” ૐ સહનાવવતુ “ June 25, 2007
Posted by vijayshah in : ચિંતન લેખ , add a comment ૐ સહનાવવતુ સહ નૌ ભુનકતુ સહ વીર્યમ્ કરવાવહૈ
તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
હિન્દુ સમાજમાં અતિ પ્રચલીત આ મંત્ર કઢોપનિષદ અને શ્વેતાશ્વતર ઉપનિષદનો શાન્તિ મંત્ર છે.
આ શ્લોકનો સાચો અર્થ એની સંધિ છુટી પાડી એક પછી એક વાકય તપાસીએ તો બરોબર સમજાય. સંધિ નીચે પ્રમાણે છોડી શકાય છે.
ૐ સહ નૌ અવતુ, સહ નૌ ભુનકતુ, સહ વીર્યમ્ કરવા વહૈ, તેજસ્વિ નૌ અવધિતમ્ અસ્તુ, મા વિદ્વિષાવહૈ,
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
હવે દરેક શબ્દનો અર્થ જોઇએ.
સહ =એક સાથે, નૌ = અમારા બેઉનું, અવતુ = રક્ષણ કરો, ભુનકતુ = પાલન કરો, વીર્યમ્ = કામ કરવાની શકિત અવધિતમ્ = અમારૂં શીખેલું = અમારૂં શીક્ષણ, અસ્તુ – થાઓ
મા =ન કરીએ, વિદ્વિષાવહૈ = વિખવાદ.
શ્લોકનો અર્થ છે
હે ઇશ્વર, અમારા બેઉનું એક સાથે રક્ષણ કરો,અમારા બેઉનું એક સાથે પાલન કરો, અમને બેઉને એક સાથે હળી મળીને કામ કરવાની શકિત આપો, અમારૂં શિક્ષણ અમને બેઉને તેજસ્વિ બનાવે અને અમે એક બીજા પ્રત્યે દ્વેષભાવ ન રાખીએ અર્થાત વિખવાદન કરીએ તો જ અમારા જીવનમાં શાન્તિ થશે.
હવે પ્રશ્ન એ છે કે “નૌ” એટલે કે અમે બેઉ,તો કયા બેઉની વાત છે. પ્રચલીત રીતે ‘નૌ’ એટલે ગુરૂ અને શિશ્ય એવો અર્થ કરવામાં આવે છે. પરંતુ મને એમ લાગે છે કે આ અર્થ સાચો ભલે ગણાય યોગ્ય નહી કરણ કે તે સીમિત છે.જયારે હું આ મંત્ર બોલું ત્યારે મનમાં વિચાર આવે કે હું નથી કોઇનો ગુરૂ કે નથી કોઇનો શિશ્ય તો આ મંત્ર બોલવાનો મને અધિકાર છે ખરો ? પરંતુ જો ‘નૌ’ ને જરા વધારે બહોળા અર્થમાં જોઇએ તો સમજાશે કે ‘નૌ’ અમે બેઉ એટલે હું અને બીજી કોઇ વ્યકિત, કે વ્યકિતઓનો સમુહ દા.ત. હું અને મારી પત્નિ અગર હું અને મારૂં કુટુંબ કે હું અને મારા મિત્રો.અર્થાત એક તરફ હું અને બીજી તરફ આખો સંસાર.
આ મંત્રમાં યાચક ઇશ્વરને પ્રાર્થના કરે છે કે તું અમારા બેઉનું રક્ષણ અને પાલન કર, તો શાનાથી રક્ષણ કરવાનું અને કેવી રીતે પાલન કરવાનું કહે છે. યાચક જાણે છે કે જીવનની બરબાદીનું મુખ્ય કારણ છે એક બીજા પત્યેનો દ્વેષ અને વિખવાદ. દ્વેષને કારણે જ વ્યકિતઓ એક બીજાથી દૂર રહેવા પ્રેરાય છે. અને નીકટ આવતાં જ વિખવાદ શરૂ થાય છે.અને એટલા માટે જ યાચક પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, અમે એક બીજાનો દ્વેષ ન કરીએ અને હળી મળીને કર્મો કરતા રહીએ એવી શકિત આપ. પરંતુ આવી શકિત તો તો જ મળે કે જયારે આપણે આપણું શિખેલું અને અનુભવેલું બધું જ મન અને બુદ્ધિથી પચાવીએ. તો જ આવા વર્તનની અપેક્ષા રાખી શકાય.અને તેથી જ યાચક કહે છે કે અમે અમારી શિખેલી વિદ્યાથી તેજસ્વિ થઇએ એવું કર. જે યાચક નીચે દર્શાવેલી આ ત્રણ પ્રકારની વૃત્તિ રાખી વર્તનમાં મુકે તેનું રક્ષણ અને પાલન થયા વગર કદી ન રહે.
