૧૮
તાન્ અહં દ્વિષતઃ ક્રૂરાન્ સંસારેષુ નરાધમાન્
ક્ષિપામિ અજસ્રમ્ અશુભાન આસુરીષુ એવ યોનિષુ ગીતા ૧૬-૧૯
એટલે કે અહંકાર, બળ, ગર્વ તથા કામ અને ક્રોધ વગેરેનો આશ્રય લઇ બીજાઓ પત્યે દ્વેષ કરનારા- અસુર લોકો – તેમની પોતાની અંદર તેમ જ બીજાઓની અંદર રહેલા મારા સ્વરૂપનો જ દ્ધેષ કરે છે. મારી જ અવગણના કરે છે. અને આવા દ્વેષી, ક્રૂર નરાધમોને હું અમંગળ એવી આસુરી યોનીમાં વારંવાર નાખું છું. ત્યાં જ ફરી ફરી મોકલું છું. વળી વીસમા શ્લોકમાં કહે છે કે,
આસુરીં યોનિમ્ આપન્ના મૂઢા જન્મનિ જન્મનિ
મામ્ અપ્રાપ્યૈવ કૌન્તેય તતો યાન્તિ અધમા ગતિમ્ ગીતા ૧૬-૨૦
આસુરી યોનિને પામેલા આ મૂઢ લોકો, મને નહીં પામતા જન્મો જન્મ વધારે અધમ ગતિને પામે છે. ગીતાના આ ત્રણ શ્લોકમાં જે વાત સમજાવી તેજ વાત ઇશાવાસ્યના ત્રીજા શ્લોકમાં સમજાવી છે.આ પૃથ્વી ઉપર કેવળ અસુરો જ નથી રહેતા. મને લાગે છે કે અહીં અસુર કહીને ઋષિએ તામસિક લોકોનો ઉલ્લેખ કર્યો છે.આગળ ચાલતા સમજાશે કે ઋષિ રાજસિક અને સાત્વિક લોકોને પણ આ વાત સમજાવે છે જ પરંતુ જુદા શબ્દોમાં. આમ પહેલા ત્રણ શ્લોકમાં ઋષિએ પુરૂષ અને પ્રકૃતિનું સ્વરૂપ કેવું છે અને તે બે વચ્ચેનો સંબંધ કેવો છે, નિષ્કામ કર્મની શી આવશ્યકતા છે અને તે માર્ગે નહીં ચાલનાર વ્યકિતઓની કેવી કફોડી સ્થિતિ થાયછે તે કહયું. હવે શ્લોક ચારને પંાચમા ઋષિની વિચાર ધારા વળાંક લેતી હોય એમ લાગે છે. તેમની સમક્ષ બેઠેલા વિદ્યાર્થિઓનું ભાન ભૂલી ઋષિ અર્ધસમાધિ અવસ્થામાં પહોંચી ગયા હોય તેમ લાગે છે. તેમને પોતાને થયેલી અનુભૂતિમાં ગરકાવ થઇ તેનું વર્ણન કરતા હોય તેમ તેઓ કહે છે,
શ્લોક-૪
અનેજદેકં મનસો જવીયો નૈનદ્ દેવા આપ્નુવન્ પૂર્વમર્ષત્
તદ્ ધાવતો અન્યાનત્યે તિ તિષ્ઠત્ તસ્મિન્નપો માતરિશ્વા દધાતિ
જે હાલે નહીં, ‘ને અદ્વૈત છે, મનથી છે વેગીલું વળી
ન પહોંચે ઇન્દ્રિયો જેને,સહુથી આગળ તે રહયું.
સ્થિર છતાં દોડતું જાયે કરી ધારણ વિશ્વ પ્રાણને.
આ ઇશ તત્ત્વ અદ્વૈત છે. તે હાલ્યા વગર જ મન કરતાં પણ વધુ વેગથી દોડે છે. ઇન્દ્રિઓ તેને આંબી શકતી નથી. તે સ્થિર હોવા છતાં સહુથી આગળ નીકળી જાય છે. અને તે સૃષ્ટિની જીવન શકિતનો (વિશ્વપાણ- માતરિશ્વા) આધાર છે. આવા વિરોધાભાસી શબ્દો જરૂર મનમાં ગુંચવણ ઉભી કરે છે.પરંતુ એક ઉદાહરણથી કદાચ આ વાત સમજી શકાશે. એક વિશાળ શાંત સરોવરના સ્થિર પાણીમાં તરતી હોડીનો દાખલો લઇએ. હોડી ગમે તેટલા વેગથી ચાલતી હોય છતાં પેલું સ્થિર પાણી તેની સામે ને સામે જ હોવાનું તેનાથી આગળ જ રહેવાનું અને આમ થવાનું કારણ છે સરોવરની વિશાળતા.તો પછી આ અનંત,સર્વવ્યાપી, સારાએ વિશ્વના ચેતને ધારણ કરનાર પુરૂષ તત્ત્વને કોણ આંબી શકે ? અને તેની ગતી માપવી હોય તો તેમાંથી બહાર નીકળી તેનાથી દૂર જઇને મપાય અથવા આપણે પોતે સ્થિર રહીએ અર્થાત આપણા મનને સંપૂર્ણ રીતે સ્થિર કરીએ તો તે શકય થાય ખરૂં. એટલે જ સિદ્ધ જ્ઞાનીઓ મનને એકાગ્ર કરી સ્થિર કરવાની સલાહ આપતાં હોય છે ને ? શ્લોક ચાર અને પાંચમાં ઋષિ સિદ્ધિને આરે આવીને ઉભેલાં પુરૂષોને ઉદ્દેશીને કહેતાં હોય એમ લાગે છે. શ્લોક છ અને સાત વાંચતા આ વાત સ્પષ્ટ થશે. નિર્ગુણના ગુણ સમજવા અને સમજાવવા એ અતિ કપરૂં કામ છે.
જેમ,પદાર્થ વિના શકિતની પ્રતીતિ નથી થતી
અને શકિત વિના પદાર્થની પ્રગતિ નથી થતી
તેમ જ પુરૂષ વિના પ્રકૃતિનો અનુભવ નથી થતો
અને પ્રકૃતિ વિના પુરૂષની અનુભુતિ નથી થતી.
