jump to navigation

“વિચારના વહેણ” December 11, 2007

Posted by girishdesai in : કવિતા , add a comment

વિદીત થાય વિશ્વ આ વિચારના વહેણમાં
વિચાર શમતાં જ વિશ્વ વિસરાઇ જાયે.

વિચાર તો વહેણ છે જીવન સરિતા તણું
વમળ પાપ પુણ્યના એ વહેણ માંહીં થાયે.

જો ખાળો એ વહેણને બુદ્ધિના બંધથી
તો વમળ પાપ પુણ્યના વિખરાઇ જાયે.

“Learning” December 6, 2007

Posted by girishdesai in : કવિતા , add a comment

Learning

Learning is a process that
We must go through on our own
And to succeed in such endeavor
We must rid of our every lazy bone.

And whatever we try to learn
We must do it without groan and moan
Then there is nothing in this world
That can really remain unknown.

“તો કહો શાથી ?” December 4, 2007

Posted by girishdesai in : વિચાર , add a comment

“તો કહો શાથી ?”

પુષ્પો ન હોયે તો ન મળે પરાગ
‘ને પરાગ વીના થાયે બીજ કયાંથી ?

ન હોય બીજ તો ઉગે કેમ વૃક્ષો
વૃક્ષો ન ઉગે તો વનરાઇ કયાંથી ?

વનરાઇ પોશે સહુ પ્રાણીઓને
ન પોશાય પ્રાણી તો માનવી કયાંથી ?

જે સાચવે છે આ પર્યાવરણને
તે પુષ્પો ઉગે છે પ્રભુની કૃપાથી

તો કહો

માનવી પ્રભુને પથ્થર બનાવી
હણી પુષ્પો તે ‘પર ચઢાવે શાથી ?

“ઈશાવસ્ય શ્લોક- ૧૭,૧૮

Posted by girishdesai in : ચિંતન લેખ , add a comment

શ્લોક – ૧૭
વાયુઃ અનિલં અમૃતં અથેદં ભસ્માન્તં શરીરમ્ ૤
ક્રતો સ્મર કૃતં સ્મર ક્રતો સ્મર કૃતં સ્મર ૤૤

રહો પ્રાણ (મારો) અમૃત અનિલે
થાઓ ભસ્મ દેહ આ (મારો)
ૐ ધાર્યું સ્મર, કર્યું સ્મર -ધાર્યું સ્મર,કર્યું સ્મર.

હવે જયારે જીવનનો સૂર્ય અસ્તાચળ સુધી પહોંચી ચુકયો છે અને ડુબવાની તૈયારીમાં છે ત્યારે સાધક પોતાના મનનું અને જીવનભર કરેલા કર્મોનું સરવૈયું કાઢતા પોતાના મનને પૂછે છે કે હે મન હે ક્રતુ, હે મારા મનોબળ તેં જીવનભર શું શું ધાર્યું હતું અને તે શું શું કર્યું તેનું સ્મરણ કર.આપણા જીવન દરમિયાન જે જે કર્મો કર્યાં હોય જે જે વિચારો સેવ્યાં હોય તે જ વિચારો છેલ્લી ઘડીએ યાદ આવે.

યં યં વાપિ સ્મરન્ભાવં ત્યજત્યન્તે કલેવરં ૤
તં તેમેવૈતિ કૌતેય સદા તભ્દાવભાવિતઃ ૤૤ ગીતા ૮-૬

એનો અર્થ છે કે મનુષ્ય અંતકાળે જે જે પદાર્થનું સ્મરણ કરતો દેહ છોડે છે તે તે પદાર્થોને જ તે એના પુનર્જન્મમાં પામે છે.અર્થાત આમાનાં જે જે વિચારો, જે જે એષણાઓ અપૂર્ણ રહેવાથી મનમાં તેનો વસવસો રહી ગયો હોય (પોટન્ટ ડીઝાયર્સ )તે બધા વિચરો અને એષણાઓ પુનર્જન્મમાં મનની વાસના રૂપે પ્રગટ થાય,વળી એવી ઇચ્છાઓ કે અધુરી રહી હોય છતાં મનમાં જેનો વસવસો ન રહયો હોય (લેટન્ટ ડીઝાયર્સ) તે પુનર્જન્મમાં સંસ્કાર બની પ્રગટ થાય. કહેવાની મતલબ એ છે કે જીવનભર આપણે જે જે ધાર્યું હોય જે જે કર્યું તે જ મૃત્યુ વખતે યાદ આવે છે.અહીં ઇશાવાસ્ય વૃત્તિથી જીવન જીવી ચુકેલા સાધકને મનનું સરવૈયું કાઠતાં બતવ્યો છે.આવો સાધક છેલ્લી ઘડીએ મોક્ષનો વિચાર કરતો જણાય છે.તે પ્રાર્થે છે કે ભલે આ મરો દેહ ભસ્મસાત થઇ જાય પણ મરો આ પ્રાણ અનિલમાં અર્થાત માતરિશ્વમાં ભળો.મૃત્યુ વેળા આવા ઉદ્દગાર તો જેને દેહનો કે સંસારનો જરા પણ મોહ રહયો નથી તે જ કાઢી શકે.પૂજય ગાંધીજી એમનું જીવન આવી ઇશાવાસ્ય વૃત્તિથી જીવ્યા એટલે જ મૃત્યુ સમયના એમના ઉદ્દગાર હતા “હે રામ ”

શ્લોક-૧૮
અગ્ને નય સુપથા રાયે અસ્માન્
વિશ્વાનિ દેવ વયુનાનિ વિદ્ધાન ૤
યુયોધિ અસ્મદ્ જજુહુરાણમેનો
ભયિષ્ટામ્ તે નમ ઉકિતં વિધેમ ૤૤

હે પ્રાણ, લઇજા સુપથે સિદ્ધિ માટે
(તું છે)વિશ્વદેવ સહુ કર્મો જાણનાર
કરી દે દૂર અમ પાપ વાંકા જનારા
ઝાઝાં હો નમન તને અમારા.
શ્લોક સત્તરમાં મન સુધી પહોંચાલો સાધક આ શ્લોકમાં એના આત્માને પ્રાર્થના કરતો હોય એમ લાગે છે. ‘વયુનાનિ’ નો અર્થ છે કર્મો. સાધક જાણે છે કે આપણા બધાં જ કર્મોનું સાક્ષી છે આપણું મન.પણ મનનો કોઇ સાક્ષી હોયતો તે છે આપણો આત્મા. અને તેથી જ સાધક આત્માને વારંવાર (ભૂયિષ્ટામ્ ) વિનંતી કરે છે કે હે આત્મા,તું તો અમારા મનનો પણ સાક્ષી છે એટલે તું અમારા કીધેલા બધાજ કર્મો જાણે છે.તો તું અમને,પાપ કર્મો કરાવનારા આ અમારા દેહ અને મનથી દૂર કરી સિદ્ધિના સરળ માર્ગે લઇજા.

ઉપસંહાર
આ ઉપનિષદમાં ૠષિ આપણને સમજાવે છે કે ‘અદઃ અને ઇદં’ અર્થાત પુરૂષ અને પ્રકૃતિ રૂપે ભાસતા બે પૂર્ણ વાસ્તવમાં એક જ છે છતાં તે બે જુદા જુદા હોય એવી પ્રતિતી થવાનું કારણ છે જોનારની દ્રષ્ટિ,જોનારનું મન.જો પ્રકૃતિના કણ કણમાં પુરૂષનો વાસ હોય અને જો પુરૂષ પૂર્ણ હોય તો તે પ્રકૃતિ અપૂર્ણ કેવી રીતે હોઇ શકે ? અહીં ૠષિ વિવિધ પ્રકૃતિના લોકો માટે વિવિધ શબ્દો વાપરી એક જ વાત સમજાવે છે.એમના મત પ્રમાણે સહુના જીવનમાં ભોગ અને ત્યાગ, વિદ્યા અને અવિદ્યા તથા સંભૂતિ અને વિનાશનું જ્ઞાન અનીવાર્ય છે અને તેથી જ તે બધાની પુરતી સમજ કેળવવી જ જોઇએ. વધારામાં એમ પણ કહયું કે આ બાબતો વિશેના વિચારો જમાના પ્રમાણે બદલાતા રહે છે તેથી દરેક વ્યકિતએ તત્કાલીન ધીર પુરૂષોની સલાહ પ્રમાણે ચાલવું. ૠષિનું કહેવું છે કે જયારે કોઇ વ્યકિત પોતાના મનમાં પુરૂષ અને પ્રકૃતિને એક બીજામાં ઓત પ્રોત કરી મુકે છે ત્યારે જ એને સાચું બ્રહ્મજ્ઞાન લાધે છે.આવી વ્યક્તિત જ સુખ દુઃખમાં મનની સ્વસ્થતા સાચવી શકે છે. પારકાઓ પ્રત્યેની ઘૃણાનો ત્યાગ કરી શકે છે.અને આવી વ્યકિત જ અંત કાળે ભસ્મસાત થનાર દેહનો મોહ રાખ્યા વગર પોતાનો પ્રાણ પુરૂષમાં ભળી જાય એવી પ્રાર્થના કરી શકે. આમ ઇશાવાસ્ય ઉપનિષદમાં “આત્મા-પરમાત્મા”, “ભોગ-ત્યાગ”, “વિદ્યા-અવિદ્યા” તથા “સંભૂતિ- વિનાશ” જેવા ચાર દ્વૈતની ચર્ચા કરવામાં આવી છે.અને તમો ગુણી,રજો ગુણી, સત્વ ગુણી લોકોએ સત્યની શોધ માટે કેવી રીતે જીવનનું ઘડતર કરવું જોઇએ તેની સજમ આપી છે.મેં શરૂઆતમાં જ કહેલું કે પૂર્ણ ‘મદઃ પૂર્ણં ઇદં’ એ શાંતિ મંત્ર સમજાવવા કોઇ ધીર પુરૂષે અઢાર શ્લોકનું જે સંક્ષીપ્ત ભાષ્ય લખ્યંુ તે છે આ ઇશોપનિષદ. અઢાર શ્લોકમાં આટલું બધું સમજાવનાર ૠષિને નત મસ્તકે એટલું જ કહેવું રહયું કે
હે ૠષિવર્ય,
ભૂયિષ્ઠામ તે નમઃ ૤ ભૂયિષ્ઠામ તે નમઃ ૤ ભૂયિષ્ઠામ તે નમઃ ૤

અહીં આ સાથે ઇશોપ્નિષદની બાળપોથીની પૂર્ણાહુતિ કરું છું.

