” અવતાર ” August 22, 2007
Posted by vijayshah in : ચિંતન લેખ , 1 comment so farઅવતાર
અવતાર શું કેવળ પરમાત્મા જ લઇ શકે ? શાસ્ત્રો અને સંતોના કહેવા પ્રમાણે તો આત્મા અને પરમાત્મા વચ્ચે કશો ભેદ નથી. તો આપણે કેમ અવતાર ન લઇ શકીએ ? હા, આપણે પણ અવતાર તો લઇએ જ છીએ પણ કેવળ આપણા મૃત્યુ પછી જ અને તેને આપણે પુનર્જન્મ કહીએ છીએ. અવતારનો અર્થ છે “નીચે ઉતરવું.” હવે નીચે ઉતરવા માટે બે પરિસ્થિતિનો સુમેળ હોવો ઘણો જરૂરી છે. એક તો એ કે આપણે જીવતા હોઇએ અને બીજું એ કે આપણું સ્થાન ઊંચું હોવું જોઇએ. ઊંચે હોઇએ તો જ નીચે ઊતરાય ને ? એટલે ઉતરતા પહેલા ઉપરતો ચઢવું પડે ને ? મારી સમજ મુજબ આપણને ઉપર ચઢવા એટલે કે ઉન્નતિનો રસ્તો બતાવવા માટે જ પરમાત્મા અવતાર લેતો હોય છે. મારી આ સમજને ટેકો આપવા હું નીચે
પ્રમાણે દલીલ રજુ કરૂં છું.
ગીતામાં કૃષ્ણએ કહયું “અહં સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વમ્ પ્રવર્તતે” હું જ સર્વ જગતની ઉત્પત્તિનું કારણ છું મારે લીધે જ બધું પ્રવર્તે છે. આટલો મોટો અહં રાખનાર કૃષ્ણ અર્જુનનો સારથી કેવી રીતે થયો હશે! એને આમ કરવાનું કારણ શું? કારણ એ કે ખૂદ ભગવાનને પણ અવતરણ કરવા માટે અહંનો ત્યાગ કરવો પડે છે. જો આમ જ હોય તો આપણી તો વાત જ શી કરવી. દિનભર આપણે આપણો અહં ટકાવી રાખવા શું શું કરતા રહીએ છીએ ! અને તેને કારણે આપણે પોતાને માટે તથા બીજાઓ માટે કેટલી મુશીબતો ઉભી કરતાં રહીએ છીએ ! વળી આપણે સહુ સ્વાનુભવે જાણીએ પણ છીએ કે જયારે આ અહંને બાજુ મુકી નમતું જોખીએ, નમ્ર થઇએ, છીએ ત્યારે મુશીબતોથી મુકત પણ થઇ શકાય છે.એટલું જ નહી પણ જેની સમક્ષ નમ્ર થઇએ છીએ તેના મનમાં પણ આપણી પ્રત્યે કાંઇક કૂણી લાગણી જન્મતી હોય છે.અને તે આપણી પ્રત્યે સદ્દ્ભાવ દાખવા પણ પ્રેરાય છે. તે ભલે આપણું માન ન કરે પણ અપમાનતો નહીં જ કરે. આમ એના મનમાં આપણી ઉન્નતી થાય છે અને આપણું પોતાનું મન પણ શાંતિ અનુભવે છે. અને ઉન્નતિને રસ્તે જ્વું જ હોય તો મનની શાંતિ ખૂબ જરૂરી છે. અહંકારનો ત્યાગ કરવાની વૃત્તિ જો અમલમાં મુકીએ તો જરૂર આપણું વ્યકિતત્વ પણ બદલાય છે. જેવો આપણો અહંભાવ તેવો જ આપણો સ્વભાવ અને જેવો આપણો સ્વભાવ તેવું જ આપણું વ્યકિતત્વ. વ્યકિતત્વ બદલીને માણસ દેવ પણ થઇ શકે અથવા દાનવ પણ થઇ શકે. વ્યકિતત્વનું આવું રૂપાંતર તો જીવતા હોઇયે તોજ થાય ને? આમ મૃત્યુને ભેટયાં વગર નવું રૂપ ધારણ કરીએ તેને અવતાર નહીં તો બીજું કહેવાય?
ઇતિ.