તેથી જ પુરૂષે પોતાની પ્રતીતિ કરાવવા સારૂં આ ત્રણ ગુણવાળી સૃષ્ટિ સર્જી છે.જયારે કોઇ મનુષ્ય પોતાની વિવેક બુદ્ધિથી આ ત્રણે ગુણ પુરેપુરા સમજીને,અનુભવીને,નિસ્ત્રૈગુણ્ય થવાનો પયત્ન કરે છે ત્યારે જ તેને પુરૂષની પ્રતીતિ યાને અનુભૂતિ થાય છે. મારી દ્રષ્ટિએ કર્મયોગ એ જીવનમાં આવી પ્રગતિ કરવાનું સાધન છે જયારે જ્ઞાનયોગ એ પુરૂષની પ્રતીતિ કરવાનું સાધન છે. જ્ઞાનનું આસન કર્મ,શ્રદ્ધા અને ભકિત રૂપી ત્રણ પાયાની બનેલી ત્રિપાઇ ઉપર હોય છે. કર્મ કરી બુદ્ધિ કેળવવી, બુદ્ધિથી શ્રદ્ધા મજબૂત કરવી અને આ બે પાયા મજબૂત થતાં ભકિત રૂપી પાયો આપોઆપ સ્થિર થઇ જાય છે. જયારે આ ત્રણે પાયા સ્થિર થાય ત્યારે જ જ્ઞાન તેના ઉપર સ્થિરતાથી બેસી શકે
શ્રદ્ધા,ભકિત અને કર્મ તણાં,ત્રણ પાયાની એક ત્રિપાઇ જ્ઞાનદેવ બેસે તે ઉપર,આસન સ્થિર જમાવી
જેણે પ્રગતિ કરીને પુરૂષની પ્રતીતિ કરી હોય તેને જ આશ્લોકનો સાચો અર્થ સમજાય. એવી શકિત મારામાં તો નથી જ.
શ્લોક-૫
તત્ એજતિ તત્ ન એજતિ, તત્ દૂરે તત્ ઉ અન્તિકે
તત્ અન્તરસ્ય સર્વસ્ય તત્ ઉ સર્વસ્ય અસ્ય બાહ્યતઃ
હાલે તે, ન હાલે તે કદી,રહે દૂર ’ને વળી પાસમાં
સહુની ભીતરે વસે છે તે, ’ને વસે સહુની બહારે સદા.
આ શ્લોકનો શબ્દાર્થ લગભગ ચોથા શ્લોક જેવો જ છે પરંતુ ભાવાર્થ અતિ કઠણ નથી.આમાં ઇશતત્ત્વની વ્યાપકતા કેટલી છે તે જ બતાવ્યું છે. તે સહુથી દૂર અર્થાત કે બ્રહ્માંડની સરહદને પેલે પાર હોવા છતાં સહુથી નજદિક યાને કે સહુની ભીતરમાં પણ તે જ તત્ત્વ રહેલું છે.અહીં ઋષિ પહેલા શ્લોકમાં કરેલી ઇશ્વરની સર્વવ્યાપકતાનું પુનરુચ્ચારણ કરતાં હોય એમ મને લાગે છે.ખરૂં જોતાં ઇશતત્વ બધાની અંદર અને બહાર છે એમ કહેવા કરતાં બધું જ ઇશતત્ત્વમાં છે એમ કહેવું વધારે યોગ્ય લાગે છે. જેમકે ઘડાની અંદર અને બહાર પાણી છે એમ કહેવા કરતાં ઘડો પાણીમાં છે એમ કહેવું વધારે યોગ્ય લાગે છે.આ હાલવું (સાપેક્ષતા) અને ન હાલવંુ(નિરપેક્ષતા) એતો ગતિની વાત થઇ, પરંતુ આ ગતિ કોની ? કેવળ મનની જેનું મન ભમતું તેનું જગત ભમતું જેનું મન સ્થિર તેનું જગત સ્થિર. જેનું મન બિલકુલ શાંત થઇ જાય તેને જ ઇશ્વરની અનુભૂતિનો આસ્વાદ મળી શકે. મનનું મૃત્યુ એટલે જ મોક્ષ.મક્ષતો જીવતે જીવ જ મળે.મૃત્યુ પછી તો મુકિત મળે.મન જયારે વાસનાની પકડમાંથી છૂટે તેને મોક્ષ કહેવાય પરંતુ સાથે સાથે દેહ જયારે પંચ મહાભૂતની પકડમાંથી અને ચિત્ત જયારે અહંકારની પકડમાંથી છૂટે ત્યારે જ મુકિત મળી કહેવાય. ઇશતત્ત્વમાંતો કયારેયે કોઇ પણ જાતનો ફરક શકય જ નથી. સારી સૃષ્ટિના હલન ચલન માટે કોઇ જવાબદાર હોય તો તે છે માનવનું મન. શ્લોક છ અને સાતમા પણ મનની સ્થિતિનુ કેવું પરિણામ આવે છે તેનો ઉલ્લેખ કર્યો છે.
વધુ હવે પછી.
“ઇશાવાસ્ય, શ્લોક -૧,૨” November 15, 2007
Posted by girishdesai in : ચિંતન લેખ , add a comment શ્લોક -૧
ઇશાવાસ્યમ્ ઇદં સર્વમ્ યત્કિંચ જગત્યાં જગત્
તેન ત્યકતેન ભુંજીથા મા ગૃધઃ કસ્ય સ્વિદ્ ધનમ્
વિશ્વમાં વસ્યું જે કંાઇ, વસ્યું ઇશતત્ત્વ તેમાં સદા
ત્યાગીને ભોગવી જાણો,ન રાખો ગીધ વૃત્તિ કદા
જાણો છો, આ ધન (વિશ્વ)કોનંુ છે ભલા ?