“શ્લોક-૧૫,૧૬” December 3, 2007

Posted by girishdesai in : ચિંતન લેખ , add a comment

શ્લોક-૧૫
હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યાપિહિતં મુખમ્ ૤
તત્ત્વં પૂષન્નપાવૃણુ સત્યધર્માય દ્દષ્ટયે ૤૤
દેહ તણા પાત્ર વડે ઢંકાયું છે મુખ આત્મનું
પ્રભુ તે તું ઉઘાડી દે, કરૂં હું દર્શન સત્યનું.
આ શ્લોકમાં મેં હિરણ્યગર્ભનો અર્થ દેહ અને સત્યનો અર્થ આત્મા શાથી કર્યો તે અંગે ચોખવટ કરું. આ શ્લોકમાં વપરાયેલા, હિરણ્યમય અને સત્ય,આ બે શબ્દોનો અર્થ એક તો લૌકિક દ્રષ્ટિથી અને બીજી તાત્ત્વિક દ્રષ્ટિથી કરીએ તો જ આ અને આના પછીના શ્લોકનો અર્થ બરાબર સમજી શકાય એમ હું માનુ છું. લૌકિક દ્રષ્ટિએ જોતાં સત્યનો અર્થ સાપેક્ષ સત્ય એવો થાય તો શું સત્યનો કોઇ બીજો પકાર છે ખરો ? હા. તે છે સનાતન સત્ય,જે સત્ય સમયાનુસાર બદલાય તે લૌકિક સાપેક્ષ સત્ય કહેવાય પણ જે સત્ય સમય સાથે બદલાય નહી તે તાત્ત્વિક કે સનાતન સત્ય કહેવાય જેનું બીજું નામ છે ઋત. ઉદાહરણ, આજે હું જીવતો છું એ સત્ય છે પણ કાલે તે સત્ય ન પણ હોય.આ છે લૌકિક સત્ય.જયારે ગુરૂત્વાકર્ષણનો નિયમ ત્રણે કાળમાં સાચો જ રહેવાનો આ છે ઋત. તેજ પ્રમાણે લૌકિક દ્રષ્ટિએ તો હિરણ્યમય પાત્ર એટલે સોનમાંથી બનેલું પાત્ર.અથવા એમ કહેવાય કે લોભામણંુ પાત્ર અર્થાત પ્રેય વસ્તુ.આ પ્રમાણે જોતાં આશ્લોકના પહેલા પદનો લૌકિક અર્થ એવો થાય કે ‘ પ્રેય રૂપી ઢાંકણથી સત્ય રૂપી વાસણનું મુખ ઢંકાયેલું છે.‘ આજ કાલ પૈસાને કારણે દરેક સમાજમાં કેટલા જુઢાણા ચાલે છે એતો આપણે સહુ જાણીએ જ છીએ.હવે હિરણ્યમયનો તાત્ત્વિક અર્થ સમજતાં પહેલાં સાંખ્ય દર્શનનો ઉપરછલ્લો ખ્યાલ આપંુ તો મારા કહેવાની મતલબ જરા સરળતાથી સમજાશે.સાંખ્ય એ શબ્દ સંખ્યા ઉપરથી બનેલો છે. અને સાંખ્ય દર્શનમાં મૂખ્ય બે તત્ત્વોનો વિચાર કરવામાં આવ્યો છે. એક પુરૂષ અને બીજી પકૃતિ.પુરૂષતો સદા અવર્ણ્ય જ રહયો છે એટલે તેને તત્- ત્વમઅસિનું આગવું સ્થાન અપાયું પણ પ્રકૃતિને સમજવા તેને ચોવીસ પેટા તત્ત્વોમાં વિભાજીત કરવામાં આવી. તે ચોવીસ વિભાગો મેં અહીં આ પ્રમાણે દર્શાવ્યા છે. મહત, બુદ્ધિ, અહંકાર, મનસ, પાંચ તન્માત્રા, પાંચ કર્મેન્દ્રિઓ, પાંચ જ્ઞાનેન્દ્રિઓ અને પાંચ મહાભૂત. સાંખ્ય મત પ્રમાણે પુરૂષ સદા અવ્યકત રહે છે અને તે નિર્ગુણ, નિરાકાર, સર્વજ્ઞ, સર્વવ્યાપી વગેરે વગેરે છે પણ પ્રકૃતિ ત્રણ ગુણોથી યુકત છે. જયારે આ ત્રણે ગુણોની માત્રા એક સરખી હોય છે,અર્થાત જયારે આ ત્રણે ગુણો સમતોલ હોય છે ત્યારે પ્રકૃતિ અવ્યકત રહે છે પરંતુ જયારે આ ગુણોની માત્રા અસમતોલ થાય છે ત્યારે પ્રકૃતિ સૃષ્ટિ સ્વરૂપે વ્યકત થાય છે. આ અસમતુલા શાથી થાય છે તેનું કારણ આજ સુધી કોઇ જાણી શકયું નથી અને હવે પછી પણ જાણી શકશે નહી, કારણકે જયારે આ ત્રણ ગુણો સમતોલ હોય છે ત્યારે બધું જ અવ્યકત હોય છે અર્થાત કોઇ પણ જીવ સાક્ષી રૂપે હાજર હોતો નથી અને અસમતુલા થયા બાદ પણ જીવ સૃષ્ટિ ઉત્પન્ન થતાં કાંઇ કરોડો વર્ષ નીકળી જાય છે તો આ યુગો પૂર્વેનો વણ લખ્યો ઇતિહાસ કોણ જાણી શકે ? આમ જે અસમતુલાથી પ્રકૃતિનું સૃષ્ટિમાં પરીવર્તન થયું અર્થાત પ્રકૃતિનાં જે ગર્ભમાંથી છુપાયેલી સૃષ્ટિનો ઉદ્ભવ થયો તે ગર્ભને હિરણ્યગર્ભ કહેવાય છે.આ ઉપરથી એમ કહી શકાય કે આ ચોવીસ તત્ત્વો વાળી સૃષ્ટિ હિરણ્ય-ગર્ભથી ઢંકાયેલી છે અને તેમાં જ આપણો દેહ ઢંકાયો છે.આ કારણથી જ મેં હિરણ્યગર્ભનો અર્થ દેહ કર્યો. હવે સત્યનો અર્થ આત્મા શાથી કર્યો એનું કારણ આપવાની જરૂર છે ખરી? આત્માતો અજન્મા અને અમર છે એવી પ્રચલીત સામાજિક માન્યતા છે.મેં આત્માનો સાક્ષાતકાર કર્યો નથી એટલે મારે આટલેથી જ સંતોષ માનવો રહયો.અને દરેક વ્યકિતને દેહ કરતા વધુ પ્રિય કશું હોય છે ખરૂં ? વળી જે દેહમાં આત્માની હાજરી ન હોય અર્થાત મૃત દેહ કોઇને પણ પ્રિય લાગે ખરો?.આમ તાત્ત્વિક દ્રષ્ટિએ આ શ્લોકનો અર્થ એમ જરૂર કરી શકાય કે દેહ રૂપી પ્રેય ઢાંકણ વડે શ્રેય રૂપી આત્મા ઢંકાયેલો છે. હવે શ્લોકના બીજા પદમાં જે ‘સત્યધર્માય’ શબ્દ છે એનો અર્થ છે – સત્યધર્મા માટે – એટલે કે જે સત્યની શોધમાં નીકળ્યો છે તેને માટે. અહીં સાધક પોતે જેની શોધમાં નીકળ્યો છે તે પૂષન્ ને એટલે કે બ્રહ્મને વિનંતી કરે છે કે હે બ્રહ્મ, સત્યની શોધમાં નીકળેલા મારે માટે તું આ દેહનું આવરણ દૂર કર જેથી એમાં છુપાયેલ આત્માનું હું દર્શન કરી શકું.અહીં દેહ રૂપી આવરણ દૂર કરવાનો અર્થ મૃત્યુની પ્રાપ્તિ ન કરશો.મૃત્યુ પછી તો સત્યની શોધની વાત જ કયાંથી થાય ! જે દેહમાં જીવ ન હોય તે શોધ કેવી રીતે કરે. દેહ રૂપી આવરણનો અર્થતો ઋષિએ પહેલા શ્લોકમાં જ આપી દીધો છે.જગત્યામ્ જગત એટલે કે હર પળે બદલાતું જગત- ક્ષણભંગુર જગત- આપણો દેહ પણ જગતનો જ ભાગ છે અને તે પણ ક્ષણભંગુર છે એ વાત જો મનમાં બરાબર વસી જાય ‘આદાય’ તો જ દેહનો મોહ જાય. દેહનો આ મોહ એટલે જ આત્માનું આવરણ અને તે સત્યના પૂર્ણ જ્ઞાન સિવાય કદી દૂર થઇ શકે નહીં. અને પૂર્ણ જ્ઞાન માટે અહંકારનો નાશ કરવો અતિ આવશ્યક છે.જયારે બ્રહ્મ સત્ય જગત મિથ્યા એ જ્ઞાન ચિત્તમાં દ્રઢ થાય ત્યારે આપોઆપ સદેહે જ આ દેહાવરણ દૂર થઇ જાય. રાજા જનકને વિદેહિ કહેવાનું આજ કારણ છે. અને દરેક સાધકની, દરેક સત્યધર્માની આજ યાચના હોવી જોઇએ.
શ્લોક-૧૬
પૂષન્ એકર્ષે યમ સૂર્ય પ્રજાપત્ય વ્યૂહ રશ્મીન સમૂહ ૤
તેજો યત્તે “રૂપં કલ્યાણતમં તત્તે પશ્યામિ
યઃ અસૌ અસૌ પુરૂષઃ સોઅહમ્ અસ્મિ ૤૤

હે એકલગામી નિયંતા,પજાપતિ પુત્ર, સૂર્ય,
વિિસ્તારીને સંકેલીલે તું કિરણો ત્હારા.
જેથી હું જોઉ કલ્યાણમય રૂપ તારૂં
જે છે પેલો પુ઼રૂષ તે જ છે રૂપ પણ મારૂં.

અહીં આ પ્રાર્થના સૂર્યને ઉદ્દેશીને કરાઇ છે.કારણ કે સૂર્ય એ જીવનનું પ્રતિક છે.તેની શકિતથી જ જીવન ચાલે છે. આ રાત, દિવસ, ઋતુઓ, હવામાન, અનાજ, વર્ષા બધું જ એની શકિત ઉપર નિર્ભર છે ને? આ બધાંનું નિયમન તેનાથી જ થાય છે ને? અને તેથી જ એને અહીં યમ અર્થાત નિયામકનું બીરૂદ અપાયું છે.વળી પ્રજાપત્ય એટલે કે પજાપતિનો પુત્ર કહયો છે એનું કારણ એ છે કે સૂર્ય ભલે આ પૃથ્વીનો નિયામક હોય, પણ એના નિયામકતો એના પિતા બ્રહ્મા જ છે. બ્રહ્માન્ડમાં તો એના જેવા અને એનાથી પણ મોટા કેટલાંયે સૂર્ય છે.અહીં સાધક સૂર્યને તેના કીરણોનો વ્યૂહ કરીને, પસારીને, અર્થાત ફેલાવીને – જેમ યુદ્ધમાં લશ્કરને વ્યૂહ રચના વખતે ફેલાવી દેવામાં આવે છે તેમ – તથા સંકેલી લઈ ઍ ક સાથે સમૂહમાં બતાવવા અંગે વીનંતી કરે છે કે જેથી તે સૂર્યની પૂર્ણ શકિતના બધાંજ અંગો સમજી શકે. દા.ત.આપણે કોઇ પણ યંત્ર કેવી રીતે કામ કરે છે તે સમજવું હોય તો પહેલા તેના બધા ભાગ જુદા કરી તે દરેકનો અભ્યાસ કરી વળી પાછા એક પછી એક ભેગા કરી યંત્રને હતું તે સ્થિતીમાં મુકી દઇએ તો તે યંત્ર અંગેની પૂર્ણ માહિતી મળી જાય.હવે આ શ્લોકના છેલ્લા પદનો વિચારકરીએ તો સમજાશે કે ઋષિ સૂર્યનો નિર્દેશ કરી આત્માનો સંકેત કરે છે.આત્મા જ જીવનનો સૂર્ય છે એને પ્રતાપે જ આ દેહ સૃષ્ટિ ચાલે છે. જીવાત્મા જ દેહનો નિયામક (યમ) છે.અને દરેક જીવાત્મા પરમાત્માનો જ અંશ છે.અને પરમાત્મા એટલે પ્રજાપતિ બ્રહ્મ.આ દ્રષ્ટિએ જીવાત્માને પ્રજાપતિનો પુત્ર-પ્રજાપત્ય – કહી શકાય. આમ જો પ્રકૃતિમાં રહેલા દરેક જીવત્માને પરમાત્માનું એક કિરણ સમજી તે દરેકને અલગ અલગ તપાસી તેની ખાસીયતો નો અભ્યાસ કરીએ અને પછી આ બધાનો એકત્ર એટલે કે સામાજિક દ્રષ્ટિથી અભ્યાસ કરીએ તો જ સો અહં અસ્મિનો અનુભવ થાય. અહીં જીવાત્મા એટલે પ્રકૃતિ અને પરમાત્મા એટલે પુરૂષ એવો અર્થ કરીએ તો વ્યૂહ અને સમુહનો સચો અર્થ સમજાય.સૃષ્ટિના હરેક અંશને બરાબર રીતે,પૂર્ણ રીતે,સમજીએ તો જ પુરૂષનો પૂર્ણ ખ્યાલ આવે એમ ઋષિનું કહેવું છે.અને ત્યારે જ પુરૂષ અને પ્રકૃતિની એકતા સમજાય.આ એકતાનું જ્ઞાન થતાં જ આપોઆપ સો અહં અસ્મિ બોલાઇ જાય.અને આ સ્થિતીએ પહોંચેલા સાધકને માટે સુખ દુઃખ હર્ષ શોક કશું જ રહેતું નથી.એની સ્થિતી પરમાત્મ જેવી જ થઇ જાય છે.આવી સ્થિતીનો અનુભવ થયો હસે એટલે જ ને શ્રી શંકરાચાર્યે ગાયું કે ન પાપં ન પૂણ્યં ન સૌખ્યં ન દુઃખં

