jump to navigation

” પેલું પ્યારું પંખી “ July 9, 2007

Posted by vijayshah in : કવિતા , add a comment

” પેલું પ્યારું પંખી ”

જીવન ભર હું જહેમત કરતો રહયો ‘ને
હવે છે આ દેહને ખૂબ થાક લાગ્યો,
અંગો બધા સાવ શિથીલ થયાં છે
અને થઇ ગઇ છે નબળી બેઉ આંખો.

પીંજરમાં પુરેલું પેલું પ્યારું પંખી
છે ઉડવાને ઉત્સુક,ફફડાવે પાંખો,
ત્યજવાને પીંજર તે અધીરું થયું છે
નહી માને તે મનાવ્યું,કે પાડેથી ઘાંટો.

ત્યજી પીંજર તે જરૂર ઉડી જશે ‘ને
થશે નષ્ટ પીંજરનો સાંધે સાંધો,
ઇચ્છુ કે ના પુરાય કદી પીંજરે ફરી તે
‘ને રહે ઉડતું અનંતે પસારી બેઉ પાંખો.
૧૦-૧૭-૦૪

July 7, 2007

Posted by vijayshah in : વિચાર , 2 comments

” ટીકા નહીં પણ ટેકા કરીએ ”

ગુજરાતી ભાષાના શબ્દોની જોડણી અંગે જે જોડણીનું મહા યુદ્ધ ચાલી રહયું છે તેમાં અને મહાભારતના યુદ્ધમાં મને એક મોટો ફરક દેખાય છે. આ જોડણી યુદ્ધમાં કૌરવો (બહુમતી) સાચા પક્ષમાં છે અને પાંડવો (લઘુમતી) લોકોને અવળે રસ્તે દોરી જવાનો પ્રયાસ કરી રહયાં છે.પરંતુ આ યુદ્ધમાં વિજયતો કૌરવોનો જ થશે. કારણ હંમેશાં ‘સત્યમેવ જયતે.’ હા,એમને એમના વિચારો વ્યકત કરવાનો હક તો છે જ છતાં હું એમની દૃષ્ટિ વીર નર્મદે કરેલા એક વિધાન તરફ દોરું છું
ભાષાને શું વળગે ભૂર
રણમાં જે જીતે તે શૂર
દરેક ભાષાના બે પ્રકાર હોય છે મૌખિક અને લેખિત અને નર્મદે બે જ વાકયમાં આ બેઉની અગત્ય કેવી અને કેટલી છે તે સમજાવ્યું છે એમ હું માનું છું. ભૂરનો અર્થ છે ભારણ કે વજન.મૌખિક ભાષાનું વજન કેટલું ? સાંભળનાર કરે એટલું. ભરુચી લોકો ‘ળ’ ને બદલે ‘લ’નો ઉપયોગ કરતા હોય છે એ તો આપણે સહુ જાણીએ જ છીએ, અને તેને કારણે વાકયોના અર્થ બદલાઇ જાય છે તે પણ આપણે જાણીએ છીએ.
જયોતિન્દ્ર દવેએ આનું એક સરસ ઉદાહરણ આપેલું. એ ભરુચીએ બીજાને ગુસ્સામાં આવી કહયું “તું માલ ઉપર બેઠો બેઠો ગાલ ઉપર ગાલ દે છે તે નીચે ઉતરની તો તને ખબર પાડી દઉ.”
માળ ને બદલે માલ અને ગાળને બદલે ગાલ બોલાય તો અર્થ બદલાઇ જ જાયને ? આજ પ્રમાણે કેટલાક લોકો ‘ળ’ ને બદલે ‘ર’નો ઉપયોગ કરે છે ત્યારે કેવો ગોટાળો થાય છે. કોઇને આપણે “તમે મળો તો સારું એ કહેવાને બદલે તમે મરો તો સારું ” કહીએ તો મરવાનો વારો તો આપણો જ આવેને ? નર્મદને ખબર હતી કે લોકોની બોલી સુધારવાનું કામ અશકય છે એટલે એમણે બીજા વાકયમાં કહયું “રણમાં જે જીતે તે શૂર” તો આ રણને અને ભાષાને શું લેવા દેવા છે ? મને લાગે છે આ રણ તે કચ્છનું કે યદ્ધનુંં રણ નહીં પણ વાકયનું રણ અર્થાત વ્યાકરણ.લેખિત ભાષામાં જે વ્યાકરણનો સાચો ઉપયોગ કરે તે જ પોતાના વિચારો સચોટ રીતે વ્યકત કરી શકે અને જીતી શકે તેને જ શૂર કહેવાયને ? અને જોડણી એ તો વ્યાકરણનું હૃદય છે. અને એટલે જ નર્મદે એકલે હાથે સહુ પ્રથમ કકકાવારી ગુજરાતી શબ્દકોશની રચના કરી.
હવે આપણે બધાં ઓછે વધતે અંશે જોડણીની ભૂલો કરતાં જ હોઇએ છીએ. તો આ ભૂલો સુધારવા કેવા ટેકા કરવા તેનો વિચાર કરીએ. મને લાગે છે કે આ ભૂલોનું મૂળ કારણ આપણને નાનપણમાં આપવામાં આવેલી શિક્ષણ પદ્ધતિ છે. ર્હસ્વ અને દીર્ઘના ચિન્હો અને તેના ઉચ્ચારણનો ખ્યાલ આપવામાં આવે છે પરંતુ આ ચિન્હોની અદલ બદલથી શબ્દોના અર્થમાં કેવો ફેર પડે છે તે અંગેની પુરતી સમજણ આપવામાં નથી આવતી. અને ઉચ્ચારણમાં તો કશો જ ફરક વર્તાતો નથી. એટલે જેમ બોલીએ તેમ લખીએ છીએ.
આનો ઉપાય શું ?
જે શબ્દો ઉચ્ચારમાં સરખા હોય પણ ર્હસ્વ દીર્ઘના ચિન્હોમાં ફેર હોય તેવા શબ્દો તેમના અર્થ સાથે નીચે પ્રમાણે કોઠાના રુપમાં છાપવા. અને નાનપણથી જ બળકોને શિખવવા જેથી તેમનો શબ્દ ભંડોળ અને જોડણીનું જ્ઞાન વધે.અને શકય હોય તો આવા શબ્દોનો ઉપયોગ પણ કરી બતાવવો.
જેમકે
કિલ=ખરેખર અને કીલ=મળી ” ગાડાના પૈંડા ઉપર લાગતો મેલ
કુચ=સ્ત્રીની છાતી, સ્તન અને કૂચ=લશ્કરી ચાલ
પાણિ=હાથ અને પાણી=જળ
પૂજન વેળા પૂજારીએ પાણિમાં પાણી લઇ આચમન કયુ્રં
પુર=શહેર અને પૂર=નદીમાં આવતી બાઢ
નદીના પૂરમાં આખું પુર તારાજ થઇ ગયું
દિન=દિવસ અને દીન=ગરીબ
તે દીન માણસ આખો દિન ભૂખો રહયો
આ જ પ્રમાણે બીજા ઘણા શબ્દો હશે. પાંચમાથી બારમા ધોરણના બાળકોને દર વર્ષે આવા થોડા
થોડા શબ્દોથી વાકેફ કરીએ તો તેમની ભાષા શુદ્ધિમાં થોડી પ્રગતિ થાય.
ચાલો આપણે ભેગા મળી આ કાર્ય શરું કરીએ અને કોપ્યુટરની મદદથી દરેક ગુજરાતીના ઘરમાં પહોંચાડીએ.
આ લખાણમાં થયેલી જોડણીની ભૂલો મને બતાવશો તો આનંદ થશે.