ઇશાવાસ્ય એ શબ્દની સંધિ બે રીતે છુટી પાડી શકાય છે એ વાતનો ઉલ્લેખ મેં શરૂઆતમાં કરેલો.વસનો અર્થ જો વસ્ત્ર કરીએ તો ઇશાવાસ્યનો અર્થ થાય ઇશ્વર રૂપી વસ્ત્રથી આચ્છાદિત એટલે કે ઇશ્વરમાં સમાયેલું અને જો વાસનો અર્થ રહેઠાણ “આવાસ” કરીએ તો ઇશ્વર જેમાં વસેલો છે તે.આમ ઋષિએ એક જ શબ્દમાં કહયું કે ઇશતત્ત્વ રૂપી વસ્ત્રથી આ આખું જગત આચ્છાદિત છે અને આ અસ્થાયી જગતના કણ કણમાં ઇશ્વરનો વાસ છે.અર્થાત ઇશ્વર સર્વ વ્યાપી છે.વળી ઋષિ એવી સલાહ આપે છે કે આ જગત ત્યાગીને ભોગવો.અહીં ત્યાગનો અર્થ છે નિર્મોહ. જગતમાં જે કંાઇ જાણવા કે માણવા મળે તેનો મોહ ન રાખવો.અર્થાત જીવનની બધી જ પવૃત્તિ નિષ્કામ ભાવે કરવી.આ જગતનો કેવળ ઉપભોગ જ ન કરતાં શકય હોય તેટલંુ બીજાઓ માટે ઉપયોગી થવું.આપણે સહુ આ પ્રકૃતિના અંગ રૂપ છીએ એવી સમજ કેળવવી એ અતિ આવશ્યક છે.જેમ શરીરના વિવિધ અંગો પોતાના પોષણ માટે લોહીનો ઉપભોગ જરૂર કરે છે છતાં પોતાની ફરજ બજાવવામાં અને એક બીજાને સહાય કરવામાં પાછી પાની નથી કરતા.જયારે શરીરનું એકાદ અંગ પોતાંની ફરજ ચૂકે છે ત્યારે જ શરીરમાં રોગ દાખલ થાયછે ને? ધારોકે લોહી હૃદયમાં પહોંચે પછી હૃદય એમ કહે કે આ લોહી હું મારે માટે જ સંગ્રહી રાખીશ બીજા અંગોને નહીં આપું તો શું થાય? હાર્ટએટેક કે બીજું કાંઇ ?
એટલે જ ઋષિ એ કહયું કે ત્યાગીને ભોગવી જાણો ન રાખો ગીધવૃત્તિ “સંગ્રહવૃત્તિ કદા.” વધારાનું ત્યજી દઇ જરૂર પુરતું ભોગવો.ઋષિ વળી ઠપકો આપતાં પુછે છે કે અરે ભાઇ તને ખબર છે ખરી કે આ ધન કોનું છે ? હું જો એમ માનું કે ઇશ્વરતો મારો બાપ છે એટલે આ બધુંય મારા બાપનું જ કહેવાયને ? વાત સાચી,પણ બાપ હજી જીવતો બેઠો છે. હજી એણે મારે નામે કશું મૂકયું નથી એ પણ મારે યાદ રાખવું રહયું. આ શ્લોકમાં ઋષિએ નિષ્કામ કર્મ ઉપર ખાસ ભાર મુકયો છે. હવે પછીના શ્લોકમાં જીવન કેમ જીવવું તે અંગે ઋષિ સમજાવે છે.
શ્લોક-૨
કુર્વન્ એવેહ કર્માણિ જિજીવિષેત્ શતં સમાઃ
એવં ત્વયિ નાન્યથેતોઅસ્તિ ન કર્મ લિપ્યતે નરે
આમ જ કરતા રહી કર્મો, ઇચ્છો આયુ સો વર્ષનંુ
ઉપાય ન બીજો કોઇ , તો થશે નહીં બંધન કર્મનું.
આ આખું જગત ઇશ તત્ત્વથી વ્યાપ્ત છે એવું મનમાં ઠસી જાય પછી માણસે નિષ્કામ કર્મની વૃત્તિ કેળવવી અને એવી વૃત્તિ રાખી સો વર્ષનું આયુષ્ય ભોગવવાની ઇચ્છા રાખવી.ઋષિએ અહીં સો વર્ષનો ઉલ્લેખ કેમ કર્યો હશે ? કારણ કે તે જમાનામાં ઘણાં લોકો વર્ણાશ્રમ પદ્ધતિ અનુસાર જીવન વ્યતીત કરતા હતાં.પચીસ વર્ષનો એક એવા ચાર “બહ્મચર્ય,ગૃહસ્થ,વાનપ્રસ્થ અને સંન્યસ્ત” આશ્રમોનો પુરેપુરો અનુભવ મેળવી લેવાની તક ન ચૂકવી જોઇએ. તો જ આ પ્રકૃતિનો પાકો પરિચય થાય એમ ઋષિનું કહેવું છે.આ ચાર આશ્રમોના – આ ચાર પ્રકારના શ્રમોના – મુખ્ય બે વિભાગ પાડી શકાય. પહેલા વિભાગમાં આવે બહ્મચર્ય અને ગૃહસ્થાશ્રમ તથા બીજામાં આવે વાનપ્રસ્થ અને સંન્યસ્તાશ્રમ.પહેલો વિભાગ ભૌતિક જીવનના વિકાસ માટે એટલે કે પ્રકૃતિને સમજવા માટે છે જયારે બીજો વિભાગ આધ્યાત્મિક જીવનના વિકાસ માટે અટલે કે પુરૂષને સમજવા માટે છે.બહ્મચર્ય આશ્રમ એ સુખી જીવન માટે વ્યકિતએ પોતના કુટુંબ,સમાજ અને સૃષ્ટિ સાથે કેવો સંબંધ રાખવો જોઇએ તે અંગેના સિધ્ધાંતો શીખવા માટે છે. આ આશ્રમ દરમિયાન વ્યકિતના ભરણ પોષણની અને તેના શિક્ષણની જવાબદારી મુખ્યત્વે તેના કુટુંબ અને તેના સમાજને માથે રહે છે. (એટલા માટે જ વિદ્યાર્થીઓ ભિક્ષા માંગવા નીકળતા) જીવનના પહેલાં પચીસ વર્ષ જીવની આ બધી વિદ્યા શીખવામાં તેણે ગાળવા જોઇએ. તેથી જ બહ્મચર્ય આશ્રમને વિદ્યાર્થી અવસ્થા પણ કહેવાય છે.આ સમય પૂરો કરી છવ્વીસથી પચાસ વર્ષ આ બધી વિદ્યાનો જીવન વ્યવહારમાં ઉપયોગ કરવાનો છે. ગૃહસ્થ બની ઉગતી નવી પેઢીને કેળવવાની જવાબદારી માથે લેવાની છે. તેથી જ આ આશ્રમ ગૃહસ્થાશ્રમ કહેવાય છે.આમ જીવનના પચાસતો પૂરા કર્યાં. હવે પચાસથી પંચોતેરમાં જીવનના આધ્યાત્મિક વિકાસ માટેના સિદ્ધાન્તો શિખવાના છે.આધ્યાત્મિક વિકાસ માટે મનને અંતરમુખ કરવું એ અતિ આવશ્યક છે. અને તે ત્યારે જ શકય થાય કે જયારે મન ગૃહસ્થ જીવનની જંજાળમાંથી છૂટે. પરંતુ આગલા પચાસ વર્ષની પડેલી ટેવો આસાનીથી છૂટે ખરી ? એટલે આ પચીસી દરમિયાન ધીરે ધીરે તેનાથી મુકત થતાં જવું. આ આશ્રમ દરમીયાન મનુષ્યે પોતાની જવાબદારીઓ નવી પેઢીને સોંપી દેતા શીખવાનું છે. અને આ-શ્રમમાં નિપુણતા મેળવીને જીવનની શેષ પચીસીમાં એટલે કે સન્યસ્તાશ્રમ વેળા મનને શ્રવણ, મનન અને નિદિધ્યાસ તરફ વાળવાનું છે.આ શ્લોકમાં નિષ્કામ કર્મ ઉપર ખાસ ભાર મુકતાં ઋષિએ કહયું કેે કર્મના લેપનથી જો મુકિત મેળવવી હોય તો કેવળ આ એક જ માર્ગ છે. ઇશાવાસ્યના આ પહેલા બે શ્લોક સમજાવતાં ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન
