jump to navigation

” ગીતાનો મર્મ “ March 17, 2007

Posted by vijayshah in : ચિંતન લેખ , trackback

” ગીતાનો મર્મ ”

શ્રી રામકૃષ્ણ પરમહંસ કહેતાં કે જો ગીતાનો સાર સમજવો હોય તો એક જ શ્વાસે ‘ગીતા ગીતા ‘ એમ દસથી પંદર વખત બોલી જાવ આમ કરતાં આપો આપ જ બોલનારના મૂખમાંથી ‘તાગી, તાગી’ એમ બોલાતું સંભળાશે.અર્થાત ગીતાનો ઉપદેશ ‘ગીતા’ એ શબ્દમાં જ છુપાયેલો છે. એને ઊંધો કરી વાંચો કે બોલો તો સમજાશે કે ગીતા સહુને ‘ તાગી-ત્યાગી’ થવાનો ઉપદેશ આપે છે. આ જ છે ગીતાનો સાર.પરંતુ મનમાં એક પશ્ન જરૂર ઉઠે છે કે ત્યાગવું શું ? ધન, દોલત, પત્નિ, છોકરાં શું ત્યાગવું ? ગીતામાં તો કયાંએ આવું કશું ત્યાગવાની વાત આવતી નથી. અર્જુન તો સગા સંબંધીઓને મારી રાજય લેવા કરતાં ભીખ માંગીને રહેવા તૈયાર જ હતો છતાં શ્રી કૃષ્ણએ તો એને પાણી ચઢાવવા એમ કહયું કે
” હતોવા પ્રાપ્યસિ સ્વર્ગમ્ જીત્વા વા ભોક્ષ્યસે મહીમ્”
એટલે કે આ ધર્મ યુદ્ધ કરતાં જો તું હણાશે તો તને સ્વર્ગ મળશે અને જો તું જીતી જશે તો રાજા બનીને પૃથ્વીના બધા ભોગ ભોગવવા મળશે. જયારે શ્રી કૃષ્ણ પોતે સામે ચાલીને આવી અવળી સલાહ આપે તો આપણે ત્યજવું શું? આ મુઝવણનો ઉકેલ લાવતા શ્રી શંક્રાચાર્ય જરા કડવા શબ્દોમાં કહે છે કે
“મૂઢ જહીહિ ધનાગમ તૃષ્ણાં,કુરુ સદબુદ્ધિ મનસિ વિતૃષ્ણાં
યલ્લભસે નિજ કર્મો પાત્તં, વિત્તં તેન વિનોદય ચિત્તં.”
એટલે કે હે મૂર્ખ, તું ધનના ‘આગમથી’ આગમનથી, થતી અથવા (આગમ એટલે જન્મ) ધનમાંથી જન્મતી તૃષ્ણા છોડી દે અને સદબુદ્ધિ વાપરી તૃષ્ણા રહિત થા.અને તારા પોતાના કર્મ ફળ રૂપે જે મળ્યું તેનો આનંદ મનમાં રાખ. તૃષ્ણા એટલે કર્મનું મન ગમતું ફળ મેળવવાની ઇચ્છા કે લાલસા.મનને ન ગમે એવી ઇચ્છા કદી કોઇને થાય ખરી ? શંક્રાચાર્યના કહેવા મુજબ ધન એ જ તૃષ્ણાનું મુખ્ય કારણ છે. તો શું નિર્ધનને તૃષ્ણા નથી સતાવતી ? ના,એવું નથી. કારણ કે એમણે અહીં જે ધનનો નિર્દેશ કર્યો છે તે દ્રષ્ટિએ જોતાં આ સંસારમાં કોઇ નિર્ધન છે જ નહીં. અહીં એમણે ત્રણ પકારના ધનનો નીર્દેશ કર્યો છે. પહેલું છે શારીરિક-ધન બીજું છે માનસિક-ધન અને ત્રીજું છે બૌધિક-ધન. આ ત્રીવિધ ધનની માત્રા હરેક વ્યકિતમાં જુદી જુદી હોય છે વળી એટલું જ નહીં પણ એક જ વ્યકિતમાં પણ તેનું પ્રમાણ સમયાનુસાર બદલાતું જ રહે છે.
