“તો કહો શાથી ?” December 4, 2007
Posted by girishdesai in : વિચાર , add a comment“તો કહો શાથી ?”
પુષ્પો ન હોયે તો ન મળે પરાગ
‘ને પરાગ વીના થાયે બીજ કયાંથી ?
ન હોય બીજ તો ઉગે કેમ વૃક્ષો
વૃક્ષો ન ઉગે તો વનરાઇ કયાંથી ?
વનરાઇ પોશે સહુ પ્રાણીઓને
ન પોશાય પ્રાણી તો માનવી કયાંથી ?
જે સાચવે છે આ પર્યાવરણને
તે પુષ્પો ઉગે છે પ્રભુની કૃપાથી
તો કહો
માનવી પ્રભુને પથ્થર બનાવી
હણી પુષ્પો તે ‘પર ચઢાવે શાથી ?
“ઈશાવસ્ય શ્લોક- ૧૭,૧૮
Posted by girishdesai in : ચિંતન લેખ , add a commentશ્લોક – ૧૭
વાયુઃ અનિલં અમૃતં અથેદં ભસ્માન્તં શરીરમ્
ક્રતો સ્મર કૃતં સ્મર ક્રતો સ્મર કૃતં સ્મર
રહો પ્રાણ (મારો) અમૃત અનિલે
થાઓ ભસ્મ દેહ આ (મારો)
ૐ ધાર્યું સ્મર, કર્યું સ્મર -ધાર્યું સ્મર,કર્યું સ્મર.
હવે જયારે જીવનનો સૂર્ય અસ્તાચળ સુધી પહોંચી ચુકયો છે અને ડુબવાની તૈયારીમાં છે ત્યારે સાધક પોતાના મનનું અને જીવનભર કરેલા કર્મોનું સરવૈયું કાઢતા પોતાના મનને પૂછે છે કે હે મન હે ક્રતુ, હે મારા મનોબળ તેં જીવનભર શું શું ધાર્યું હતું અને તે શું શું કર્યું તેનું સ્મરણ કર.આપણા જીવન દરમિયાન જે જે કર્મો કર્યાં હોય જે જે વિચારો સેવ્યાં હોય તે જ વિચારો છેલ્લી ઘડીએ યાદ આવે.
યં યં વાપિ સ્મરન્ભાવં ત્યજત્યન્તે કલેવરં
તં તેમેવૈતિ કૌતેય સદા તભ્દાવભાવિતઃ ગીતા ૮-૬
એનો અર્થ છે કે મનુષ્ય અંતકાળે જે જે પદાર્થનું સ્મરણ કરતો દેહ છોડે છે તે તે પદાર્થોને જ તે એના પુનર્જન્મમાં પામે છે.અર્થાત આમાનાં જે જે વિચારો, જે જે એષણાઓ અપૂર્ણ રહેવાથી મનમાં તેનો વસવસો રહી ગયો હોય (પોટન્ટ ડીઝાયર્સ )તે બધા વિચરો અને એષણાઓ પુનર્જન્મમાં મનની વાસના રૂપે પ્રગટ થાય,વળી એવી ઇચ્છાઓ કે અધુરી રહી હોય છતાં મનમાં જેનો વસવસો ન રહયો હોય (લેટન્ટ ડીઝાયર્સ) તે પુનર્જન્મમાં સંસ્કાર બની પ્રગટ થાય. કહેવાની મતલબ એ છે કે જીવનભર આપણે જે જે ધાર્યું હોય જે જે કર્યું તે જ મૃત્યુ વખતે યાદ આવે છે.અહીં ઇશાવાસ્ય વૃત્તિથી જીવન જીવી ચુકેલા સાધકને મનનું સરવૈયું કાઠતાં બતવ્યો છે.આવો સાધક છેલ્લી ઘડીએ મોક્ષનો વિચાર કરતો જણાય છે.તે પ્રાર્થે છે કે ભલે આ મરો દેહ ભસ્મસાત થઇ જાય પણ મરો આ પ્રાણ અનિલમાં અર્થાત માતરિશ્વમાં ભળો.મૃત્યુ વેળા આવા ઉદ્દગાર તો જેને દેહનો કે સંસારનો જરા પણ મોહ રહયો નથી તે જ કાઢી શકે.પૂજય ગાંધીજી એમનું જીવન આવી ઇશાવાસ્ય વૃત્તિથી જીવ્યા એટલે જ મૃત્યુ સમયના એમના ઉદ્દગાર હતા “હે રામ ”
શ્લોક-૧૮
અગ્ને નય સુપથા રાયે અસ્માન્
વિશ્વાનિ દેવ વયુનાનિ વિદ્ધાન
યુયોધિ અસ્મદ્ જજુહુરાણમેનો
ભયિષ્ટામ્ તે નમ ઉકિતં વિધેમ
હે પ્રાણ, લઇજા સુપથે સિદ્ધિ માટે
(તું છે)વિશ્વદેવ સહુ કર્મો જાણનાર
કરી દે દૂર અમ પાપ વાંકા જનારા
ઝાઝાં હો નમન તને અમારા.