જોડણી વિશે July 4, 2007

Posted by vijayshah in : ચિંતન લેખ , 1 comment so far

જોડણી વિશે

જોડણી વિશે
તંત્રીશ્રી,
જાન્યુઆરી ૨૮ના અંકમાં શ્રી હસમુખભાઇ બરોટનો – શાણી ગુજરાતી વાણી – વાળો લેખ વાંચ્યો. એમાં એમણે વ્યકત કરેલા બધા વિચારો સાથે હું સહમત થાઉ છું. એટલું જ નહીં બલકે એમના આ વિચારોને અનુમોદન આપવા થોડુંક લખવા માટે પ્રેરાયો છું.
તૈત્તિરીય ઉપનિષદની શીક્ષાવલ્લિના બીજા અનુવાકમાં શિક્ષા કેવી રીતે મેળવવી તેનું વર્ણન કરતાં આ પ્રમાણે કહયું છે.
શીક્ષાં વ્યાખ્યાસ્યામઃ વર્ણઃ સ્વરઃ,માત્રા બલમ્
સામ સંતાનઃ, ઇત્યુકતઃ શીક્ષાધ્યાયઃ
ભાવાર્થ છે કે શિક્ષા મેળવવા માટે વિધાથીર્થીને શબ્દના વર્ણનું ,સ્વર કે વ્યંજનું, ઉદ્દાત્તાદિ માત્રાનું, ર્હસ્વ કે દીઘ્રનું,બળનું એટલે કે ઉચ્ચારણ વખતે મુકાતા ભારનું,સામનું એટલે નિયમબધ્ધ ઉચ્ચારણ કરવાની રીતનું તથા
સંધાનનું એટલે સંધીનું,પૂરતું જ્ઞાન હોવું જોઇએ.એનું કારણ એ કે તે જમાનામાં શિક્ષણ કેવળ મૌખિક રીતે જ અપાતું હતું. અને તેથી જ શિષ્યોને ગુરૂના સાનિધ્યમાં ગુરૂકુળમાં રહેવું પડતું.પરંતુ જયારે શિક્ષણ લેખિત માધ્યમથી અપાવા માંડયું ત્યારે શબ્દ ઉચ્ચારણની સ્પષ્ટતા કેમ કરવી એ પશ્ન જરૂર ઉભો થયો હશે.અને તેના ઉકેલ માટે તે સમયના વિદ્વાનોએ જે નિર્ણય લીધો તેનું પરિણામ તે છે આજની બારસ્વરી કે બારાક્ષરી કે બારાખડી. ગુજરાતી ભાષા કે જે સંસ્કૃતમાંથી ઉતરી આવી છે તેમાં આ બારાખડીના બાર સ્વરો અને તેમની સંજ્ઞાઓ ( ા િ ી ુ ૂ ે ૈ ો ૌ ં) ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.જયારે શબ્દમાં સ્વર આવતો હોય ત્યારે તે સ્થાને યોગ્ય સ્વર વાપરવો પરંતુ જો કોઇ વ્યંજનને ઇકાર કે ઉકાર વગેરે આપવાં હોય તો તે વ્યંજનને ઇકાર કે ઉકાર આપતા યોગ્ય સ્વરની સંજ્ઞા લગાડવી.
અંગ્રેજીમાં કેવળ પાંચ જ સ્વરો હોવાથી કેટલા ગૂંચવાડા ઉભા થાય છે તે જાણીતું છે. “ડીઓ”એટલે ‘ડુ’ અને “જીઓ” એટલે ‘ગો’ એક જ સ્વરના બે ઉચ્ચાર.અંગ્રેજીમાં નિયમો કરતાં અપવાદ વધારે છે, જયારે સંસ્કૃતમાંથી ઉતરી આવેલી ભાષાઓ વધુ નિયમબદ્ધ છે. એક રમુજી દાખલો આપું. મેં જયારે નાનપણમાં પહેલી વાર ‘ફટીગ’ શબ્દ્દ વાંચ્યો ત્યારે તેનો ઉચ્ચાર કર્યો -ફાટીગ્યુ. જો કોઇ જાણકારે તેનો સાચો ઉચ્ચાર -ફટીગ- ન કરી બતાવ્યો હોત તો મારે માટે તો તે ફાટીગ્યુ જ રહેત. અંગેજી શબ્દકોશમાં પણ દરેક શબ્દનો ઉચ્ચાર કેમ કરવો તે બતાવવા કાંઉસમાં જાતજાતની સંજ્ઞાઓનો ઉપયોગ કરી બતાવેલો હોય છે.