જન્મતાની સાથે જ દરેક વ્યકિત પોતાની ઈન્દ્રિયો દ્વારા ( શારીરિક-ધન દ્વારા ) આ સૃષ્ટિ સાથે સંબંધ બાંધે છે. અને સૃષ્ટિ શું છે અને કેવી છે તેનો અનુભવ કરે છે. આ બધાં જ અનુભવોનો આઘાત મન ઉપર થતા મન છંછેડાય છે અને તેની પ્રવૃત્તિ વધવા માંડે છે યાને કહો કે માનસિક-ધનની વૃદ્ધિ થાય છે. વળી ઈન્દ્રિયોથી થતા આ બધા અનુભવો મનને ગમતા હોય એવું નથી બનતું. એટલે મન ઉપર થતા આઘાતને ખાળવા બુદ્ધિ પ્રત્યાઘાત કરે છે અને મનને થયેલ અનુભવ સારો છે કે બુરો તેનું નિદાન કરવા પ્રવૃત્ત થાય છે.આમ બુદ્ધિ કાર્યરત થતા બુદ્ધિ-ધનમાં પણ વધારો થવા માંડે છે. દરેક વ્યકિત,જે અનુભવ પોતાને સાનુકૂળ અને સુખદ હોય તેનો ફરીથી આસ્વાદ કરવા અને જે અનુભવ પ્રતિકૂળ કે દુઃખદાયક હોય તેનાથી દૂર ભાગવાનો પયત્ન સદા કરે છે. અને આમ જાણે અજાણે તેના કર્મની ચકકી ચાલુ થઇ જાય છે આ પ્રમાણે આ ત્રીવિધ ધનને કારણે જો કર્મ કરવું જ પડતું હોય તો ફળ પ્રાપ્તિની ઇચ્છા (તૃષ્ણા) રાખવામાં વાંધો શું ? પહેલો વાંધો તો એ કે કયા કર્મનું ફળ કેવું અને કયારે મળશે તેની કોઇને ખબર નથી. અને બીજો વાંધો એ કે જો ફળની ઇચ્છા હોય તો જ તે અસફળ કે સફળ થવાનો પશ્ન ઉભો થાયને ? હવે આ સફળતા કે અસફળતાની આપણા જીવન ઉપર શી અસર થાય છે તે અંગે વિચારીએ.
જે જે કર્મમાં સફળતા સાંપડે છે તે તે કર્મ અંગે મનમાં આનંદ તો થાય છે પરંતુ સાથે સાથે કાંઇક અંશે મનમાં એવો ગર્વ પણ થાય છે કે ” હું કેવો હોશિયાર કે મેં મારૂં મન ધારેલું ફળ મેળવ્યું.” આમ મનનો પહેલો શત્રુ ગર્વ યાને ‘મદ’ મનમાં અતિ સરળતાથી ઘર કરી બેસે છે. વળી વાત આટલેથી જ અટકતી નથી, મન ફરીથી સફળતા મેળવવાની કામનાથી ઘેલું થઇ જાય છે. તેનાથી પ્રથમ વાર સાંપડેલી સફળતાનો સ્વાદ અને તેમાંથી ઉપજેલો આનંદ વિસરાતા નથી અને આમ મદની સાથે સાથે ‘કામ’ (કામના- શત્રુ નંબર બે) પણ મનમાં ચોરી છુપીથી ઘુસી જાય છે.વળી જો બે ચાર વખત સફળતા મળી તો વધારે સફળ થવામાં શું આડે આવશે ? વધુ સફળ થવામાં કેટલો આનંદ આવશે ! એ વિચારે મન વધુને વધુ સફળ થવા લોભાય છે. અને મનની અંદર ‘લોભ’ (શત્રુ નંબર ત્રણ) ઘર કરી બેસે છે.અને જયાં લોભ પેઠો ત્યાં મોહને પેસતાં વાર શી ? આમ મનમાં રાખેલી તૃષ્ણા ફળીભૂત થતાં મનમાં કામ,કોધ,લોભ અને ‘મોહ’ (લોભનો મોટો ભાઇ-શત્રુ નંબર ચાર) ઘર કરી તેનો કબજો લઇ લે છે.હવે એ વિચારીએ કે મનમાં રાખેલી ઇચ્છા જો ફળે નહીં તો કેવું પરિણામ આવે.