ન મંત્રો ન તીર્થં ન વેદા ન યજ્ઞઃ ૤
અહં ભોજનં નૈવ ભોજયં ચ ભોકતા
ચીદાનંદ રૂપં શિવોહં શિવોહં ૤૤

“ઈશવાસ્ય-શ્લોક ૧૨,૧૩,૧૪” November 28, 2007

Posted by girishdesai in : ચિંતન લેખ , add a comment

શ્લોક ૧૨
અન્ધં તમઃ પ્રવિશન્તિ યે અસંભૂતિમ્ ઉપાસતે ૤
તતો ભૂય ઇવ તે તમઃ ય ઉ સંભૂત્યાં રતાઃ ૤૤
પ્રવેશે ગાઢ અંધકારે, અસંભૂતિ જે ઉપાસતા
પણ અતિ પ્રગાઢ અંધકારે પ્રવેશે તેઓ
જે રહે રત કેવળ સંભૂતિ મહીં
શ્લોક ૧૩
અન્યદ્ એવ આહુઃ સંભવાદ્ અન્યદ્ આહુઃ અસંભવાત્ ૤
ઇતિ શુશ્રુમ ધીરાણાં યે નઃ તદ્ વિચચક્ષિરે ૤૤
મળે સંભૂતિથી જે કાંઇ તેથી જુદું અસંભૂતિથી મળે
દીધી શીખ જે ધીરજનોએ,તે સુણી તેઓ પાસે અમે
શ્લોક ૧૪
સંભૂતિમ્ ચ વિનાશં ચ યઃ તત્ વેદ ઉભયં સહ ૤
વિનાશેન મૃત્યું તીર્ર્ત્વા સંભૂત્યા અમૃતમ્ અશ્નુતે ૤૤
સંભૂતિ અને વિનાશ અંગે, જાણેે એક સાથ જે
વિનાશથી તરી મૃત્યુ, સંભૂતિથી અમૃત મેળવે.
આ ત્રણ શ્લોક આગળના ત્રણ શ્લોકનું પુનરાવર્તન જ છે.ફરક કેવળ બે શબ્દોનો જ છે. વિદ્યાને બદલે સંભૂતિ અને અવિદ્યાને બદલે અસંભૂતિ,એટલે કે વિનાશ,એવા શબ્દો ઋષિએ વાપર્યાં છે એનું કારણ આપણે આગળ જોઇ ગયા છીએ તેમ આ ત્રણ શ્લોક સાત્વિક વૃત્તિના મનુષ્યો ને ઉદ્દેશીને ઋષિએ લખ્યાં હોય એમ લાગે છે.ઋષિ સારી રીતે જાણે છે કે વિદ્યાર્થિની લાયકાત પ્રમાણે જ શબ્દોનો ઉપયોગ કરવો જોઇએ. આપણે પણ પાણીને માટે ‘ભૂ’ કે ‘H2O’ એમ બે શબ્દોનો ઉપયોગ કોની સાથે વાત કરીએ છીએ તે વિચારીને જ કરીએ છીએ ને? નાના બાળકને કોઇ ‘H2O’ પીવાનું કહે ખરૂં ? કે કોઇ રસાયણ શાસ્ત્રીને ‘ભૂ’ નુ સમિકરણ સમજાવો એમ કહે ખરૂં ? સંભૂતિ એટલે નર્યું અસ્તિત્વ.અસ્તિત્વં એટલે (અસ્તિ + ત્વં)એટલે કે તું જ છે એવો મનોભાવ. આ ‘તું’ એટલે જ તે ‘પુરૂષ’ અથવા ‘અદઃ’ અને અસંભૂતિ એટલે જેનું અસ્તિત્વ કાયમ નથી એવું અર્થાત વિનાશશીલ એટલે પ્રકૃતિ અથવા ‘ઇદમ.’ આ અગાઉ સાત્વિકની વ્યાખ્યા આપી ત્યારે આપણે જોએલું કે સાત્વિક જનો બે પ્રકારના હોય છે. એક પરમાર્થી એટલે કે સગુણ બ્રહ્મના ‘પ્રકૃતિના’ ઉપાસકો અને બીજા નિસ્વાર્થી એટલે કે નિર્ગુણ બ્રહ્મના ‘પુરૂષના’ ઉપાસકો. હવે આ ત્રણ શ્લોક સમજવાનો પ્રયત્ન કરીએ. ‘અંધમ્ તમઃ પ્રવિશન્તિ એ અસંભૂતિમ્ ઉપાસતે’ એટલે કે જેઓ કેવળ પ્રકૃતિની જ ઉપાસના કરે છે, સગુણ બ્રહ્મની જ સાધના કરે છે અને પુરૂષની-નિર્ગુણ બ્રહ્મની જાણકારી પ્રત્યે ઉદાસીનતા દાખવે છે તેઓ પૂરૂં સત્ય જાણી શકતા નથી. એટલે કે અંધકારમાં જ પ્રવેશે છે એમ જ કહેવાય.પરમાર્થ કરતી વખતે જો પુરૂષનો ખ્યાલ ન રહે તો, પરમાર્થ હું જ કરૂં છું, એવો ભાવ થતાં મનમાં અહંકાર વધે છે. આ છે અસંભૂતિનો ગેરફાયદો, પણ જો પરમાર્થની સાથે સાથે મનમાં પુરૂષનો ખ્યાલ રહે તો, ભગવાનની ઇચ્છાથી હું કોઇને સહાય કરી શકું છું, એવો ખ્યાલ વસતાં મનમાં નમ્રતા અને ભકિતનો ઉદ્ભવ થવાની સંભાવના રહે છે. આ છે અસંભૂતિનો ફાયદો. હવે ‘તતો ભૂય ઇવ તે તમઃ ય ઉ વિદ્યાયામ્ રતાઃ’ નો અર્થ કરીએ. કેવળ પુરૂષની ઉપાસના કરવાથી વધારે અંધકારમાં શી રીતે જવાય! જો એમ જ હોય તો પછી પુરૂષને પૂજે જ કોણ ? યાદ તો હશે જ કે શંાતિ મંત્ર સમજતી વખતે આપણે પુરૂષને તત્વ અને પ્રકૃતિને તેના ગુણ તરીકે સમજેલાં. બીજી દ્રષ્ટિએ જોતાં એમ પણ કહી શકાય કે જો પુરૂષ કોઇ વ્યકિત હોય તો પ્રકૃતિ તેનો ચહેરો છે, એનો દેહ છે. વ્યકિતનો ચહેરો જોયા સિવાય એની પાકી ઓળખાણ થાય ખરી ? કોઇ માણસના ગુણ જાણ્યા વગર એને પૂરેપરો શી રીતે સમજી શકાય? લંગોટ પહેરેલો સાધુ કે સૂટ પહેરેલો સાહેબ સંત છે કે સેતાન એ એના ગુણ જાણ્યા સિવાય શી રીતે કહેવાય? સાધુના વેશમાં રહેલ સેતાનની ઉપાસના કરીએ તો ગાઢ અંધકારની ગર્તામાં જવા બરોબર જ થયું કહેવાયને? બીજું એ કે નિર્ગુણની ઉપાસના કઠણ છે. નિર્ગુણ એટલે શું તે સમજવું અતિ દુષ્કર છે.ઋષિ મુનિઓએ પ્રકૃતિના જે જે વિષય ઉપર ચિંતન કર્યું તે બધામાં કાંઇ ને કાંઇ ગુણ દેખાયો. અને ગુણ દેખાતાં જ બોલી ઉઠયાં ‘નેતી નેતી-આ નહી આ નહી’. એનો અર્થ એ થયો કે આ ઋષિઓને નેતી નેતી ઉચ્ચારતા પહેલા પ્રકૃતિનો પૂરો અભ્યાસ કરવો જ પડયો. પ્રકૃતિને સમજયાં વિના પુરૂષ સમજાય જ નહી. હા, સમજયાનો દંભ કરી શકાય ખરો.આ દંભ એ જ ગાઢ અંધકાર. આ સારૂં જ પુરૂષ દર્શન દેતાં પહેલા પ્રકૃતિ રૂપે પોતાનું પ્રદર્શન કરે છે.જે મનુષ્ય પુરૂષ અને પ્રકૃતિ એટલે કે સગુણને અને નિર્ગુણને એક સાથે સમજયો નથી તેને જ્ઞાની કહેવાય જ નહી. કેવળ પ્રકૃતિની ઉપાસનાથી વિવેક-બુદ્ધિ કેળવી શકાય.વળી કેવળ પુરૂષની ઉપાસનાથી વિનય એટલેકે શ્રદ્ધા અગર નમ્રતા કેળવી શકાય.પરંતુ વિવેક અને વિનયનો સુમેળ ન થાય તો જ્ઞાન પ્રાપ્તિ અસંભવિત છે. વિનય અને વિવેકનો સુમેળ એટલે જ જ્ઞાન યોગ કે રાજ યોગ. વિનય અને વિવેકથી કરેલી સાધના એટલે જ ભકિત.પુરૂષ અને પ્રકૃતિની એક સાથે થયેલી ઉપાસનાની અગત્ય કેટલી છે તે સમજવું હોય તો શ્રી રામકૃષ્ણ પરમહંસ અને એમના ગુરૂ શ્રી તોતાપુરીજી મહારાજ- નાંગટા બાવા-વચ્ચે બનેલ બે પ્રસંગ જાણવા જેવા છે.આમતો આ બન્ને મહાત્મા એક બીજાના ગુરૂ અને શિષ્ય હતા એમ કહી શકાય. શ્રી રામકૃષ્ણ જયારે સમાધિસ્થ અવસ્થામાં પહોંચી જતાં ત્યારે તેમને શ્રી કાલીના દર્શન અચુક થતાં.પરંતુ મા-કાલી એતો પરબ્રહ્મનું સગુણ રૂપ થયું.તેમને હજી સુધી નિર્ગુણ બ્રહ્મની અનુભુતિ થઇ ન હતી.આવે સમયે શ્રી તોતાપુરીજી દક્ષીણેશ્વર આવી પહોચ્યાં અને તેમણે શ્રી રામકૃષ્ણની આવી હાલત જોઇ ત્યારે તેમને દીક્ષા આપી પોતાના શિષ્ય બનાવ્યા અને એક દિવસ ગુસ્સામાં આવી એક કાચનો ટુકડો લઇ શ્રંી રામકૃષ્ણની બે ભમરની વચ્ચે મારી કહયું તું તારૂં ધ્યાન અહીં એકત્રીત કર અને એટલું કહી શ્રી રામકૃષ્ણને એક ઓરડીમાં પૂરી દઇ બહારથી તાળું મારી દીધું.શ્રી રામકૃણને એવી સમાધિ લાગી ગઇ કે ત્રણ દિવસ સુધી તેઓ તે જ સ્થિતિમાં રહયાં. શ્રી તોતાપુરીજી મનમાં વિચારતા જ રહયાં કે હજી તેણે બારણું કેમ ન ખખડાવ્યું.પછી પોતાની ધીરજ ખુટતાં પોતે જ બારણું ઉઘાડયું અને જોયું તો શ્રી રામકૃષ્ણને સમાધિસ્થ સ્થિતિમાં જોયા.તેમણે શ્રી રામકૃષ્ણનું શરીર તપાસી જોયું, તેમનો શ્વાસ તપાસી જોયો અને જયારે ખાત્રી થઇ કે શ્રી રામકૃષ્ણ નિર્વિકલ્પ સમાધિમાં છે ત્યારે તેમને ખૂબ આશ્વર્ય થયું કે જે સ્થિતિએ પહોંચતા પોતાને ચાલીસ વર્ષ લાગ્યાં તે સ્થિતિ શ્રી રામકૃષ્ણએ ત્રણ જ દિવસમાં પ્રાપ્ત કરી. પછી ૐકારના રટનથી રામકૃષ્ણને ભાનમાં આણ્યાં.આ પ્રમાણે શ્રી તોતાપુરીજીની સહાયથી શ્રી રામકૃષ્ણને નિર્ગુણ બ્રહ્મની અનુભૂતિ થઇ. શ્રી તોતાપુરીજીને નિર્ગુણ બ્રહ્મની, ‘પુરૂષની’ અનુભૂતિ થઇ ચુકી હતી.પરંતુ જપ,કીર્તન,ભજન વગેરેમાં તે માનતા નહી.એક વખત શ્રી રામકૃષ્ણ ભજન ગાતા ગાતા તાળી પાડી રહયાં હતાં તે જોઇ તોતાપુરીજી એ ટીકા કરતા કહયું તમે રોટલા કેમ ટીપો છો? જગદંબાની ‘સગુણની’ ભકિત પૂજા અંગે આ બે મહાનુભાવોમાં ઘણી વખત મતભેદ થઇ જતો. પરંતુ વિધિના ખેલ તો જુઓ ત્રણ દિવસથી વધુ કોઇ પણ સ્થળે નહી રહેનારા તોતાપુરીજી શ્રી રામકૃષ્ણના સહવાસમાં સતત અગિયાર માસ રહયાં અને બંગાળના પાણીની તેમના ખડતલ અને નિરોગી શરીર ઉપર અસર થતાં તેઓ લોહીના મરડામાં ફસાયા.આ મરડાનું જોર એટલું વધી કે તેમનાથી પોતાનું મન સમાધિસ્થ કરવું લગભગ અસંભવિત થઇ ગયું. અને જયારે આ સ્થિતિ લંબાઇ ત્યારે તેમણે દેહત્યાગ કરવાનો વિચાર કરી એક રાત્રે ડૂબી મરવાના આશયથી ગંગા જળમાં ચાલવા માડયું.પરંતુ તેઓ ચાલતા ચાલતા આખી નદી પાર કરી ગયા પણ માથાડૂબ પાણી કયાંયે ન મળ્યું તેમને થયું કે આ તે કેવી દૈવી માયા! ડૂબવા જેટલું પાણી પણ આજે આ નદીમાં નથી શું ! તે જ ક્ષણે જાણે કોઇએ એમની બુદ્ધિ ઉપરથી આવરણ હઠાવી દીધું અને તોતાપુરીજીને માતાજીની અનુભૂતિ થઇ. અને ભકિતમાં નહી માનનારા તોતાપુરી ભકિત વિભોર ચિત્તે ‘મા’,’મા’,ના પોકારોથી દિશાઓ ભરી દીધી. અને પ્રભાત થતાં જ શ્રી રામકૃષ્ણ અને શ્રી તોતાપુરીજી મા જગદંબાની મૂર્તિ સમક્ષ પ્રણિપાત કરી રહયાં. આમ આ બેઉ મહાત્માઓએ સગુણ અને નિર્ગુણની અનુભૂતિ કરી પૂર્ણ જ્ઞાન પાપ્ત કર્યું. અહીં એક વાત ધ્યાન ખેંચે એવી એ છે કે નિર્ગુણની સાધના કરતાં સગુણની સાધનાથી સિદ્ધિ મેળવવી સહેલી છે. નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિમાં તોતાપુરીજીને ચાલીસ વર્ષ લાગ્યા પરંતુ શ્રી રામકૃષ્ણએ સગુણની પ્રાપ્તિ કરી લીધી હતી એટલે નિર્ગુણની પ્રાપ્તિમાં ત્રણ જ દિવસ લાગ્યા.
ટુંકમાં, ઉપરના છ શ્લોકોનો અર્થ એટલો જ છે કે જીવનના સર્વાંગી કે પૂર્ણ વિકાસ માટે પુરૂષ અને પ્રકૃતિનો એક સાથે અને એક સરખો વિચાર કરી તે પ્રમાણે જીવન વ્યવહાર કરવો. આપણે સહુ પ્રકૃતિના ભાગ છીએ તો આપણે આપણી જાતનો જ અસ્વિકાર કરીએ તે કેમ ચાલે! પહેલાં હું કોણ એ જાણું પછી જ ‘તે’ કોણની પંચાત કરૂં તે જ યોગ્ય ગણાય ને ?
પુરૂષ પિતા છે મા પકૃતિ,‘ને આપણે છીએ તેમનાં છોરૂં
જો ન કરી એ સેવા બેઉની તો,રહે જીવન અપૂર્ણ અધુરૂં.
એક વાત આપણે સહુએ યાદ રાખવી જોઇએ કે
પુરૂષ વિના પ્રકૃતિની પ્રગતી થતી નથી
અને પ્રકૃતિ વિના પુરૂષની પ્રતીતિ થતી નથી.
Add comment November 28,