૧) દ્વેષ ટાળવાની વૃત્તિ
૨) સહકાર આપવાની વૃત્તિ
૩) જે કાંઇ શિખીએ તેનો મન અને બુદ્ધિથી અર્થાત વિચાર અને વિવેકથી ઉપયોગ કરવાની વૃત્તિ
જો જરા વધારે ઊંડાણમાં ઉતરીએ તો’નૌ’ નો અર્થ છે મન અને બુદ્ધિ થાય. આમ કહેવાનું મારું કારણ જો તમે શ્વેતાશ્વતર ઉપનિષદના બીજા અધ્યાનો પહેલો શ્લોક વાંચશો તો બરોબર સમજાશે જેમાં આ પ્રમાણે કહયું છે.
યુજજાનઃ પ્રથમં મનસ્તત્વાય સવિતા ધિયઃ
અગ્નેઃજયોતિઃ નિચ્ચાય પૃથિવ્યા અધ્યાભરત
અર્થ કાંઇક આવો છે
હે સવિતા દેવ, સહુ પ્રથમ, તત્ત્વની પ્રાપ્તિ માટે, અમારા મન અને બુદ્ધિને પાર્થીવ પદાર્થોમાંથી ઉપાડી અમારા દિવ્ય સ્વરુપ સાથે જોડે.
(મારું સંકૃત ભાષાનું જ્ઞાન બહુ સીમીત છે એટલે આ શ્લોકનો શબ્દસહ અનુવાદ કરી શકયો
નથી આ કેવલ ભાવાર્થ જ છે. કોઇ સંકૃત વિશારદ મદદ કરશે તો જરુર આનંદ થશે )
ભલે આપણને તત્ત્વની પ્રાપ્તિન થાય પરંતુ મન અને બુદ્ધિની હાલત ઉપર જ વ્યકિતના જીવનની હાલતનો આધાર છે ને ? એટલે જયારે આ શ્લોક બોલતાં હોઇએ ત્યારે ‘ હે પ્રભુ મારા મન અને બુદ્ધિ એક બીજા સાથે સહકાર રાખી લાગણી અને વિવેકથી વર્તે એવું કરજે એવી ભાવનાથી બોલાય તો જીવનમાં શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ નો અનુભવ થાય.
મને તો લાગે છે કે જો આપણે મન અને બુદ્ધિની કાર્યવાહી સમજી લઇએ તો આ શ્લોકનો અર્થ વધારે ચોખવટથી સમજાશે.
મન એટલે શું ? શંકા કરે તે મન
અને બુદ્ધિ એટલે શું ? શંકાનું નિવારણ કરે તે બુદ્ધિ
દા.ત. ઉષ્ણતામાનમાં બહુ જ ઓછા તફાવત વાળી બે વસ્તુ લઇએ તો પહેલી દૃષ્ટિએ મન કહેશે કે એ બન્ને વસ્તુઓનું ઉષ્ણતામાન સરખું જ છે,પણ તરત જ તેને શંકા થશે કે તેમ ન હોય તો? અને તરત જ બુદ્ધિ મનની આ શંકાનું નિરાકરણ કરવા થર્મોમીટર લઇને દોડી આવશે .મનુષ્યનો વિકાસ મન અને બુદ્ધિના આવા સહકારથી જ થતો રહે છે.
જેની શંકા શકિત અને નિરાકરણ શકિત સરખાં હોય તે માણસ સ્થાપીત બુદ્ધિ વાળો કહેવાય.
જેની શંકા શકિત નિરાકરણ શકિત કરતાં વધારે હોય તે માણસ દોલાચલ ચીત્તવૃત્તિ વાળો કહેવાય.
જેનામાં નિરાકરણ કરવાની શકિતનો સંપૂર્ણ અભાવ હોય તે મૂર્ખ કહેવાય.
અને જેની બુદ્ધિએ બધી જ શંકાઓનું નિરાકરણ કર્યું હોય તેને જ્ઞાની કહેવાય. એટલે આ પ્રમાણે જોતાં
“નૌ”નો યોગ્ય અર્થ છે મન અને બુદ્ધિ.
ઇતિ