અસફળતામાં બુદ્ધિ હાર સ્વિકારવા તૈયાર નથી થતી અને મળેલી અસફળતાનો દોષ તે બીજી કોઇ વ્યકિત કે વસ્તુ અગર કોઇ સંજોગ ઉપર ઢોળી દે છે અને તેથી તે વકિત કે વસ્તુ કે સંજોગ પ્રત્યે પોતાનો ક્રોધ વ્યકત કરે છે. અને મનનો સૌથી મોટો શત્રુ છે આ ‘કોધ’ (શત્રુ નંબર પંાચ.) વળી જે કાર્યમાં પોતે અસફળ થાય અને તે જ કાર્યમાં અન્ય કોઇ સફળ થાય ત્યારે મનમાં કદી કદી તેના પત્યે ‘મત્સર’ કે ઇર્ષા (શત્રુ નંબર છ) પેદા થાય છે. આ રીતે ફળ પ્રાપ્તિની તૃષ્ણા માત્રથી જો મનમાં કામ ક્રોધાદિ શત્રુ ઘર કરી બેસતા હોય તો તૃષ્ણા રાખવી જ શું કામ ? હવે કોઇ એમ કહે કે ફળ પ્રાપ્તિમાં જો તમને કદીએ અસફળતા મળે જ નહીં (જે બીલકુલ અસંભવ છે) તો તમારા મનમાં ક્રોધ અને ઇર્ષાતો રહે જ નહીં ને ? ભલે કદાચ તમારા મનમાં ક્રોધ અને ઇર્ષા ઉત્પન્ન ન થાય પરંતુ તમારી સફળતા જોઇને બીજી ઘણી વ્યકિતઓમાં તમારા પત્યે ક્રોધ અને ઇર્ષાની લાગણી ઉદ્દ્ભવે તો નવાઇ નહીં. એટલે કે તમારા એકને બદલે બીજા અનેકમાં આવી લાગણી ફેલાય. અર્થાત જગતમાં ક્રોધ અને ઇર્ષાનું પમાણ વધે. હવે જો કોઇ એમ કહે કે કોઇ પણ કામમાં કદીએ સફળતા મળે જ નહીં (તે પણ બીલકુલ અસંભવ છે) તો પણ સફળ થવાની ઇચ્છા તો રહેવાની જ, એટલું જ નહીં પણ આ કામના વધુ જોર પકડે તો નવાઇ નહીં.અને મદ કદાચ લાચારીનું તથા લોભ અને મોહ કદાચ દીનતા અને હીનતાનું સ્વરૂપ ધારણ કરે એવો સંભવ ખરો.એટલું જ નહીં પણ અધુરી રહેલી આ તૃષ્ણા,આ કામના મનને કોરી ખાય અને મૃત્યુ બાદ તે નવ જીવનમાં સંસ્કાર અને વાસનાનો અંચળો ઓઢી ડોકીયાં કર્યાંજ કરે. આ ઉપરથી કહી શકાય કે જો ફળ પ્રાપ્તિની ઇચ્છા માત્રથી આટલાં અનર્થ વેઠવા પડતાં હોય તો ઇચ્છા રાખવી જ શું કામ? ફળની ઇચ્છા હોય તો જ તે સફળ કે અસફળ થવાનો પશ્ન ઉથો થાય છે ને ? ગીતામાં તો સ્પષ્ટ શબ્દોમાં કહયું છે કે મનુષ્યને ફળની ઇચ્છા રાખવાનો અધિકાર જ નથી.
“કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન
મા કર્મફલહેતુર્ભુઃ મા તે સંગો અસ્તુ અકર્મણિ” ૨-૪૭
અર્થાત મનુષ્યને કેવળ કર્મ કરવાનો અધિકાર છે પણ તેની ફળ પ્રાપ્તિનો નહીં. માટે મનમાં ફળ મેળવવાનો હેતુ ન રાખવો.પણ એનો અર્થ એ નથી કે ફળની સાથે સાથે કર્મનો પણ ત્યાગ કરવો. અહીં જો આપણે અધિકારનો યોગ્ય અર્થ કરીએ તો આ શ્લોકનો અર્થ બરોબર સમજી શકાય છે.અહીં અધિકારનો અર્થ થાય છે લાયકાત કે આવડત. દા.