મા કર્મફલહેતુઃ ભુઃ મા તે સંગો અસ્તુ અકર્મણિ ગીતા ૨-૪૭
હે અર્જુન, તારામાં કેવળ કર્મ કરવાની જ લાયકાત છે, તેનું ફળ કેવું અને કયારે મળશે તે જાણવાની લાયકાત તારામાં નથી માટે ફળ મેળવવાનો હેતુ ન રાખ, અર્થાત નિષ્કામ કર્મ કર. અહીં અધિકારનો અર્થ લાયકાત કરવો જ યોગ્ય લાગે છે, જેમકે ડૉકટરને દવા આપવાનો અધિકાર છે એટલે કે તેનામાં એ લાયકાત છે. ઇશ્વરે મનુષ્યને ઇન્દ્રિઓ આપી એને કર્મ કરવાની લાયકાત આપી છે. તેથી તો તે કર્મેન્દ્રિઓ કહેવાય છે.પણ કર્મનું ફળ શું હોવું જોઇએ અને કયારે મળવું જોઇએ એનો નિર્ણય કરવાની લાયકાત(શકિત) ઇશ્વરે મનુષ્યને નથી આપી. કર્મનું ફળ કેવું અને કયારે મળવું જોઇએ તેનો નિર્ણય કરવા, કયા કર્મો કયારે કર્યાં, કેવી રીતે કર્યાં, શા કારણથી કર્યાં એ બધાની નોંધ હોવી જોઇએ.મનુષ્ય સવારની વિગતો સાંજ સુધીમાં ભૂલી જાય છે તો તે આ સારાએ જીવનના અને તદ ઉપરાંત પૂર્વ જીવનાનાં બધાય કર્મો કેવી રીતે યાદ રાખી શકે ? એવી સ્મરણ શકિત ઇશ્વરે તેને નથી આપી. અને તે જ સારૂં છે. જો બધું જ યાદ રહે તો મુશ્કેલીનો પાર ન રહે. આ જન્મનો મારો બાપ ગયા જન્મે મારો બેટો હતો એવું યાદ આવે તો કયો બેટો બાપની મર્યાદા રાખે ? એટલે કર્મના ફળની માથાકુટમાં પડયા વગર કર્મ કરતાં રહેવું. આ એક જ રસ્તો છે એમ ઋષિએ કીધું.આ રસ્તે ન ચાલતા કેવળ પ્રકૃતિના ભોગમાં રચ્યા પચ્યા રહેનારની શું દશા થાય છે તે સમજાવતાં ઋષિ કહે છે કે,
વધુ હવે પછી.
” ઇશોપનિષદ” November 14, 2007
Posted by girishdesai in : ચિંતન લેખ , add a commentNovember 12, 2007 Edit
મિત્રો,
આપ સહુને નૂતન વર્ષાભિનંદન
આ નવા વર્ષે મારી એક મનોકામના પૂર્ણ કરવાનો જે વિચાર છે તેને અમલમાં મુકવા હું આપ સહુની સમક્ષ ” ઇશોપનિષદ” વિશેના માર વિચારો રજુ કરું છું. આશા રાખું છું કે આપ સહુ તે અંગે અપનો યોગ્ય પ્રતિભાવ દર્શાવશો.
નિવેદન
ઇશોપનિષદ અથવા ઇશાવાસ્ય ઉપનિષદને નામે પ્રસિદ્ધ આ ઉપનિષદ ઉપર ઘણાં બધા તત્ત્વજ્ઞોએ ઘણાં બધા સાધુ સંતોએ તથા ઘણી બધી ખ્યાતનામ વ્યકિતઓએ પોતાનાં વિચાર વ્યકત કર્યાં છે. તો મારા જેવી સાધારણ વ્યકિતને આ ઉપનિષદ અંગે લખવાની શી જરૂર પડી ? આ લખાણ કરવાના મૂખ્ય બે કારણ છે. એક તો એ કે હું મારા મનમાં વિખેરાયેલા વિચારોને વ્યવસ્થિત કરી શકું.મારી દ્રષ્ટિએ લખવું એ બીજી વ્યકિત સાથે વાર્તાલાપ કરવા સમાન છે.મારો અનુભવ છે કે લખવાથી વિચારમાળાના મણકા ક્રમબદ્ધ ગોઠવવાનું કામ અતિ સરળ થઇ જાય છે.વળી વિચારોમાં રહેલી ક્ષતિઓ પણ આસાનીથી શોધી શકાય છે.અને બીજું એ કે મારા જેવા સાધારણ કક્ષાના માણસોના મનમાં એક એવો હાઉ ઘર કરી બેઠો છે કે વેદ, પુરાણ,ઉપનિષદ વગેરે શાસ્ત્રો તો વિદ્વાનો કે તત્ત્વજ્ઞાનીઓ જ સમજી શકે એમાં આપણી ચાંચ ન ડૂબે. અને આ ડરનું કારણ છે વિદ્વાનોએ અજાણતા જ ઉભો કરેલો ભાષાનો ભાર. વિદ્વાનોને જે વાત સહજ લાગે તે મારી કક્ષના લોકોને ભારે લાગે અને એટલે જ વેદ, ઉપનીષદની વાત આવતા જ ભાગવા માડે. કેટલીક વાર તો મને એમ લાગે છે કે શાસ્ત્રોકત ભાષા કરતાં સાક્ષરોકત ભાષા સમજવી વધુ મુશ્કેલ લાગે છે. હું પંડિત કે સાક્ષર હોવાનો દાવો કરી શકું એમ નથી. હું તો કેવળ મારા જેવી સાધારણ વ્યકિતઓની સાધારણ ભાષાથી જ વધુ પરિચિત છું. તેથી મારી રોજ બરોજની ભાષામાં આ મારી કક્ષના લોકોને કહું છું કે ઇશાવાસ્ય ઉપનિષદ આપણા જેવા સામન્ય માણસોને પણ રોજીંદા જીવનમાં ઘણી સહાય કરે એમ છે. અરે, જો ભગવા પહેરી કોઇ પણ સાધુ બાવો શાસ્ત્રો સમજાવી શકે તો શું આપણે તેમનાથી કાંઇ કમ છીએ ? મારૂં આ લખાણ તત્ત્વજ્ઞાનના ઉંડા પાણીમાં નહી લઇ જાય પણ કદાચ તેમાં થોડા છબછબીયાં તો જરૂર કરાવશે એવી આશા રાખું છું. આ મારો પહેલો જ પ્રયાસ છે એટલે વિચાર કે મુદ્રણમાં થયેલી ક્ષતિઓ તરફ મારું ધ્યાન દોરશો તો આપનો આભાર માનીશ.આ લખાણને ઇશોપનિષદની બાળપોથી ગણશો તો વાંચતી વેળા તત્ત્વજ્ઞાનનો હાઉ તમને નહીં ડરાવે. આ લખાણ મેં ભલે મારા જેવી સાધારણ વ્યકિતઓને ધ્યાનમાં રાખી કર્યું છતાં જો કોઇ વિદ્વાન વ્યકિત આ અંગે પોતાનો પ્રામાણિક અભિપ્રાય વ્યકત કરશે તો મને ખૂબ આનંદ થશે.