“ઈશાવાસ્ય – શ્લોક ૯,૧૦,૧૧” November 26, 2007

Posted by girishdesai in : ચિંતન લેખ , add a comment

“ઈશાવાસ્ય – શ્લોક ૯,૧૦,૧૧”

November 26, 2007 Edit

શ્લોક ૯
અન્ધં તમઃ પ્રવિશન્તિ યે અવિદ્યામ્ ઉપાસતે ૤
તતો ભૂય ઇવ તે તમઃ ય ઉ વિદ્યાયાં રતાઃ ૤૤
પ્રવેશે ગાઢ અંધકારે,અવિદ્યા જે ઉપાસતા
વળી અતિ ગાઢ અંધકારે પ્રવેશે તેઓ
જે રહે રત કેવળ વિદ્યા મહીં
શ્લોક ૧૦
અન્યદ્ એવ આહુઃ વિદ્યયા અન્યદ્ આહુઃ અવિદ્યા ૤
ઇતિ શુશ્રુમ ધીરાણાં યે નઃ તદ્ વિચચક્ષિરે
મળે જે કાંઇ અવિદ્યાથી તેથી જુદું વિદ્યાથી મળે
દીધી શીખ ધીરજનોએ જે, તેઓ પાસેથી સુણી અમે
શ્લોક ૧૧
વિદ્યાં ચ અવિદ્યાં ચ યઃ તદ વેદ ઉભયં સહ ૤
અવિદ્યયા મૃત્યું તીરત્વા વિદ્યયા અમૃતમ્ અશ્નુતે
વિદ્યા અને અવિદ્યા વિશે, જાણે જે એક સાથ જે
તે અવિદ્યાથી મૃત્યુને તરી,વિદ્યાથી અમૃત મેળવે.
આ ત્રણ શ્લોકમાં ઋષિ વિદ્યા અને અવિદ્યા વચ્ચેનો ભેદ કાંઇક મોઘમમાં સમજાવી રહયાં છે. એમનું કહેવું છે કે વિદ્યાથી કે અવિદ્યાથી કરેલા કર્મનું ફળતો જરૂર મળે છે અને કેવળ આ ફળના પ્રકારથી જ વિદ્યા અને અવિદ્યા વચ્ચેનો ભેદ સમજી શકાય છે.એમનું કહેવું છે કે અમે તો અમારા જમાનાનાં ધીર પુરૂષો પાસે જઇ આ બબતનો નિર્ણય કરેલો.તમારે જો વિદ્યા અને અવિદ્યા વચ્ચેનો ભેદ સમજવો હોય તો તમે પણ તમારા જમાનાનાં ધીર જનો પાસે જઇ તેમને પુછજો.વિદ્યા અને અવિદ્યાનો વચ્ચેનો ભેદ કોઇ શાણા પુરૂષે એક જ વાકયમાં સમજાવ્યો છે. “સા વિદ્યા યા વિમુકતયે” અર્થાત જે મુકિત અપાવે તેજ વિદ્યા બાકી બધી અવિદ્યા.મને લાગે છે કે હવે આ ત્રણ શ્લોક સમજતાં પહેલાં કેટલીક વતો અહીં સ્પષ્ટ કરવી જરૂરી છે.મારી દ્રષ્ટિએ જોતાં
૧)શ્લોક નં. ૩ તામસિક વૃત્તિના લોકોને ઉદ્દેશીને લખાયો છે.
૨)શ્લોક નં. ૯,૧૦ અને ૧૧ રાજસિક લોકોને ઉદ્દેશીને લખાયાં છે અને
૩)શ્લોક નં.૧૨,૧૩ અને ૧૪ સાત્વિક લોકોને ઉદ્દેશીને લખાયાં છે.
તામસિક,રાજસિક અને સાત્વિકની મારી સીધી સાદી વ્યાખ્યા નીચે પ્રમાણે છે. તામસિક એટલે પાકો સ્વાર્થી (સ્વ+અર્થી) પોતે પહેલો પછી બીજા બધાં.ઇશ્વરનો નંબર પણ બીજો આવે પોતાનું કામ પાર પાડતાં બીજાને નુકશાન થાય તેનો વાંધો નહીં ઉલટું સારૂં થયું એવું માનવા વાળા.
રાજસિક એટલે વ્યવહારૂ. પોતાનું કામ પાર પાડવા બીજાઓને મદદ કરે અને પોતાની નિસ્વાર્થતાના બણગા ફુંકે પોતાના ફાયદા માટે ઇશ્વરને પણ બાધા કથા, વ્રત વગેરેની લાલચો આપે. સત્ય નારાયણની કથાનો વાણિયો તો તમને યાદ હશે જ.
સાત્વિક એટલે ઇશ્વરમાં શ્રદ્ધા રાખવા વાળા. ઇશ્વરની ઇચ્છા પ્રમાણે જીવનારા. સાત્વિકના બે પ્રકાર હોય છે. નિસ્વાર્થી અને પરમાર્થી. બધાંમાં ઇશ્વરને-પરમને-જુએ તે પરમાર્થી. આવા લોકો પ્રકૃતિની સેવામાં અર્થાત જન સેવામાં રત રહેનારા હોય છે. અને નિસ્વાર્થી એટલે –
(સ્વ ન અસ્તિ =સ્વ છે જ નહીં )- યાને કે બધું જ ઇશ્વરમય છે એવું માનવા વાળા અને આવી વ્યકિતઓ પુરૂષ ના ઉપાસકો હોય છે. આ વાત આગળ જતાં સમજાશે.
હવે પાછા મૂળ વાત ઉપર જઇએ.આમતો વિદ્યા અને અવિદ્યા શું છે એનો અણસાર ઋષિએ પહેલા જ શ્લોકમાં કર્યો છે. – ત્યકતેન ભુંજીથા – એટલે કે ત્યાગ વૃત્તિ અને ભોગ વૃત્તિ એ બેઉ કેળવો. સામાન્ય મનુષ્યના જીવનમાં આ બન્ને આવશ્યક છે. પરંતુ આ બેઉ વચ્ચેનો ફરક જાણવો એ પણ એટલું જ આવશ્યક છે. ઘરમા હાંડલા ખખડતાં હોય તો હું ઉપવાસ કરી રહયો છું એમ કહેવું શું યોગ્ય ગણાય ખરૂં? અને જે ભોગનો ત્યાગ ન થઇ શકે તે ભોગ હું ભોગવું છું કે ભોગ મને ભોગવે છે? સીગરેટ કે દારુનું વ્યસન ન છુટે તો કેન્સરના ભોગ થવું પણ પડે.તામસિક લોકોને સમજાવવા ઋષિએ આ ત્યાગ અને ભોગ શબ્દ વાપર્યાં પરંતુ રાજસિકોને સમજાવા એમણે ત્યાગને વિદ્યા અને ભોગને અવિદ્યા એવા નામ આપ્યાં.ભોગથી જ – અવિદ્યાથી જ – બંધન થાયને ? અને ત્યાગથી જ – વિદ્યાથી જ – મુકિત મળેને ? આ વિદ્યા શબ્દ ખાસ ધ્યાનથી સમજવા જેવો છે. વિદ એટલે જાણવંુ “ટુ નો” અને વિદ્યા એટલે જાણકારી “નોલેજ” અંગ્રેજીમાં આ “નોલેજ” શબ્દ જ્ઞાન માટે પણ વપરાય છે. જ્ઞાન અને વિદ્યા એક જ વાત નથી.અંગ્રેજી ભાષાની આ અધુરપ આપણને વિદ્યા અને જ્ઞાન વચ્ચે ગોટાળો કરાવે છે. સંકૃત ભાષામાં વપરાતા ધર્મ, જ્ઞાન અને શ્રદ્ધા આ ત્રણ શબ્દો ને અંગ્રેજીમાં સમજાવવા જરી કઠણ છે,કારણ કે જેમ ધર્મમાં ફરજનો,જ્ઞાનમાં વિવેકનો અને શ્રદ્ધામાં વિનયનો પડઘો પડે છે તેમ રીલીજીયનમાં ડયુટીનો,નોલેજમાં ડીસ્ક્રીમીનેશનનો અને ફેથમાં હયુમીલીટીનો પડઘો જરાયે પડતો નથી.જાણકાર માણસ વિદ્વાન કહેવાય પણ જ્ઞાની ન કહેવાય. વિદ્યા અને જ્ઞાનમાં મૂખ્ય તફાવત એ છે કે જે પ્રમાણે વિદ્યા બીજાને આપી શકાય છે,શીખવાડી શકાય છે તે પ્રમાણે જ્ઞાન બીજાને અપાતું નથી. વિદ્યા એ બહારથી મળેલી વસ્તુ છે જયારે જ્ઞાન અંતરમાં સ્ફુરેલી વસ્તુ છે. જેમ ખોરાકનું પાચન થતાં આપોઆપ લોહી બને છે તેમ વિદ્યાનંુબુદ્ધિમાં પાચન થતાં તે આપોઆપ જ્ઞાન બને છે.વિદ્યાની આપલે કરવા વિદ્યાલયો હોય છે. કોઇએ કશે જ્ઞાનાલય સ્થાપ્યું હોય એવું સંાભળ્યું છે ખરૂં ? જ્ઞાન તો એક એવું ધામ છે કે ત્યાં જવા માટે સડકતો વિદ્યાની જ લેવી પડે પરંતુ જયાં સુધી આ સડક પુરી ન થાય અને ધામ ઉપર ન પહોંચાય ત્યાં સુધી વિદ્યાર્થી જ રહેવું પડે.જેની સહાયથી આપણે મેળવેલી વિદ્યાનું જ્ઞાનમાં પ્રિવર્તન થઇ જાય તે જ જ્ઞાનાલય અર્થાત સદ્ગુરૂ એટલે જ જ્ઞાનાલય.