ત. ડાઁકટરને દવાનું જ્ઞાન હોવાથી દવા આપવાનો તેને અધિકાર છે. આમ જ કર્મ કરવાના સાધન રૂપ દેહ, બુદ્ધિ અને મન આપીને ઇશ્વરે મનુષ્યને કર્મ કરવાની લાયકાત અને આવડત આપ્યાં છે. છતાં કયા કર્મનું ફળ કયારે ને કેવું મળશે તે જાણવાની લાયકાત કે શકિત તેણે મનુષ્યને નથી આપી અને એનું કારણ એ છે કે મનુષ્ય પોતાનું કર્મ કેવળ વર્તમાનમાં જ કરી શકે છે પરંતુ ફળ પ્રાપ્તિ તો એણે વર્તમાન તેમ જ ભૂતપૂર્વ જીવનમાં કરેલા બધાં જ કર્મો ઉપર આધારીત છે. અને આ જીવનમાં કરેલા કર્મોનું ફળ ભાવિમાં પણ મળે. મનુષ્ય જો સવારની બધી વાત સાંજ સુધી યાદ નથી રાખી શકતો તો પછી તેનાં ભૂતપૂર્વ જીવનની તો વાત જ શી કરવી સવારે શેનું શાક કાધું હતું તે પણ સાંજ સુધીમાં તે ભૂલી જાય તો આજે પોતાને મળેલું ફળ કયા જન્મમાં કરેલા કયા કર્મનું હશે તે કેવી રીતે તે કહી શકે ! એવી આવડત એનામાં નથી.મનુષ્ય વર્તમાનના કર્મોથી જે ભૂત ઉભું કરે છે તે જ ભવિષ્યમાં તેની સામે આવીને ઉભું રહે છે. છતાં એને તેનો કાંઇ ખ્યાલ જ નથી આવતો.એતો સારી વાત છે કે ચિત્રગુપ્તના ચોપડામાં (કે ગુપ્ત ચિત્રના ચોપડામાં અર્થાત આપણા ભાવિમાં) મનુષ્યના બધા જ કર્મોની યાદી હોય છે. કદ્દાચ ઇશ્વરને પણ બધું યાદ નહી રહેતું હોય એટલે આ કામ ચિત્રગુપ્તને સોપ્યું હશે, અને આ ચોપડાને આધારે જ ઇશ્વર બધાને ફળ પ્રદાન કરે છે.એ અધિકાર ઇશ્વરે પોતાના હાથમા જ રાખ્યો છે. પણ”ફળનો ત્યાગ કરો” એ કહેવામાં જેટલું સહેલું છે તેટલું જ કરવામાં કપરૂં છે. છતાં જો ઇશાવાસ્યના પહેલા શ્લોકમાં અપાયેલી સલાહ માનીને જીવનમાં અપનાવીએ તો ફાયદ્દો જરૂર થાય.
ઇશાવાસ્યં ઇદં સર્વમ્, યત્ કીંચ જગત્યામ્ જગત
તેન ત્યકતેન ભુંજીથા,મા ગૃધઃ કસ્યસ્વિદ્ ધનમ્
એટલે કે આ સારી સૃષ્ટિ,આપણો દેહ,આપણી બુદ્ધિ,આપણું મન બધું જ ઇશ્વરે રચ્યું છે. કર્મ પણ ઇશ્વરની કૃપાથી જ થઇ શકે છે તો એનું ફળ પણ એ જેવું આપે તેવું સ્વિકારી લેવામાં જ બુદ્ધિમાની છે. કર્મ ફળનો બધો ભાર જો કૃષ્ણાને સોંપી દઇએ તો તૃષ્ણા રીસાઇ જાય અને આપણાથી દૂર ભાગે. પરંતુ એ ભાર તૃષ્ણાને સોંપી દઇએ તો કૃષ્ણા રીસાઇને દૂર ભાગે. કારણ કૃષ્ણા અને તૃષ્ણાનો સંબંધ તેજ અને તિમિર જેવો છે. આ બે એક બીજા સાથે રહી શકે જ નહીં. જે મનમાં રહે છે તૃષ્ણા ત્યાં વસી શકે ન કદી શ્રી કૃષ્ણા.
તેજ ‘ને તિમિરને વેર છે આદીના,તેજને જોતાં જ તિમિર ભાગે.
કૃષ્ણા ‘ને તૃષ્ણાને પણ વેર છે આદીના જયાં આવે તૃષ્ણા, ત્યાંથી કૃષ્ણા ભાગે.
નિષ્કામ વૃત્તિ એટલે જ તૃષ્ણાનો ત્યાગ અને તેથી જ ગીતામાં નિષ્કામ કર્મનો આટલો મહિમા ગવાયો છે.
ઇતિ.

Comments»

no comments yet - be the first?


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.