મારા આ લખાણમાં થયેલી જોડણી અને વ્યાકરણ અંગેની ભૂલો ખૂબ જ ચીવટ પૂર્વક તપાસી આપવા બદલ મુ.દેવસ્મિતાબેન ભટ્ટનો તથા મારી પત્ની મૃદુલાનો ખૂબ ખૂબ આભાર માનું છું. પરંતુ તે પછી પણ મેં સુધારા વધારા કર્યાં છે એટલે આવી ભૂલો હોવાની શક્યતા તો છે જ. માટે જો તમારા ધ્યાનમાં કોઇ ભૂલ આવે તો તે પ્રત્યે મારું ધ્યાન દોરવા આપ સહુને ખાસ વિનંતી કરું છું.
ગિરીશ દેસાઈ
પ્રસ્તાવના
અઢાર શ્લોકનું આ ઉપનિષદ, માંડૂકય ઉપનિષદ સિવાયના બીજા બધા ઉપનિષદોથી નાનું હોવા છતાં અગત્યમાં સૌથી પ્રથમ સ્થાન ધરાવે છે.મહાત્મા ગંાધીજીએ તો અટલે સુધી કહયું છે કે જો હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોનો વિનાશ થઇ જાય પરંતુ જો કેવળ તેનો પહેલો જ શ્લોક બચી જાય તો હિન્દુ ધર્મનો સંદેશ આવતી પેઢીઓ માટે સચવાઇ રહે.મારી દ્રષ્ટિએ આ ઉપનિષદના રચયિતા ૠષિએ આ અઢાર શ્લોકમાં સાત્વિક,રાજસિક અને તામસિક વ્યકિતઓને ધ્યાનમાં રાખી નિષ્કામ વૃત્તિ કેળવી નિષ્કામ કર્મ કેમ કરવું તે અંગે સમજ આપી છે.
ઋષિએ પહેલા શ્લોકમાં ‘અદઃ’ એટલે કે પુરૂષ અને ‘ઇદં’ એટલે કે પ્રકૃતિ આ બેઉનો ખ્યાલ આપી તે બન્ને પ્રત્યે દરેક વ્યકિતએ કેવી મનોવૃત્તિ કેળવવી એ અંગે ખ્યાલ આપ્યો છે. અર્થાત નિષ્કામ કર્મ વૃત્તિ અંગેની સમજ.
બીજા શ્લોકમાં આવી વૃત્તિ કેળવી તેને જીવનમાં ઉતારવા સો વર્ષના લાંબા આયુષ્યની ઇચ્છા રાખવા વિશે અનુરોધ કર્યો છે.
ત્રીજા શ્લોકમાં ત્યાગ અને ભોગનો સાચો તફાવત સમજયા વગર કેવળ ભોગ કે ત્યાગ વૃત્તિથી જીવન વિતાવવાના કેવા પરિણામ ભોગવવા પડે છે તે અંગે નિર્દેશ કર્યો છે.
શ્લોક ચારથી આઠમાં ઋષિને પોતાને થયેલી બહ્માનુભૂતિનું વર્ણન છે.
શ્લોક નવથી અગિયારમાં રજોગુણી લોકોને ધ્યાનમાં રાખી વિદ્યા અવિદ્યા વચ્ચે શું તફાવત છે અને જીવન ઘડતરમાં તે બેઉ કેવી રીતે ઉપયોગી થાય છે તે સમજાવ્યું છે.એટલું જ નહીં પણ વિદ્યા અવિદ્યા વચ્ચેનો આ તફાવત જમાના પ્રમાણે બદલાતો રહે છે તેથી મનમાં જયારે આ અંગે દ્વિધા ઉભી થાય ત્યારે દરેક વ્યકિતએ તત્કાલીન જમાનાના શાણા ગણાતા માણસોની સલાહ લેવી એવું સુચન કર્યું છે.
શ્લોક બારથી ચૌદમાં સાત્વિક લોકોને ઉદ્દેશીને આજ જાતની સલાહ આપી છે પરંતુ તેઓને વિદ્યા અવિદ્યા અંગે નહીં પણ સંભૂતિ અસંભૂતિ વચ્ચેના તફાવત સમજવા અનુરોધ કર્યો છે.
શ્લોક પંદરથી અઢાર જીવન ઉન્નતી માટે અંતકરણની પ્રાથના છે.
આમ ત્યાગ અને ભોગ, વિદ્યા અને અવિદ્યા તથા સંભૂતિ અને અસંભૂતિ આ ત્રણે જોડકાનો તફાવત સમજી તેનો જીવન ઘડતરમાં કેવી રીતે ઉપયોગ કરવો એ અંગે ત્રીવીધ વૃત્તિના લોકોને અપાયેલ સમજ એટલે જ ઇશોપનિષદ.