શબ્દોનું ઉચ્ચારણ કરવામાં બધા એક સરખા ન જ હોય. એટલે જ કહેવાયું છે કે “બાર ગાઉએ બોલી બદલાય” પરંતુ લખાણમાંતો સામ્યતા હોવી જ જોઇએ. વૈદિક કાળમાં ઉચ્ચારણ માટેની જે સંજ્ઞાઓ હતી તે બધી આજે મોટા ભાગે વિસરાઇ ગઇ છે અને તેની સાથે સાથે વેદો પણ વિસરાયાં છે.આવા જ હાલ ગુજરાતીના ન થાય તે અંગે વિચારવું જોઇએ. નહીં તો આપણી ભાષા ગુજરાતી ને બદલે ગુજરતી ભાષા થઇ જશે. બીજું એકે હિન્દી,મરાઠી,સંસ્કૃત વગેરેમાં પણ આ જ સંજ્ઞાઓ વપરાય છે.તો આ સંજ્ઞાઓ વિના તે ભાષાઓ કેવી રીતે સમજાશે ? ગીતા અને ઉપનિષદો શું નવેસરથી
લખશો ? પાણિનિ ની મહેનત ઉપર પાણી ફેરવવાની કાંઇ જરૂર ખરી ? અરે ગીતા ઉપનિષદની વાત છોડો આપણા આ જમાનાના સાક્ષરોનું લખાણ કેવી રીતે સમજશે ? ઉંઝાની પદ્ધતી પ્રમાણે ‘સ અને ષ’ નો બહિષ્કાર કરીશું તો બીજી એક બે
પેઢી પછીના લોકો ‘સ અને ષ’ જોઇને આપણા સાક્ષરોની મશ્કરી ઉડાવશે કે મુઝવણ અનુભવશે ? આજે આપણે આપણી સાચી જોડણી કરવાની બીન આવડતને છુપાવવા સરળતાને બહાને જે પગલાં ભરીશું તેનું પરીણામ શું આવશે તે અંગે
ખૂબ ઉડો વિચાર કરવો જોઇએ.
ઉપાય?
શ્રી હસમુખભાઇએ દર્શાવેલ,એક સરખા લાગતા ઉચ્ચાર વાળા પણ અર્થમાં અસામ્ય એવા (પૂર-પુર, કે દિન-દીન)વગેરે શબ્દોના જોડકાંઓના કકકાવારી કોઠા બનાવી, આંકના કોઠાની જેમ, પ્રાથમિક શાળાથી જ વિદ્યાર્થિઓને કંઠસ્થ કરાવવા કે જેથી બારમા ધોરણ સુધી પહોંચતા તેમનો શબ્દ ભંડોળ સારો એવો મોટો થઇ જાય.વળી કીરીટભાઇ શાહે બતાવેલા જોડાક્ષરોના પણ કકકાવારી કોઠા બનાવી આ બન્ને પકારના કોઠાઓના અલગ વિભાગ પાડી શબ્દકોશમાં છાપવા.
હવે એક મુદ્દાની વાત કરૂં.ગુજરાતી શબ્દોની જોડણીનું મારૂં જ્ઞાન ઘણું જ સીમિત છે, તેથી જ લખતી વખતે હું શબ્દકોશ લઇને જ બેસું છું. એટલે જો ર્હ્સ્વ ‘ ઇ’ અને દીર્ઘ ‘ઉ’ કાઢી નાખવામાં આવે તો મને તો ફાયદ્દો જ ફાયદ્દો છે. પરંતુ હું ભાષાદ્રોહી થવા નથી માંગતો એટલે આ પસ્તાવની વિરૂદ્ધમાં મારો મત આપું છું. આપણી બીનઆવડ અને આળ ને કારણે ગુજરાતી ભાષાને “ગુ જ ર તી” કરવાની જરુર નથી. ઇતિ
2 Comments Add your own