હવે “અંધં તમઃ પ્રવિશન્તિ એ અવિદ્યામ્ ઉપાસતે” નો શું અર્થ થાય છે તે જોઇએ.પણ તે પૂર્વે અવિદ્યા એટલે શું તે જરા વધારે ઊડાણમાં સમજી લઇએ.અવિદ્યા એટલે વિદ્યાનો અભાવ નહીં. અહીં ‘અ’ એ નકારાત્મક પૂર્વગ નથી. મારી દ્રષ્ટિએતો આ અવિદ્યા એ શબ્દ મધ્યમ પદ લોપી સમાસ છે. અર્થાત અવિદ્યા એટલે અ‘પૂર્ણ’વિદ્યા.મેં આગળ દર્શાવેલું તેમ ‘પૂર્ણમદઃ પૂર્ણમ્ ઇદં’એ શાન્તિ મંત્ર સમજાવવા આ ઉપનિષદની રચના થઇ છે. તેથી જો આ પૂર્ણ શબ્દ ઉપર ધ્યાન રાખીશું તો આખું ઉપનિષદ સરળતાથી સમજાશે. પૂર્ણ એટલે સર્વાંગી અને અપૂર્ણ એટલે એકાંગી અથવા બહુઅંગી. અર્થાત જીવના કોઇ એક કે બે પાસાના વિકાસમાં જ મદદ કરે તે અવિદ્યા અને જેનાથી જીવનનો પૂર્ણ વિકાસ થાય તે વિદ્યા.જેમકે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું કે આંખમાં નેત્રમણિ મુકવો વગેરે ટેકનોલોજી, કાર કે પ્લેન વગેરેની ટેન્કોલોજી અને ટેલીફોન, ઇન્ટરનેટ વગેરે ટેકનોલોજી જીવનના વિવિધ અંગો માટે સહાયક નીવડે છે પરંતુ તે બધાં આંતરિક પ્રગતિમાં જરાયે સહાયક નથી થતાં બલકે તે કદીક વિઘ્નકારી બને છે.જે લોકો કેવળ અવિદ્યાની ઉપાસના કરે છે તે લોકો ગાઢ અંધકારમાં પ્રવેશે છે. એટલે કે આવા લોકો સર્વાંગી વિકાસ નથી સાધી શકતા.દેહની સુખ સગવડોના મોહમાં તેઓ આત્મોન્નતી નથી સાધી શકતા. કોઇ પણ બુદ્ધિશાળી વ્યકિત અવિદ્યાની ઉપાસના કરે ખરી ? કેવળ જેને વિદ્યા અવિદ્યા વચ્ચેનો ભેદ સમજાયો નથી તેને અનુલક્ષીને જ ઋષિએ આ શ્લોક રચ્યો છે.અંધશ્રદ્ધા રાખી વ્રત,કથા અને નિયમોનું પાલન કરવું એ પણ અવિદ્યા ની જ ઉપાસના છે. અર્થાત જે લોકો વિદ્યાની સડક – સર્વાંગી વિકાસ – ઉપર ચઢયાં જ નથી તેવા લોકો અવિદ્યાના ઉપાસકો છે અને આવા લોકો સદા ગાઢ અંધકારમાં જ રહે છે એમ ઋષિનું કહેવું છે.તો પછી ‘તતો ભૂય ઇવ તે તમઃ ય ઉ વિદ્યાયામ્ રતાઃ’ જે લોકો કેવળ વિદ્યાની સડક ઉપર છે તેવો એથી પણ વધુ ગાઢ અંધકારમાં પ્રવેશે છે એમ શાથી કહયું ! અહીં ફરી પૂર્ણની વ્યાખ્યા તપાસીએ -પૂર્ણ એટલે જેની બહાર કશું જ ન રહી ગયું હોય તે, જો આજની ટેકનોલોજીનો એટલે કે વિજ્ઞાનનો જીવના સર્વાંગી વિકાસમાં સમાવેશ ન કરીએ તો એ વિદ્યા પૂર્ણ કહેવાય જ નહીં. જીવનના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસમાં પૂર્ણ સહાય કરે તે વિદ્યા જ સાચી વિદ્યા કહેવાય પરંતુ આ વ્યવહારિક જગતમાં એવું બને છે ખરૂં ? જીવનના સર્વાંગી વિકાસ માટે આ ત્રણે પાસાઓનો વિકાસ જરૂરી છે.આપણા સહુનો અનુભવ છે કે વિદ્યાલયોમાં જઇ માથે ઉપાધીઓનો ટોપલો મૂકી ફરતાં વિદ્વાનો વ્રત વ્રતાદિની ટીકાકરવામાં જ એમનો સમય વ્યતિત કરતાં હોય છે.વળી બીજા તો એમ માનતા હોય છે કે આપણે આધ્યાત્મિક પ્રગતિ કરીએ તે જ સાચી વિદ્યા. અને આવી માન્યતાને કારણે શાસ્ત્રોનો અને ફીલોસોફીનો ઉપરછલ્લો અભ્યાસ કરી આધ્યાત્મ વિશે સુફીઆણી વાતો કરવામાં અને વિજ્ઞાનની ટીકા કરવામાં જ પ્રવૃત્ત રહેતા હોય છે. યજ્ઞ યાગાદિ પ્રવૃત્તિ કરાવતા પંડીતો અને કથા વાર્તા કહેતા મહારાજોથી કોણ અજાણ્યું છે. એ બધા,સત્સંગનો સાચો અર્થ શું એ સમજાવ્યાં વિના જ સહુને સત્સંગ કરવાની સલાહ આપતા રહે છે. જયાં સુધી આપણા વર્તન, વાણી અને વિચારમાં ‘સત’નું અંગ ભળે નહીં અર્થાત સતનો સંગ થાય નહી ત્યાં સુધી સત્સંગ થયો કહેવાય જ નહીં. લાંચ રુશ્વત કે છેતરપીંડીથી ધન ભેગું કરનારા ને ઘરમાં નિયમિત રીતે સેવા પૂજા કરનારા કે મંદિરે જનારા લાકોના મનમાં એમ હોય છે કે આપણને તો સડક મળી ગઇ છે એટલે આપણે તો ગંગા તરી ગયા.આવા ભૌતિક વિદ્યામાં પારંગત વિદ્વાનો કયારે પણ સંયમ કે શિસ્ત નથી કેળવી શકતા એટલું જ નહી પણ બલકે રહયાં સહયાં શિસ્ત અને સંયમને પણ ગુમાવી દે છે.એટલે કે મળેલી સડક ચૂકી જઇ આડે રવાડે ચઢી જાય છે.અને ગાઢ અંધકારને માર્ગે ચાલવા લાગે છે. પોતાનામાં રહેલ અહંકાર અને ગેરસમજનું જ આ કારણ છે અને તેથી જ તેઓ અંધકારની ગર્તામાં ડૂબે છે. જો શ્લોક નવને આ પ્રમાણે સમજીએ તો શ્લોક દસનું અર્થ ઘટન બહુ સરળ થઇ જાય છે. દસમાં શ્લોકમાં એમ કહયું છે કે ધીર પુરૂષોના અભિપ્રાય અનુસાર વિદ્યાથી જે કાંઇ મળે તેના કરતા અવિદ્યાથી કાંઇક જુદું જ મળે છે. એનો અર્થ એ કે અવિદ્યાથી પણ કાંઇક મળે છે તો ખરૂં જ. આગલા શ્લોકમાં આપણે જોયું કે આજની ટેકનોલોજી જીવનની સુવિધામાં કેટલો ભાગ ભજવે છે. તેજ પ્રમાણે કોઇ સાચા જ્ઞાની પાસે શાસ્ત્રો અને તત્ત્વજ્ઞાન અંગેની સાચી સમજ કેળવીએ તો મન અંતરમુખ કરી શકાય.આને જ સત્સંગ કહેવાયને? આટલું સમજયાં પછી શ્લોક અગીયારનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ.એમાં ઋષિ કહે છે કે વિદ્યા અને અવિદ્યા બેઉની ઉપાસના કરવી જોઇએ કારણ અવિદ્યાથી મૃત્યુ ટાળી શકાય છે જયારે વિદ્યાથી અમૃત મેળવી શકાય છે.પરંતુ ઋષિના આ વિધાનનો અર્થ યોગ્ય રીતે સમજવો હોય તો વિદ્યા અને અવિદ્યા તથા મૃત્યુ અને અમૃત વચ્ચે શું તફાવત છે તે જાણવું જરુરી છે. વિદ્યા એટલે પુરૂષ વિશેનું જ્ઞાન અને અને અવિદ્યા એટલે પ્રકૃતિ વિશેની જાણકારી. અને મૃત્યુ એટલે જીવનનો અભાવ (કે જે પૂર્નજન્મ થતાં પાછું મળે છે). અર્થાત જન્મ મરણનું ચક્ર જે પ્રકૃતિના બધા જ અંગોને આવરીલે છે. પરંતુ અમૃત (અ+મૃત) એટલે કે જે મર્યું નથી અથવા મરતું નથી તે અર્થાત જે શાશ્વત છે તે પુરુષ તત્ત્વ. પ્રકૃતિનું બીજું નામ છે માયા અને જે વ્યકિત પ્રકૃતિની ઉપાસના કરે છે તે અવશ્ય માયામાં ફસાય છે.આ ફસામણી એટલે જ વાસના. અને જયાં સુધી આ વાસના હયાત છે ત્યાં સુધી ફરી ફરી નવા નવા જન્મ લેવા પડે છે. અર્થાત મૃત્યુનો ત્યાગ કરી “મૃત્યું તીર્ર્ત્વા નવું જીવન સ્વિકારવું પડે છે.પરંતુ જે વ્યકિત પુરૂષની ઉપાસનામાં રત છે તે મુકિત મેળવી શાશ્વત ને પામે છે.