” ઇશોપનિષદ “
(મારી દ્રષ્ટિએ)
ઇશાવાસ્ય ઉપનિષદ એ શુકલ યજુર્વેદની કાણ્વ સંહિતાનો છેલ્લો ચાલીસમો અધ્યાય છે. આ એક જ ઉપનિષદ એવું છે કે જે વેદના ભાગરૂપ છેે, અને તેથી જ, જેમ બીજા પ્રત્યેક ઉપનિષદોમાં તેનો પોતાનો આગવો શાંતિ મંત્ર હોય છે તેમ આ ઉપનિષદમાં પોતાનો આગવો શાંતિ મંત્ર નથી અને તેથી બૃહદારણ્યકના શાંતિ મંત્રને આ ઉપનિષદના શાંતિ મંત્ર તરીકે અપનાવી લેવામાં આવ્યો છે. આ ઉપનિષદને ‘મંત્ર ઉપનિષદ’ પણ કહેવાય છે.મારી દ્રષ્ટિએ આ શાંતિ મંત્રને લક્ષમાં રાખી તેનો ઊંડો અર્થ સમજાવવા કોઇ ઋષિએ જે અઢાર શ્લોક રચ્યાં તે જ આ ઇશાવાસ્ય ઉપનિષદ. વળી આ અઢાર શ્લોકમાં પૂર્ણમ્ અદઃ પૂર્ણમ્ ઇદં એ શાંતિ મંત્ર ઉપરનું ભાષ્ય એટલે ઇશાવાસ્ય,અને આ ભાષ્યનું વિવરણ એટલે ગીતા. જો કે ગીતાતો બધા જ ઉપનિષદોનો નિચોડ છે.
” સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલનન્દનઃ
પાર્થો વત્સઃ સુધીર્ ભોકતા દુગ્ધં ગીતામૃતં મહત “
ઇશાવાસ્ય એ શબ્દની સંધિ બે રીતે છૂટી પાડી શકાય છે.
ઇશા +વાસ્યમ્ એટલે કે ઇશા (પરમેશ્વર) રૂપી (વાસ) વસ્ત્રથી ઢંકાયેલું અથવા
ઇશ +આવાસ્યમ્ એટલે કે ઇશ (પરમેશ્વર)ને આવાસ (રહેઠાણ) રહેવા લાયક.
ઉપનિષદ શબ્દની સંધિમાં ત્રણ ધાતુ વપરાયેલા છે. ઉપ+ નિ + સદ્
ઉપ =પાસે , નિ =નીચે એટલે કે ગુરૂના ચરણમાં અને સદ્ = બેસવું
અર્થાત ગુરૂ ચરણમાં બેસી જ્ઞાન લેવું તે ઉપનિષદ.
શાંતિમંત્ર
મનં ત્રાયતિ ઇતિ મંત્ર = મનનો ઉધ્ધાર કે તે મંત્ર
ૐ પૂર્ણમ્ અદઃ પૂર્ણમ્ ઇદં પૂર્ણાત્ પૂર્ણમ્ ઉદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમ્ આદાય પૂર્ણમ્ એવ અવશિષ્યતે
ૐ શંાતિઃ શંાતિઃ શંાતિઃ
પૂર્ણ છે તે, પૂર્ણ છે આ, પૂર્ણમાંથી પૂર્ણ ઉદ્ભવ્યું
પૂર્ણનંુ પૂર્ણ ગ્રહી લેતા પૂર્ણ જ બાકી રહી ગયંુ
ૐ શંાતિઃ શંાતિઃ શંાતિઃ
અદઃ= તે, પુરૂષ, ઇશતત્ત્વ, બહ્મતત્ત્વ, પરોક્ષતા
ઇદં = આ, પકૃતિ,જગત,સૃષ્ટિ, પત્યક્ષતા
આદાય = લઇ લેતાં, બાદ કરતાં, ગ્રહી લેતાં,સમજી લેતાં
અવશિષ્યતે= શેષ રહે છે ,બાકી રહે છે.
પુરૂષ પૂર્ણ છે તથા પ્રકૃતિ પણ પૂર્ણ છે.પુરૂષમાંથી જ પ્રકૃતિ ઉદ્ભવી છે. પુરૂષમાંથી પ્રકૃતિ ગ્રહી લેતાં કેવળ પુરૂષ જ બાકી રહે છે.અર્થાત કે તે પુરૂષનું પૂર્ણ સ્વરૂપ સમજવું હોય તો આ પ્રકૃતિ શંુ છે અને તેનું સાચું સ્વરૂપ કેવું છે તે સમજી લેવું જોઇએ.આ પ્રકૃતિ કેવળ માયા છે એ વાત મનની અંદર બરાબર ગ્રહણ કરવી જોઇએ.અને મનમાં જયારે આ વાત બરાબર ઠસી જાય ત્યારે જ સમજાય કે આ સૃષ્ટિમાં પુરૂષ સિવાય બીજું કશું જ બાકી નથી રહેતું. “અદઃ એવ અવશિષ્યતે”.મને તો લાગે છે કે આ ઉપનિષદની રચના કરનારા ઋષિ સાચે જ કોઇ બ્રહ્મદ્રષ્ટા હશે, અને એમણે જયારે બૃહદારણ્યકનો આ શ્લોક વાંચ્યો કે સાંભળ્યો હશે ત્યારે સાહજિક રીતે જ, એમણે પોતાને થયેલ અનુભૂતિને અનુમોદન આપતા આ શ્લોકની સાર્થકતા સમજાવવા ઇશાવાસ્યની રચના કરી હશે.આ શ્લોક હવે પછી રજુ થનાર ઇશોપનિષદની પૂર્વભૂમિકા રૂપે છે.