શ્લોક સત્તરમાં મન સુધી પહોંચાલો સાધક આ શ્લોકમાં એના આત્માને પ્રાર્થના કરતો હોય એમ લાગે છે. ‘વયુનાનિ’ નો અર્થ છે કર્મો. સાધક જાણે છે કે આપણા બધાં જ કર્મોનું સાક્ષી છે આપણું મન.પણ મનનો કોઇ સાક્ષી હોયતો તે છે આપણો આત્મા. અને તેથી જ સાધક આત્માને વારંવાર (ભૂયિષ્ટામ્ ) વિનંતી કરે છે કે હે આત્મા,તું તો અમારા મનનો પણ સાક્ષી છે એટલે તું અમારા કીધેલા બધાજ કર્મો જાણે છે.તો તું અમને,પાપ કર્મો કરાવનારા આ અમારા દેહ અને મનથી દૂર કરી સિદ્ધિના સરળ માર્ગે લઇજા.
ઉપસંહાર
આ ઉપનિષદમાં ૠષિ આપણને સમજાવે છે કે ‘અદઃ અને ઇદં’ અર્થાત પુરૂષ અને પ્રકૃતિ રૂપે ભાસતા બે પૂર્ણ વાસ્તવમાં એક જ છે છતાં તે બે જુદા જુદા હોય એવી પ્રતિતી થવાનું કારણ છે જોનારની દ્રષ્ટિ,જોનારનું મન.જો પ્રકૃતિના કણ કણમાં પુરૂષનો વાસ હોય અને જો પુરૂષ પૂર્ણ હોય તો તે પ્રકૃતિ અપૂર્ણ કેવી રીતે હોઇ શકે ? અહીં ૠષિ વિવિધ પ્રકૃતિના લોકો માટે વિવિધ શબ્દો વાપરી એક જ વાત સમજાવે છે.એમના મત પ્રમાણે સહુના જીવનમાં ભોગ અને ત્યાગ, વિદ્યા અને અવિદ્યા તથા સંભૂતિ અને વિનાશનું જ્ઞાન અનીવાર્ય છે અને તેથી જ તે બધાની પુરતી સમજ કેળવવી જ જોઇએ. વધારામાં એમ પણ કહયું કે આ બાબતો વિશેના વિચારો જમાના પ્રમાણે બદલાતા રહે છે તેથી દરેક વ્યકિતએ તત્કાલીન ધીર પુરૂષોની સલાહ પ્રમાણે ચાલવું. ૠષિનું કહેવું છે કે જયારે કોઇ વ્યકિત પોતાના મનમાં પુરૂષ અને પ્રકૃતિને એક બીજામાં ઓત પ્રોત કરી મુકે છે ત્યારે જ એને સાચું બ્રહ્મજ્ઞાન લાધે છે.આવી વ્યક્તિત જ સુખ દુઃખમાં મનની સ્વસ્થતા સાચવી શકે છે. પારકાઓ પ્રત્યેની ઘૃણાનો ત્યાગ કરી શકે છે.અને આવી વ્યકિત જ અંત કાળે ભસ્મસાત થનાર દેહનો મોહ રાખ્યા વગર પોતાનો પ્રાણ પુરૂષમાં ભળી જાય એવી પ્રાર્થના કરી શકે. આમ ઇશાવાસ્ય ઉપનિષદમાં “આત્મા-પરમાત્મા”, “ભોગ-ત્યાગ”, “વિદ્યા-અવિદ્યા” તથા “સંભૂતિ- વિનાશ” જેવા ચાર દ્વૈતની ચર્ચા કરવામાં આવી છે.અને તમો ગુણી,રજો ગુણી, સત્વ ગુણી લોકોએ સત્યની શોધ માટે કેવી રીતે જીવનનું ઘડતર કરવું જોઇએ તેની સજમ આપી છે.મેં શરૂઆતમાં જ કહેલું કે પૂર્ણ ‘મદઃ પૂર્ણં ઇદં’ એ શાંતિ મંત્ર સમજાવવા કોઇ ધીર પુરૂષે અઢાર શ્લોકનું જે સંક્ષીપ્ત ભાષ્ય લખ્યંુ તે છે આ ઇશોપનિષદ. અઢાર શ્લોકમાં આટલું બધું સમજાવનાર ૠષિને નત મસ્તકે એટલું જ કહેવું રહયું કે
હે ૠષિવર્ય,
ભૂયિષ્ઠામ તે નમઃ ભૂયિષ્ઠામ તે નમઃ ભૂયિષ્ઠામ તે નમઃ
અહીં આ સાથે ઇશોપ્નિષદની બાળપોથીની પૂર્ણાહુતિ કરું છું.