“ઇશાવાસ્ય શ્લોક ૬,૭,૮” November 21, 2007

Posted by girishdesai in : ચિંતન લેખ , add a comment

શ્લોક- ૬
યત્સુ સર્વાણિ ભૂતાનિ આત્મન્યેવાનુપશ્યતિ ૤
સર્વભૂતેષુ ચ આત્માનં તતો ન વિજુગુપ્સતે ૤૤
પણ જુએ જે સર્વ ભૂતોને,આત્મમાં જ સદા રહ્યાં
અને જુએ જે વળી આત્માને,સર્વ ભૂતોમાં રહ્યો
ન થાય જાણજો તેને, કદીયે કોઇની ઘૃણા.
શ્લોક-૭
યસ્મિન્ સર્વાણિ ભૂતાનિ આત્મૈવાભૂદ્ વિજાનતઃ ૤
તત્ર કો મોહઃ કઃ શોક એકત્વમ્ અનુપશ્યતઃ ૤૤
જાણે છે જે આત્માને જ, સર્વ ભૂતો બની રહ્યો
જુએ એકત્વ જે આવું, તેને હર્ષ કે શોક શો?
અહીં આપણે સર્વભૂતોનો અર્થ સમાજ કરીએ અને આત્મવતનો અર્થ પોતાની જાત કરીએ તો આ બેઉ શ્લોકનો સરળ અર્થ એ થાય કે જયારે કોઇ પણ વ્યકિત અમુક સંજોગોમાં પોતાની જાતને બદલે પોતાના સમાજનો વિચાર કરી વર્તે તો તે બીજાઓની નીંદાને પાત્ર નથી થતી અને પોતે પણ બીજાઓની નિંદા કરવા નથી પ્રેરાતી દા.ત. જો આજના આપણા કહેવાતા નેતાઓ અને પ્રધાનો, આપણા કહેવાતા સંત અને સાધુઓ જો પોતાના ખીસ્સા ભરવાને બદલે કે આશ્રમો સ્થાપવાને બદલે તે જ દ્રવ્યનો સમાજિક કાર્યમાં વ્યય કરે તો પછી નિંદાને પાત્ર બને ખરાં ? જો તેઓ લાંચરૂશ્વતનો કે આશ્રમો સ્થાપવાનો મોહ છોડી દે તો તેઓ ઘૃણાને પાત્ર થાય ખરા ? અને જો તેઓ બીજા પ્રત્યે મનમાં ઘૃણા ન રાખે તો જ આમ કરી શકે ને ? જે સ્વાર્થ ત્યજે તે જ પરમાર્થી કે નિસ્વાર્થિ થઇ શકે. જે મનુષ્ય બધામાં ઇશ્વર છે એવું સમજે એટલે કે બધા ઇશ્વરનો જ અંશ છે એમ સમજે તે બુદ્ધિમાન કે વિવેકી કહેવાય અને આવી વ્યકિત મહદ્ અંશે પરમાર્થીેહોય છે.પરંતુ જે વ્યકિત ઇશ્વરમાં બધાને જુએ છે યાને કે બધું જ ઇશ્વરમય છે એમ સમજે છે તેને શ્રદ્ધાળુ કે વિનયી કહેવાય અને તે મહદ્ અંશે નિસ્વાર્થી હોય છે.વળી જે વ્યકિત બધામાં ઇશ્વરને અને ઇશ્વરને બધામાં જુએ છે યાને કે જે વ્યકિતને ઇશ્વર સિવાય કશું દેખાતું નથી તેને જ્ઞાની કહેવાય.આવી વ્યકિત જ પરમહંસ કહેવાય. શ્રી રામકૃષ્ણ આ પરમહંસ કોટીના હતા.તેમને ઘાસના તણખલામાં પણ ઇશ્વર દેખાતો. અને તેથી જો કોઇ ઘાસ ઉપર ચાલે તો ઘાસને થતી લાગણી પોતે અનુભવતા. આને “એકત્વમ્ અનુપશ્યતઃ” કહેવાયને ? આવા જ્ઞાનીને હર્ષ શું કે શોક શું. તે કોની ઘૃણા કરે ? શ્રી રામકૃષ્ણના જીવનમાં બનેલો આ એક બનાવ છે.એક વખત તેમણે દૂરથી બે માછીમારોને લડતાં જોયા.એ બેમાંથી જેને માર પડયો એની પીઠના સોળ તેમની પોતાની પીઠ ઉપર ઉપસી આવ્યાં. એકત્વના અનુભવનું આનાથી વધુ સારૂં ઉદાહરણ કશે મળે ખરૂં ? આવો મનુષ્ય જ કાલી માતા માટેના ફૂલ પોતાને માથે ચઢાવી શકે.વેદ વેદાન્તમાં વર્ણવેલાં તત્ત્વજ્ઞાનની સત્તા”સત્યતા”આવા મનુષ્યો જ પુરવાર કરી શકે છે.જયાં સુધી ભારતની ભૂમિ ઉપર શ્રી શંકરાચાર્ય,શ્રી ચૈતન્ય મહાપ્રભુ,શ્રી રામકૃષ્ણ પરમહંસ અને શ્રી રમણ મહર્ષિ જેવા મનુષ્યો જન્મ લેશે ત્યાં સુધી વેદાન્તોની સત્તાને કોઇ ઝાંખપ નહીં લગાડી શકે. કોઇ એનો પરાજય નહીં કરી શકે.મારી દૃષ્ટિએ શ્રી કૃષ્ણએ ગીતામાં જે – યદા યદાહિ ધર્મસ્યનું- ઉચ્ચારણ કર્યું તે એટલું જ સમજાવવા કે જયારે જયારે મોટા ભાગના લોકોને વેદોના જ્ઞાન અંગે મનમાં આશંકા અને અશ્રદ્ધા ઉપજે છે ત્યારે ત્યારે હું આવી વ્યકિત રૂપે અવતાર ધારણ કરૂં છું.સંભવામિ યુગે યુગે. આ આખું જગત ઇશતત્ત્વથી આચ્છાદિત છે એવું કહેનાર ઇશાવાસ્યના રચયિતા ૠષિ પણ આવી જ પરમહંસ કોટીના હશે એમા મને જરાય શંકા નથી. શ્લોક ચાર અને પાંચમા વર્ણવેલું બ્રહ્મનું સ્વરૂપ કેવળ શ્રીરામકૃષ્ણ જેવા ગુરૂ વીના શ્રી વિવેકાનંદ જેવા શિષ્યને કોણ સમજાવી શકે ?
શ્લોક-૮
સઃ પર્યગાત્ શુક્રમ્ અકાયમ્ અવ્રણમ્ અસ્નાવિરં શુધ્ધમ્ અપાપ વિધ્ધમ્ ૤
કવિઃમનીષી પરિભૂઃ સ્વયંભૂઃ યથાતથ્યતઃ અર્થાન્ વ્યદધાત્ શાશ્વતીભ્યઃ સમાભ્યઃ ૤૤
જે છે સ્નાયુ વિહોણું, અકાય,અપાપવિધ્ધ
‘ ને વળી છે વ્રણ વિહીન અને શ્ચેત, શુધ્ધ
કવિ,પરિભૂ,મનીષી, સ્વયંભુ
છાઇ રહ્યું તે ગોઠવી સર્વને નિત્ય સ્થાને
અથવા
સ્નાયુ વિહીન અકાય અપાપવિદ્ધને
અને વ્રણ વિહીન તે શ્વેત તથા શુદ્ધને
કલ્પી રહયો જે કવિ પરિભુ મનીષી સ્વયંભુ
તે જાણી ગયો સ્થાન નિત્ય સર્વ પદાર્થ કેરા.
આ શ્લોકનું અર્થ ઘટન બે રીતે કરી શકાય એમ છે અને તેથી જ તેનો અનુવાદ પણ મેં બે રીતે કરવાનો પ્રયત્ન કર્યો છે.આ શ્લોકને આગળના શ્લોક ચાર અને પાંચ સાથે સાંકળી તે સંદર્ભમાં અથવા તો શ્લોક છ અને સાત સાથે સાંકળી બીજા સંદર્ભમાં જોઇ શકાય તેમ છે. શ્લોક આઠની પહેલી બે પંકિતઓમાં તો ૠષિએ એમને થયેલ બ્રહ્માનુભુતિનું વર્ણન કર્યું છે,પરંતુ ત્રીજી પંકિતમાં વપરાયેલા કવિ,પરિભુ,મનીષી અને સ્વયંભુ આ ચાર વિશેષણો કોને માટે વાપરવા તેનો આધાર આ શ્લોકને કયા સંદર્ભમાં સમજીએ છીએ તેના ઉપર છે.જો આપણે આ શ્લોકને શ્લોક ચાર અને પાંચની સાથે સાંકળીએ તો આ વિશેષણો બ્રહ્મને લાગુ પડે છે પરંતુ જો આપણે તેને શ્લોક છ અને સાત સાથે સાંકળીએ તો આજ વિશેષણો સાધકને માટે વપરાયા હોય એમ લાગે છે.હવે આ શ્લોકને શ્લોક ચાર અને પાંચના સંદર્ભમા જોઇએ તો
કવિ= ક્રાન્તદર્શી અર્થાત ભૂત અને ભાવિ બધું જોનારો, સર્વજ્ઞ.
પરિભુ= ચારે બાજુ અસ્તિત્વ ધરાવતો અર્થાત સર્વવ્યાપી.
સ્વયંભુ= પોતાની સ્વશકિતથી ઉદ્ભવેલો અર્થાત સર્વશકિતમાન અને
મનીષી= જેનો વિશ્વમન ઉપર કાબુ છે તેવો અર્થાત ઇશ્વર.
વ્યદધાત્ નો અર્થ છે ઉત્પન્ન કરી વ્યવસ્થિત ગોઠવ્યાં.
આ રીતે જોતાં આ શ્લોકનો અર્થ નીચે પ્રમાણે થઇ શકે.
જે કાયા અને સ્નાયુઓ વિહીન છે, જે પાપ અને જખ્મ વિહીન છે, જે શુદ્ધ અને શ્વેત છે તથા જે સર્વજ્ઞ અને સર્વવ્યાપી છે,એવા સ્વયંભુ ઇશ્વરે શાશ્વત કાળથી આ સૃષ્ટિમાં વ્યાપ્ત થઇ બધાં જ પદાર્થોને પોત પોતાના મુકરર સ્થાને વ્યવસ્થિત રીતે ગોઠવ્યાં.
હવે જો આજ વિશેષણો સાધકને માટે વાપરીએ તો
કવિ= સૃષ્ટિની સર્વે વસ્તુમાં રસ ધરાવનારો. કવિ હૃદય જ પથ્થરથી માંડીને પ્રિયતમા સુધીના કાવ્યો રચે ને?
સ્વયંભુ= પોતાની જાત મહેનતથી જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવો જ્ઞાની પુરૂષ.
મનીષી= એકનું જ ચિંતન કરનારો અર્થાત ધ્યાની કે સ્થિતપ્રજ્ઞ.
વ્યદધાત=સમજી લીધાં કે મનમાં વ્યવસ્થિત ગોઠવી લીધાં.
આ દ્રષ્ટિએ જોતાં એવો અર્થ થઇ શકે કે કવિ હૃદયના ધ્યાની અને જ્ઞાની એવા સાધકને બ્રહ્મના સ્નાયુ વિહોણા,અકાય નિષ્પાપ,જખ્મ વિહીન,શ્વેત અને શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ થતાં,સૃષ્ટિના સર્વ પદાર્થોની યોગ્યતા બલ્કે સાર્થકતા, શું છે અને તેમનું આ સૃષ્ટિમાં શું સ્થાન છે, શું પ્રયોજન છે, તે વાત તેને બરાબર સમજાઇ ગઇ. શ્લોક છ અને સાતમા બ્રહ્મ અને સૃષ્ટિ વચ્ચે તાદાત્મ્ય અનુભવતા સાધકનું વર્તન કેવું હોય છે બતાવ્યું છે પરંતુ આઠમા શ્લોકમાં આવા સાધકની મનોસ્થિતિનું વર્ણન છે. આ શ્લોક નો ક્રમાંક આઠ છે તેથી તેને શ્લોક છ અને સાતના સંદર્ભમાં જોવો એજ વધુ ઉચિત ગણાય એમ મારૂં માનવું છે. હવે આપણે શ્લોક ૯,૧૦ અને ૧૧ને એક સમુહમાં જોઇશું.
આગળ હવે પછી,