આ શ્લોક એક એવું ઉખાણું છે કે જેનો ઉત્તર તેની અંદર જ સમાઇ જાય છે. પશ્ન એ છે કે પૂર્ણમાંથી પૂર્ણ બાદ કરીએ તો પૂર્ણ કેવી રીતે બચે ? આ ઉખાણાનો પશ્ન હલ કરતાં પહેલાં પૂર્ણની વ્યાખ્યા શું છે તે સમજી લઇએ. પૂર્ણ એને કહેવાય કે જેની બહાર કશું જ ન રહયું હોય. પૂર્ણમાં વધ ઘટ થઇ જ ન શકે. જો તમે તેમાં વધારો કરવા ઇચ્છો તો વધારો કરવા માટેના ઘટકો અને વધારો કરનાર વ્યકિતતો એ પૂર્ણની બહાર જ હોય ને ? એક ઉદાહરણથી આ વાત સમજાશે. એક થાળીમાં એક આખો લાડુ મુકીએ અને તેને પૂર્ણ કહીએ. હવે જો એમાં કંાઇ ઉમેરવું હોય, એટલે કે જો તેને મોટો કરવો હોય, તો તેમાં વપરાયેલા મૂળ ઘટકો,જેવા કે લોટ,ઘી,ગોળ વિગેરે તો બહારથી લાવીને જ ઉમેરવા પડે ને ? અને જો એક પણ ઘટક બહાર રહી ગયું હોય તો લાડુ આપણી વ્યાખ્યા પ્રમાણે પૂર્ણ કહેવાય ખરો ? ચાલો, આમ આપણે એતો સમજયાં કે પૂર્ણ લાડુમાં વધારો ન થઇ શકે પરંતુ ઘટાડો કરવા જો તેમાંથી એક ટુકડો ખાઇ જઇએ તો ? તો આપણે તેમાંથી એક ટુકડો જ લીધો કહેવાય, પૂર્ણ લાડુ નહી. આપણે તો પૂર્ણમાંથી પૂર્ણ બાદ કરવાનું છે. તમે કહેશો, જો આખો લાડુ ખાઇ જઇએ તો શું બચ્યું ? બચ્યો આખો લાડુ. કારણ આમ કરવાથી તો કેવળ એનું સ્થાન જ બદલાયંુ. વળી મૂળ જે સ્થાનમાં લાડુ હતો તે “થાળી” અને જે સ્થાનમાં તે જઇ પડયો તે “ખાનારનું પેટ” તો લાડુની બહાર જ હતાં ને ? તો પછી આપણી વ્યાખ્યા પ્રમાણે તે પૂર્ણ કેમ કહેવાય ! અહીં જો તમે વાંધો ઉઠાવીને કહો કે “ગિરીશ ભાઈ જરા થોભો, તમે આ થાળી અને પેટને શા માટે લાડુના ઘટક તરીકે ગણો છો?લાડુની પૂર્ણતામાં એ બન્નેને શું કામ સંડોવો છો?” તો મારે બચાવમાં એટલું જ કહેવાનું કે આ સારી સૃષ્ટિની કોઇ પણ વસ્તુનું ઉદાહરણ લઇ ઇશાવાસ્યમાં દર્શાવેલા પૂર્ણને સમજાવવું હોય તો તે ઉદાહરણમાં આ ક્ષતિ તો રહેવાની જ. અને તેથી જ શાંતિ મંત્રમાં અદઃ અને ઇદં ને પૂર્ણ કહયાં છે. અદઃ એટલે ‘પુરૂષ’ કે જેમાંથી આ સારી સૃષ્ટિ “ઇદમ્” ઉત્પન્ન થઇ. સૃષ્ટિના વ્યકત અને અવ્યકત બધા જ પદાર્થો, બધી જ શકિતઓ તથા સ્થળ અને કાળ બધું જ આ પૂર્ણમાં, આ અદઃમાં, ઋષિએ સમાવી દીધું. જેની બહાર કશું જ નથી તેમાંથી કોણ? કયાંથી આવીને ? કેવી રીતે ? વધ ઘટ કરી શકે?
આ વાત પણ સમજયા,પરંતુ ઇદં કયાંથી આવ્યું ? તે પણ પૂર્ણ કેવી રીતે હોઇ શકે ? પૂર્ણતો એક જ હોયને ? આપણી વ્યાખ્યા પ્રમાણે, કયાંતો અદઃ ની અંદર ઇદં સમાઇ જવું જોઇએ યાતો ઇદંની અંદર અદઃ સમાઇ જવું જોઇએ. તો પછી ભૂલ કયાં છે ? ભૂલ છે આપણી સમજમાં.ઋષિ એમ નથી કહેતાં કે પૂર્ણ બે છે.એમના કહેવાનો સાચો અર્થ એ છે કે પૂર્ણતો એક જ છે પરંતુ તે બે નામે ઓળખાય છે. કોણ તેને કઇ રીતે ઓળખે છે એના ઉપર આ પૂર્ણનો આધાર છે.અદઃ એટલે પુરૂષ,એ તત્ત્વ છે અને ઇદં એટલે પ્રકૃતિ, એ આ તત્ત્વનો ગુણ છે. તત્ત્વ અને તેનાં ગુણ કદી જુદાં કરાય જ નહી. દાખલા તરીકે એક પ્રવાહી લો.આ તત્ત્વ થયું.અને પ્રવાહ એ દરેક પ્રવાહીનો ગુણ છે. પ્રવાહ અને પ્રવાહી કદી જુદાં પાડી શકાય ખરાં? જોકે કદીક એવું બને કે તત્ત્વનો ગુણ અવ્યકત હોય. દા.ત. પ્રવાહીને એક પ્યાલામાં મુકીએ તો તેનો પ્રવાહ નહીં દેખાય.પરંતુ પ્રવાહીતો રહેશે જ ને? જયારે તત્ત્વનો ગુણ અવ્યકત હોય,એટલે એનામાં એવો ગુણ છે, એવો ભાવ ન થાય ત્યારે ગુણનો અભાવ લાગે.આમ ગુણનો અભાવ હોઇ શકે પરંતુ તત્ત્વનો અભાવ કદી ન થાય.
“ન અસતઃ વિદ્યતે ભાવઃ ન અભાવઃ વિદ્યતે સતઃ ” ગિતા- ૨/૧૬
કદિક થાય અભાવ ગુણનો, પણ ન થાય તત્ત્વનો કદી.