” બે બળદિયા” July 2, 2007

Posted by vijayshah in : કવિતા , add a comment

” બે બળદિયા”

મન અને બુદ્ધિ તણાં બળવાન બે બળદિયા
તન તણી ભૂમી ઉપર સંગ્રામ જામે
ચિત્ત ગોવાળ બની સઘળંુજોયા કરે
તો કેમ કરી યુદ્ધનો અંત આવે ?

ચિત્તને સમજાવવા ચૈતન્ય આવી કહે
સાંભળ વાત મારી, હું કહું જે આજે
બાંધી દે તું ઘૂંસરી બેઉ આ બળદને
નહીં તો કરશે બંડ બેઉ તારી સામે.

છે શકિત તારી ઘણી નાથવા બે બળદિયા
આળસ કરે તે તને કેમ છાજે !
લઇ સંયમની ઘૂંસરી બાંધ બે બળદિયા
વાવ બીજ ભકિતના તન ભૂમિ માંહે.

ભકિતના બીજથી ફળ ઉગશે જ્ઞાનના
જે ચાખીને બેઉ બળદ શાન્ત થાશે
‘ને રાત દિવસ રહેશે તેઓ તારી સહાયમાં
‘ને નિજાનંદ માંહી તું સદા ય રહેશે.

છે મન અને બુદ્ધિ તણાં
બળવાન બે બળદિયા

” હાથના કર્યાં શું હૈયે ન વાગે ? “ July 1, 2007

Posted by vijayshah in : કવિતા , 1 comment so far

” હાથના કર્યાં શું હૈયે ન વાગે ? ”

ગરજ પડી ત્યારે લાંબુ ન વિચાર્યું
‘ને શત્રુને પોષ્યાં મિત્રોને નાતે,
અતિ ઘાતક શસ્ત્રો પણ શોધ્યાં
‘ને કર્યો ખર્ચ મોટો તે કાજ માટે.

આ મિત્રો,આ શસ્ત્રો,આવી ઉભાં છે
બની શત્રુ તમારા, તમારી જ સામે,
હવે ભાઇ મનમાં શાને થાયે અચંબો
કહો,હાથના કર્યાં શું હૈયે ન વાગે ?

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.