“ઇશાવાસ્ય શ્લોક-૩-૪-૫” November 19, 2007

Posted by girishdesai in : ચિંતન લેખ , add a comment

શ્લોક-૩
અસુર્યા નામ તે લોકા અંધેન તમસા આવૃતાઃ ૤
તાંત્સે પ્રેત્યાભિ ગચ્છન્તિ યે કે ચાત્મહનો જનાઃ ૤૤
છે ધામ અસુરો કેરૂં જે ઘેરાયું અંધકાર ગાઢથી
આત્મઘાતી જનો છે જે, જઇ પહોંચે ત્યાં મૃત્યુ પછી.
અસુરઃ= અસુસુ રમન્તે ઇતિ અસુરઃ= ઇન્દ્રિયોના ભોગમાં રાચનારા
પ્રેત્ય = પ્ર+ઇત્ય અહીંથી જઇને એટલે મૃત્યુ પછી.
આ શ્લોકનો અર્થ છે ,આત્મઘતી લોકો મૃત્યુ પછી ગાઢ અંધકારથી ઘેરાયેલા અસુરોના ધામમાં જઇ પહોંચે છે. તો શું આત્માનો ઘાત થઇ શકે ખરો ?
છેદે ના શસ્ત્રો જેને, બાળે ના અગ્નિ પણ કદી
ભીંજવે ન પાણી જેને, ન સુકાયે વાયુથી વળી.
તો થઇ શકે શું ઘાત તેનો કોઇથી કદી ?
આવા આ અજરામર આત્માનો ઘાત કેવી રીતે થાય ? અહીં ઘાતનો અર્થ હત્યા કે પ્રહાર એવો નથી કરવાનો. અહીં તેનો અર્થ છે અવગણના અથવા અવહેલના.જે લોકો અસુરો છે યાને કે જેઓ ઇન્દ્રિયોના ભોગમાં રાચે છે,જેઓ ભૌતિક સુખમાં રચ્યા પચ્યા રહે છે તેઓ જ બ્રહ્મને ભૂલી શકે ને ? તેઓ જ બ્રહ્મની ઉપેક્ષા કે અવગણના કે અવહેલના કરી શકે ને ? આવી વ્યકિતઓ જયાં રહે તેને અસુરોનંુધામ કહેવાય.આ આપણી પૃથ્વી એટલે જ અસુરોનું ધામ.અને તેથી તો જન્મ મરણના ચકકર અહીં જ કાપવા પડે છે. ગીતાના સોળમાં અધ્યાયમાં આ અસુરોની વૃત્તિ કેવી હોય છે અને તેને કારણે તેમની શી વલે થાય છે તેનું વર્ણન શ્રી કૃષ્ણએ સ્વમુખે કર્યું છે.
અહંકારં બલં દર્પમ્ કામં ક્રોધં ચ સંશ્રિતાઃ ૤
મામાત્ અપર દેહેષુ પ્રદ્વિષન્તો અભ્યસૂયકાઃ ૤૤ ગીતા ૧૬-૧૮
તાન્ અહં દ્વિષતઃ ક્રૂરાન્ સંસારેષુ નરાધમાન્ ૤
ક્ષિપામિ અજસ્રમ્ અશુભાન આસુરીષુ એવ યોનિષુ ૤૤ ગીતા ૧૬-૧૯
એટલે કે અહંકાર, બળ, ગર્વ તથા કામ અને ક્રોધ વગેરેનો આશ્રય લઇ બીજાઓ પત્યે દ્વેષ કરનારા- અસુર લોકો – તેમની પોતાની અંદર તેમ જ બીજાઓની અંદર રહેલા મારા સ્વરૂપનો જ દ્ધેષ કરે છે. મારી જ અવગણના કરે છે. અને આવા દ્વેષી, ક્રૂર નરાધમોને હું અમંગળ એવી આસુરી યોનીમાં વારંવાર નાખું છું. ત્યાં જ ફરી ફરી મોકલું છું. વળી વીસમા શ્લોકમાં કહે છે કે,
આસુરીં યોનિમ્ આપન્ના મૂઢા જન્મનિ જન્મનિ ૤
મામ્ અપ્રાપ્યૈવ કૌન્તેય તતો યાન્તિ અધમા ગતિમ્ ૤૤ ગીતા ૧૬-૨૦
આસુરી યોનિને પામેલા આ મૂઢ લોકો, મને નહીં પામતા જન્મો જન્મ વધારે અધમ ગતિને પામે છે. ગીતાના આ ત્રણ શ્લોકમાં જે વાત સમજાવી તેજ વાત ઇશાવાસ્યના ત્રીજા શ્લોકમાં સમજાવી છે.આ પૃથ્વી ઉપર કેવળ અસુરો જ નથી રહેતા. મને લાગે છે કે અહીં અસુર કહીને ઋષિએ તામસિક લોકોનો ઉલ્લેખ કર્યો છે.આગળ ચાલતા સમજાશે કે ઋષિ રાજસિક અને સાત્વિક લોકોને પણ આ વાત સમજાવે છે જ પરંતુ જુદા શબ્દોમાં. આમ પહેલા ત્રણ શ્લોકમાં ઋષિએ પુરૂષ અને પ્રકૃતિનું સ્વરૂપ કેવું છે અને તે બે વચ્ચેનો સંબંધ કેવો છે, નિષ્કામ કર્મની શી આવશ્યકતા છે અને તે માર્ગે નહીં ચાલનાર વ્યકિતઓની કેવી કફોડી સ્થિતિ થાયછે તે કહયું. હવે શ્લોક ચારને પંાચમા ઋષિની વિચાર ધારા વળાંક લેતી હોય એમ લાગે છે. તેમની સમક્ષ બેઠેલા વિદ્યાર્થિઓનું ભાન ભૂલી ઋષિ અર્ધસમાધિ અવસ્થામાં પહોંચી ગયા હોય તેમ લાગે છે. તેમને પોતાને થયેલી અનુભૂતિમાં ગરકાવ થઇ તેનું વર્ણન કરતા હોય તેમ તેઓ કહે છે,
શ્લોક-૪
અનેજદેકં મનસો જવીયો નૈનદ્ દેવા આપ્નુવન્ પૂર્વમર્ષત્ ૤
તદ્ ધાવતો અન્યાનત્યે તિ તિષ્ઠત્ તસ્મિન્નપો માતરિશ્વા દધાતિ ૤૤
જે હાલે નહીં, ‘ને અદ્વૈત છે, મનથી છે વેગીલું વળી
ન પહોંચે ઇન્દ્રિયો જેને,સહુથી આગળ તે રહયું.
સ્થિર છતાં દોડતું જાયે કરી ધારણ વિશ્વ પ્રાણને.
આ ઇશ તત્ત્વ અદ્વૈત છે. તે હાલ્યા વગર જ મન કરતાં પણ વધુ વેગથી દોડે છે. ઇન્દ્રિઓ તેને આંબી શકતી નથી. તે સ્થિર હોવા છતાં સહુથી આગળ નીકળી જાય છે. અને તે સૃષ્ટિની જીવન શકિતનો (વિશ્વપાણ- માતરિશ્વા) આધાર છે. આવા વિરોધાભાસી શબ્દો જરૂર મનમાં ગુંચવણ ઉભી કરે છે.પરંતુ એક ઉદાહરણથી કદાચ આ વાત સમજી શકાશે. એક વિશાળ શાંત સરોવરના સ્થિર પાણીમાં તરતી હોડીનો દાખલો લઇએ. હોડી ગમે તેટલા વેગથી ચાલતી હોય છતાં પેલું સ્થિર પાણી તેની સામે ને સામે જ હોવાનું તેનાથી આગળ જ રહેવાનું અને આમ થવાનું કારણ છે સરોવરની વિશાળતા.તો પછી આ અનંત,સર્વવ્યાપી, સારાએ વિશ્વના ચેતને ધારણ કરનાર પુરૂષ તત્ત્વને કોણ આંબી શકે ? અને તેની ગતી માપવી હોય તો તેમાંથી બહાર નીકળી તેનાથી દૂર જઇને મપાય અથવા આપણે પોતે સ્થિર રહીએ અર્થાત આપણા મનને સંપૂર્ણ રીતે સ્થિર કરીએ તો તે શકય થાય ખરૂં. એટલે જ સિદ્ધ જ્ઞાનીઓ મનને એકાગ્ર કરી સ્થિર કરવાની સલાહ આપતાં હોય છે ને ? શ્લોક ચાર અને પાંચમાં ઋષિ સિદ્ધિને આરે આવીને ઉભેલાં પુરૂષોને ઉદ્દેશીને કહેતાં હોય એમ લાગે છે. શ્લોક છ અને સાત વાંચતા આ વાત સ્પષ્ટ થશે. નિર્ગુણના ગુણ સમજવા અને સમજાવવા એ અતિ કપરૂં કામ છે.
જેમ,પદાર્થ વિના શકિતની પ્રતીતિ નથી થતી
અને શકિત વિના પદાર્થની પ્રગતિ નથી થતી
તેમ જ પુરૂષ વિના પ્રકૃતિનો અનુભવ નથી થતો
અને પ્રકૃતિ વિના પુરૂષની અનુભુતિ નથી થતી.
તેથી જ પુરૂષે પોતાની પ્રતીતિ કરાવવા સારૂં આ ત્રણ ગુણવાળી સૃષ્ટિ સર્જી છે.જયારે કોઇ મનુષ્ય પોતાની વિવેક બુદ્ધિથી આ ત્રણે ગુણ પુરેપુરા સમજીને,અનુભવીને,નિસ્ત્રૈગુણ્ય થવાનો પયત્ન કરે છે ત્યારે જ તેને પુરૂષની પ્રતીતિ યાને અનુભૂતિ થાય છે. મારી દ્રષ્ટિએ કર્મયોગ એ જીવનમાં આવી પ્રગતિ કરવાનું સાધન છે જયારે જ્ઞાનયોગ એ પુરૂષની પ્રતીતિ કરવાનું સાધન છે. જ્ઞાનનું આસન કર્મ,શ્રદ્ધા અને ભકિત રૂપી ત્રણ પાયાની બનેલી ત્રિપાઇ ઉપર હોય છે. કર્મ કરી બુદ્ધિ કેળવવી, બુદ્ધિથી શ્રદ્ધા મજબૂત કરવી અને આ બે પાયા મજબૂત થતાં ભકિત રૂપી પાયો આપોઆપ સ્થિર થઇ જાય છે. જયારે આ ત્રણે પાયા સ્થિર થાય ત્યારે જ જ્ઞાન તેના ઉપર સ્થિરતાથી બેસી શકે
શ્રદ્ધા,ભકિત અને કર્મ તણાં,ત્રણ પાયાની એક ત્રિપાઇ જ્ઞાનદેવ બેસે તે ઉપર,આસન સ્થિર જમાવી
જેણે પ્રગતિ કરીને પુરૂષની પ્રતીતિ કરી હોય તેને જ આશ્લોકનો સાચો અર્થ સમજાય. એવી શકિત મારામાં તો નથી જ.
શ્લોક-૫
તત્ એજતિ તત્ ન એજતિ, તત્ દૂરે તત્ ઉ અન્તિકે ૤
તત્ અન્તરસ્ય સર્વસ્ય તત્ ઉ સર્વસ્ય અસ્ય બાહ્યતઃ ૤૤
હાલે તે, ન હાલે તે કદી,રહે દૂર ’ને વળી પાસમાં
સહુની ભીતરે વસે છે તે, ’ને વસે સહુની બહારે સદા.
આ શ્લોકનો શબ્દાર્થ લગભગ ચોથા શ્લોક જેવો જ છે પરંતુ ભાવાર્થ અતિ કઠણ નથી.આમાં ઇશતત્ત્વની વ્યાપકતા કેટલી છે તે જ બતાવ્યું છે. તે સહુથી દૂર અર્થાત કે બ્રહ્માંડની સરહદને પેલે પાર હોવા છતાં સહુથી નજદિક યાને કે સહુની ભીતરમાં પણ તે જ તત્ત્વ રહેલું છે.અહીં ઋષિ પહેલા શ્લોકમાં કરેલી ઇશ્વરની સર્વવ્યાપકતાનું પુનરુચ્ચારણ કરતાં હોય એમ મને લાગે છે.ખરૂં જોતાં ઇશતત્વ બધાની અંદર અને બહાર છે એમ કહેવા કરતાં બધું જ ઇશતત્ત્વમાં છે એમ કહેવું વધારે યોગ્ય લાગે છે. જેમકે ઘડાની અંદર અને બહાર પાણી છે એમ કહેવા કરતાં ઘડો પાણીમાં છે એમ કહેવું વધારે યોગ્ય લાગે છે.આ હાલવું (સાપેક્ષતા) અને ન હાલવંુ(નિરપેક્ષતા) એતો ગતિની વાત થઇ, પરંતુ આ ગતિ કોની ? કેવળ મનની જેનું મન ભમતું તેનું જગત ભમતું જેનું મન સ્થિર તેનું જગત સ્થિર. જેનું મન બિલકુલ શાંત થઇ જાય તેને જ ઇશ્વરની અનુભૂતિનો આસ્વાદ મળી શકે. મનનું મૃત્યુ એટલે જ મોક્ષ.મક્ષતો જીવતે જીવ જ મળે.મૃત્યુ પછી તો મુકિત મળે.મન જયારે વાસનાની પકડમાંથી છૂટે તેને મોક્ષ કહેવાય પરંતુ સાથે સાથે દેહ જયારે પંચ મહાભૂતની પકડમાંથી અને ચિત્ત જયારે અહંકારની પકડમાંથી છૂટે ત્યારે જ મુકિત મળી કહેવાય. ઇશતત્ત્વમાંતો કયારેયે કોઇ પણ જાતનો ફરક શકય જ નથી. સારી સૃષ્ટિના હલન ચલન માટે કોઇ જવાબદાર હોય તો તે છે માનવનું મન. શ્લોક છ અને સાતમા પણ મનની સ્થિતિનુ કેવું પરિણામ આવે છે તેનો ઉલ્લેખ કર્યો છે.
વધુ હવે પછી.