એનો અર્થ એ થયો કે પુરૂષ,જે તત્ત્વ છે, તેનો કદી પણ અભાવ થતો નથી. પરંતુ પ્રકૃતિ,જે ગુણ છે તેનો કદીક અભાવ થાય છે. તો પછી આ પ્રકૃતિ કે જે ગુણ છે તે શાને હંમેશાં વ્યકત લાગે છે.આ ગુણનો ભાવ શાથી ? અને પુરૂષ કે જે તત્વ છે તે શાને હંમેશાં અવ્યકત લાગે છે ? આ તત્ત્વનો અભાવ શાથી ? જરા શાંત ચિત્તે આ પ્રકૃતિ અંગે વિચારીએ તો જણાશે કે તે ક્ષણે ક્ષણે બદલાતી જ રહે છે. તેથી જ ઋષિ તેને- જગત્યાં જગત- કહે છે. એક ક્ષણે પ્રકૃતિનો જે ભાવ મનમાં હતો તે બીજી ક્ષણે બદલાઇ જવાનો,અદ્રષ્ય થઇ જવાનો.અથવા કહો કે તેનો અભાવ થવાનો. જેમ પ્રવાહી પ્યાલામાં પડતાં જ તેનો પ્રવાહ અદ્રષ્ય થઇ જાય તેમ વર્તમાનની આ એક ક્ષણ કાળના પ્યાલામાં પડતાં જ ભૂતમાં વિલીન થાય છે, અને વર્તમાનના એના ભાવનો અભાવ થઇ જાય છે.આમ પ્રકૃનિતો ભાવ એ સાચો ભાવ નથી પણ અભાવ અને આશાઓની પરંપરા જ છે. મૃગજળ જેવો ભાસ છે. એટલે જ કહયું છે કે – બહ્મ સત્ય જગત મિથ્યા. હવે જો પુરૂષ અંગે વિચારી એ તો જણાશે કે આ સૃષ્ટિના ઇતિહાસમાં એક પણ વ્યકિત એવી નથી જન્મી કે જે કહે કે મારૂં મૃત્યુ થવાનું જ નથી. ભીષ્મપિતામહે પણ મૃત્યુનો સ્વિકાર કર્યો જ. મૃત્યુ અનિવાર્ય છે.અને એની અનિવાર્યતાનું ભાન ક્ષણિક નથી પરંતુ સ્થાયી છે.
જાવું પડશે એકદિ મારે,મૂકી બધું અહીંનું અહીં
વસે ન શું વિચાર એવો,સદા સહુના મનની મહીં?
મારા કરતાં તે પુરૂષ(અદઃ) વધારે શકિતશાળી છે અને એની કૃપાથી જ હું જીવું છું, અને એની ઇચ્છાથી જ મારે અહીંથી જવું પડશે,એવો ભાવ કોઇના પણ મનમાંથી કયારે પણ દૂર થતો નથી. ક્ષણે ક્ષણે બદલાતી એટલે ભૂત,વર્તમાન અને ભાવિમાં ભટકતી આ પકૃતિનું કારણ તે પુરૂષ જ છે.પુરૂષમાંથી જ પકૃતિનો ઉદ્ભવ થાય છે અને તેમાં જ તેનો વિલય પણ. જેમ પ્રવાહીનો પ્રવાહ પ્રવાહીમાંથી જ ઉદ્ભવે છે અને પ્રવાહીમાં જ શમે છે તેમ.
આમ મારી દ્રષ્ટિએ આ મંત્રનો અર્થ એટલો જ કે જયારે પુરૂષ પોતાના ગુણો વ્યકત કરે છે ત્યારે તે પકૃતિનું રૂપ ધારણ કરે છે. પકૃતિ એટલે બ્રહ્મના ત્રણ ગુણો(સત્ત્વ,રજો અને તમો)નું પદર્શન,બ્રહ્માનાં ગુણોની અભિવ્યકિત.અર્થાત સૃષ્ટિનું સર્જન બ્રહ્મ અને બ્રહ્માન્ડનો આ જ સંબંધ છે.
પ્ર= પહેલાનો, અને દર્શન શ દેખાવ,ભાવ યાને કે દર્શન થતા પહેલાનો ભાવ એટલે પ્રદર્શન (preview). આ વાત જો મનમાં બરાબર ગ્રહી લેવાય (આદાય) તો સમજાય કે કેવળ પુરૂષ જ પૂર્ણ છે.અને પ્રકૃતિનું પ્રદર્શન થાય કે ન થાય અર્થાત પ્રકૃતિ અભિવ્યકત હોય કે ન હોય, એનો ભાવ થાય કે ન થાય,તેનાથી પુરૂષની પૂર્ણતામાં કશો ફરક પડતો નથી. શેષમાં તો પુરૂશ જ બચે છે (અવશિષ્યતે)
This entire universe is just nothing but a preview of God’s attributes. If this preview is so amazing, so tempting then imagine how amazing and tempting His real view could be!
જો મન થાય તે દેખીને ઘેલુંં ,તો શી થાય વલે કરી પૂર્ણનું દર્શન!
સાર એટલો જ કે પુરૂષ એટલે તત્ત્વ અને પ્રકૃતિ એટલે એનો ગુણ.અને આ બે એક બીજાથી છુટા પડે જ નહીં. ન તો તેમાં કશું ઉમેરાય કે ન તેમાંથી કશું બાદ કરાય. આ પ્રકૃતિ કેવળ આપણાં જીવન દરમિયાન વ્યકત હોય છે, અને જન્મ પહેલાં અને મૃત્યુ પછી તે અવ્યકત રહે છે.
“અવ્યકતાદીનિ ભૂતાનિ વ્યકતમધ્યાનિ ભારત
અવ્યકતનિધનાન્યેવ તત્ર કા પરિદેવના” ગીતા ૨- 28
આ પકૃતિ હર પળે સત્ત્વ,રજસ અને તમસ એવા ત્રણ ગુણોમાં અભિવ્યકત થતી રહે છે.જો આ ત્રણે ગુણોને ચિત્તના પ્યાલામાં સમાવી બહાર વહેતાં અટકાવી શકીએ તોજ તત્ત્વનું “પુરૂષનું” ભાન થઇ શકે છે. અને તેથી જ શ્રી કૃષ્ણએ અર્જુનને કહયું કે?
“ત્રૈગુણ્યવિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન
નિર્દવન્દ્વો નિત્યસત્ત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન્ ” ગીતા ૨-૪૫
હે અર્જુન, વેદો આ ત્રણ ગુણોને સમજાવવા વાળા છે.તું તે ત્રણે ગુણોથી રહિત “પુરૂષ અને પ્રકૃતિના” દ્વન્દ્વ વિનાનો થા. નિત્ય ધૈર્ય નિષ્ઠ થા અને યોગક્ષેમ ની ચીંતા વિનાનો થઇ આત્મનિષ્ઠ થા.અર્થાત તારા ચિત્તના આ ત્રણે ગુણોને શાંત કરી આત્મજ્ઞાન પ્રાપ્ત કર.
હ્વે પછીનું લખાણ હું હપ્તે હપ્તે પ્રગટ કરતો રહીશ.
“તે દિ તમે શું કહેશો?” November 1, 2007
Posted by girishdesai in : વિચાર , add a comment“તે દિ તમે શું કહેશો?”
જીવનની વ્યર્થ ઝનઝટોમાં
જો તમે સદાય વ્યસ્ત રહેશો,
‘ને મળતો નથી સમય મને
ઍમ સહુને કહેતા ફરશો,
તો આવશે સમય મળવા સામો
તે દિ કહો તમે શું કહેશો?