“ઇશાવાસ્ય, શ્લોક -૧,૨” November 15, 2007

Posted by girishdesai in : ચિંતન લેખ , add a comment

શ્લોક -૧
ઇશાવાસ્યમ્ ઇદં સર્વમ્ યત્કિંચ જગત્યાં જગત્ ૤
તેન ત્યકતેન ભુંજીથા મા ગૃધઃ કસ્ય સ્વિદ્ ધનમ્ ૤૤

વિશ્વમાં વસ્યું જે કંાઇ, વસ્યું ઇશતત્ત્વ તેમાં સદા
ત્યાગીને ભોગવી જાણો,ન રાખો ગીધ વૃત્તિ કદા
જાણો છો, આ ધન (વિશ્વ)કોનંુ છે ભલા ?

ઇશાવાસ્ય એ શબ્દની સંધિ બે રીતે છુટી પાડી શકાય છે એ વાતનો ઉલ્લેખ મેં શરૂઆતમાં કરેલો.વસનો અર્થ જો વસ્ત્ર કરીએ તો ઇશાવાસ્યનો અર્થ થાય ઇશ્વર રૂપી વસ્ત્રથી આચ્છાદિત એટલે કે ઇશ્વરમાં સમાયેલું અને જો વાસનો અર્થ રહેઠાણ “આવાસ” કરીએ તો ઇશ્વર જેમાં વસેલો છે તે.આમ ઋષિએ એક જ શબ્દમાં કહયું કે ઇશતત્ત્વ રૂપી વસ્ત્રથી આ આખું જગત આચ્છાદિત છે અને આ અસ્થાયી જગતના કણ કણમાં ઇશ્વરનો વાસ છે.અર્થાત ઇશ્વર સર્વ વ્યાપી છે.વળી ઋષિ એવી સલાહ આપે છે કે આ જગત ત્યાગીને ભોગવો.અહીં ત્યાગનો અર્થ છે નિર્મોહ. જગતમાં જે કંાઇ જાણવા કે માણવા મળે તેનો મોહ ન રાખવો.અર્થાત જીવનની બધી જ પવૃત્તિ નિષ્કામ ભાવે કરવી.આ જગતનો કેવળ ઉપભોગ જ ન કરતાં શકય હોય તેટલંુ બીજાઓ માટે ઉપયોગી થવું.આપણે સહુ આ પ્રકૃતિના અંગ રૂપ છીએ એવી સમજ કેળવવી એ અતિ આવશ્યક છે.જેમ શરીરના વિવિધ અંગો પોતાના પોષણ માટે લોહીનો ઉપભોગ જરૂર કરે છે છતાં પોતાની ફરજ બજાવવામાં અને એક બીજાને સહાય કરવામાં પાછી પાની નથી કરતા.જયારે શરીરનું એકાદ અંગ પોતાંની ફરજ ચૂકે છે ત્યારે જ શરીરમાં રોગ દાખલ થાયછે ને? ધારોકે લોહી હૃદયમાં પહોંચે પછી હૃદય એમ કહે કે આ લોહી હું મારે માટે જ સંગ્રહી રાખીશ બીજા અંગોને નહીં આપું તો શું થાય? હાર્ટએટેક કે બીજું કાંઇ ?
એટલે જ ઋષિ એ કહયું કે ત્યાગીને ભોગવી જાણો ન રાખો ગીધવૃત્તિ “સંગ્રહવૃત્તિ કદા.” વધારાનું ત્યજી દઇ જરૂર પુરતું ભોગવો.ઋષિ વળી ઠપકો આપતાં પુછે છે કે અરે ભાઇ તને ખબર છે ખરી કે આ ધન કોનું છે ? હું જો એમ માનું કે ઇશ્વરતો મારો બાપ છે એટલે આ બધુંય મારા બાપનું જ કહેવાયને ? વાત સાચી,પણ બાપ હજી જીવતો બેઠો છે. હજી એણે મારે નામે કશું મૂકયું નથી એ પણ મારે યાદ રાખવું રહયું. આ શ્લોકમાં ઋષિએ નિષ્કામ કર્મ ઉપર ખાસ ભાર મુકયો છે. હવે પછીના શ્લોકમાં જીવન કેમ જીવવું તે અંગે ઋષિ સમજાવે છે.

શ્લોક-૨
કુર્વન્ એવેહ કર્માણિ જિજીવિષેત્ શતં સમાઃ ૤
એવં ત્વયિ નાન્યથેતોઅસ્તિ ન કર્મ લિપ્યતે નરે ૤૤

આમ જ કરતા રહી કર્મો, ઇચ્છો આયુ સો વર્ષનંુ
ઉપાય ન બીજો કોઇ , તો થશે નહીં બંધન કર્મનું.
આ આખું જગત ઇશ તત્ત્વથી વ્યાપ્ત છે એવું મનમાં ઠસી જાય પછી માણસે નિષ્કામ કર્મની વૃત્તિ કેળવવી અને એવી વૃત્તિ રાખી સો વર્ષનું આયુષ્ય ભોગવવાની ઇચ્છા રાખવી.ઋષિએ અહીં સો વર્ષનો ઉલ્લેખ કેમ કર્યો હશે ? કારણ કે તે જમાનામાં ઘણાં લોકો વર્ણાશ્રમ પદ્ધતિ અનુસાર જીવન વ્યતીત કરતા હતાં.પચીસ વર્ષનો એક એવા ચાર “બહ્મચર્ય,ગૃહસ્થ,વાનપ્રસ્થ અને સંન્યસ્ત” આશ્રમોનો પુરેપુરો અનુભવ મેળવી લેવાની તક ન ચૂકવી જોઇએ. તો જ આ પ્રકૃતિનો પાકો પરિચય થાય એમ ઋષિનું કહેવું છે.આ ચાર આશ્રમોના – આ ચાર પ્રકારના શ્રમોના – મુખ્ય બે વિભાગ પાડી શકાય. પહેલા વિભાગમાં આવે બહ્મચર્ય અને ગૃહસ્થાશ્રમ તથા બીજામાં આવે વાનપ્રસ્થ અને સંન્યસ્તાશ્રમ.પહેલો વિભાગ ભૌતિક જીવનના વિકાસ માટે એટલે કે પ્રકૃતિને સમજવા માટે છે જયારે બીજો વિભાગ આધ્યાત્મિક જીવનના વિકાસ માટે અટલે કે પુરૂષને સમજવા માટે છે.બહ્મચર્ય આશ્રમ એ સુખી જીવન માટે વ્યકિતએ પોતના કુટુંબ,સમાજ અને સૃષ્ટિ સાથે કેવો સંબંધ રાખવો જોઇએ તે અંગેના સિધ્ધાંતો શીખવા માટે છે. આ આશ્રમ દરમિયાન વ્યકિતના ભરણ પોષણની અને તેના શિક્ષણની જવાબદારી મુખ્યત્વે તેના કુટુંબ અને તેના સમાજને માથે રહે છે. (એટલા માટે જ વિદ્યાર્થીઓ ભિક્ષા માંગવા નીકળતા) જીવનના પહેલાં પચીસ વર્ષ જીવની આ બધી વિદ્યા શીખવામાં તેણે ગાળવા જોઇએ. તેથી જ બહ્મચર્ય આશ્રમને વિદ્યાર્થી અવસ્થા પણ કહેવાય છે.આ સમય પૂરો કરી છવ્વીસથી પચાસ વર્ષ આ બધી વિદ્યાનો જીવન વ્યવહારમાં ઉપયોગ કરવાનો છે. ગૃહસ્થ બની ઉગતી નવી પેઢીને કેળવવાની જવાબદારી માથે લેવાની છે. તેથી જ આ આશ્રમ ગૃહસ્થાશ્રમ કહેવાય છે.આમ જીવનના પચાસતો પૂરા કર્યાં. હવે પચાસથી પંચોતેરમાં જીવનના આધ્યાત્મિક વિકાસ માટેના સિદ્ધાન્તો શિખવાના છે.આધ્યાત્મિક વિકાસ માટે મનને અંતરમુખ કરવું એ અતિ આવશ્યક છે. અને તે ત્યારે જ શકય થાય કે જયારે મન ગૃહસ્થ જીવનની જંજાળમાંથી છૂટે. પરંતુ આગલા પચાસ વર્ષની પડેલી ટેવો આસાનીથી છૂટે ખરી ? એટલે આ પચીસી દરમિયાન ધીરે ધીરે તેનાથી મુકત થતાં જવું. આ આશ્રમ દરમીયાન મનુષ્યે પોતાની જવાબદારીઓ નવી પેઢીને સોંપી દેતા શીખવાનું છે. અને આ-શ્રમમાં નિપુણતા મેળવીને જીવનની શેષ પચીસીમાં એટલે કે સન્યસ્તાશ્રમ વેળા મનને શ્રવણ, મનન અને નિદિધ્યાસ તરફ વાળવાનું છે.આ શ્લોકમાં નિષ્કામ કર્મ ઉપર ખાસ ભાર મુકતાં ઋષિએ કહયું કેે કર્મના લેપનથી જો મુકિત મેળવવી હોય તો કેવળ આ એક જ માર્ગ છે. ઇશાવાસ્યના આ પહેલા બે શ્લોક સમજાવતાં ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન ૤
મા કર્મફલહેતુઃ ભુઃ મા તે સંગો અસ્તુ અકર્મણિ ૤૤ ગીતા ૨-૪૭
હે અર્જુન, તારામાં કેવળ કર્મ કરવાની જ લાયકાત છે, તેનું ફળ કેવું અને કયારે મળશે તે જાણવાની લાયકાત તારામાં નથી માટે ફળ મેળવવાનો હેતુ ન રાખ, અર્થાત નિષ્કામ કર્મ કર. અહીં અધિકારનો અર્થ લાયકાત કરવો જ યોગ્ય લાગે છે, જેમકે ડૉકટરને દવા આપવાનો અધિકાર છે એટલે કે તેનામાં એ લાયકાત છે. ઇશ્વરે મનુષ્યને ઇન્દ્રિઓ આપી એને કર્મ કરવાની લાયકાત આપી છે. તેથી તો તે કર્મેન્દ્રિઓ કહેવાય છે.પણ કર્મનું ફળ શું હોવું જોઇએ અને કયારે મળવું જોઇએ એનો નિર્ણય કરવાની લાયકાત(શકિત) ઇશ્વરે મનુષ્યને નથી આપી. કર્મનું ફળ કેવું અને કયારે મળવું જોઇએ તેનો નિર્ણય કરવા, કયા કર્મો કયારે કર્યાં, કેવી રીતે કર્યાં, શા કારણથી કર્યાં એ બધાની નોંધ હોવી જોઇએ.મનુષ્ય સવારની વિગતો સાંજ સુધીમાં ભૂલી જાય છે તો તે આ સારાએ જીવનના અને તદ ઉપરાંત પૂર્વ જીવનાનાં બધાય કર્મો કેવી રીતે યાદ રાખી શકે ? એવી સ્મરણ શકિત ઇશ્વરે તેને નથી આપી. અને તે જ સારૂં છે. જો બધું જ યાદ રહે તો મુશ્કેલીનો પાર ન રહે. આ જન્મનો મારો બાપ ગયા જન્મે મારો બેટો હતો એવું યાદ આવે તો કયો બેટો બાપની મર્યાદા રાખે ? એટલે કર્મના ફળની માથાકુટમાં પડયા વગર કર્મ કરતાં રહેવું. આ એક જ રસ્તો છે એમ ઋષિએ કીધું.આ રસ્તે ન ચાલતા કેવળ પ્રકૃતિના ભોગમાં રચ્યા પચ્યા રહેનારની શું દશા થાય છે તે સમજાવતાં ઋષિ કહે છે કે,
વધુ હવે પછી.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.